આખા રાજ્યમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓને તાળાં મારવા પડ્યાં

પેરિયારની ભૂમિ તમિલનાડુમાં જાતિવાદી તત્વોના ખૌફના કારણે રાજ્યભરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓ ફરતે લોખંડના પાંજરા ગોઠવી તાળાં મારવા પડ્યાં છે. જાણો એવું તે શું બન્યું.
dr ambedkar

ડૉ.આંબેડકરની પ્રતિમાઓને તાળાં : પેરિયારની ભૂમિ કહેવાતા તમિલનાડુમાં મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓની ફરતે લોખંડની જાળીનું પાંજરું બનાવી તાળાં મારીને રાખવાની નોબત આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બાબાસાહેબની પ્રતિમાઓને આ રીતે રાખવામાં આવી છે. જેની પાછળ જાતિવાદી તત્વોનો ખૌફ હોવાનું સામે આવ્યું છે. જાતિવાદી તત્વો દ્વારા બાબાસાહેબની પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવતી હોવાથી તેની સુરક્ષા માટે આ રીતે પ્રતિમાઓ ફરતે પાંજરું બનાવી તાળું મારું દેવામાં આવે છે. જેને હવે બહુજન સમાજ બંધારણના ઘડવૈયાના અપમાન તરીકે જોઈ રહ્યો છે અને તેની સામે અવાજ ઉઠાવ્યો છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એ તમિલનાડુના મુખ્ય સચિવને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લોખંડના પાંજરામાં રાખવા નોટિસ ફટકારી સ્પષ્ટતા માંગી છે. આયોગે નીલમ કલ્ચરલ સેન્ટરના સ્વયંસેવક એસ. વેંકટેશનની ફરિયાદના આધારે આ પગલું લીધું છે.

ફક્ત ડૉ.આંબેડકરની પ્રતિમાઓને કેદ કરાય છે

તમિલનાડુમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની મોટાભાગની પ્રતિમાઓને લોખંડના પાંજરામાં બંધ કરીને રાખવામાં આવે છે. આ પ્રકારની જાળી માત્ર તેમની પ્રતિમાઓ સાથે જ મૂકવામાં આવે છે, બીજા કોઈ મહાનુભાવોની પ્રતિમા સાથે નહીં. કાર્યકર્તાઓનો દલીલ છે કે આ સ્પષ્ટ રીતે ભેદભાવનું પ્રતીક છે, કારણ કે મહાત્મા ગાંધી અને પેરિયાર જેવા અન્ય નેતાઓની પ્રતિમાઓ આવા પ્રતિબંધો હેઠળ રાખવામાં આવતી નથી.

paripatra

સામાજિક કાર્યકર્તા વેંકટેશન શિવકુમારે આંબેડકરની પ્રતિમાઓની આસપાસ લગાવવામાં આવેલા લોખંડના પાંજરા અંગે NCSCમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું, “હું છેલ્લા સાત વર્ષથી નીલમ કલ્ચરલ સેન્ટર સાથે કામ કરી રહ્યો છું, દલિત સમાજને શિક્ષણ અને કાનૂની સહાય પૂરી પાડવા માટે સમગ્ર તમિલનાડુમાં પ્રવાસ કરી રહ્યો છું. આ સમય દરમિયાન, મેં ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસ લોખંડનું પાંજરું જોયું. અધિકારીઓ તેની પાછળનું કારણ સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ગણાવે છે, પરંતુ આ તર્ક સ્વીકારી શકાય તેમ નથી. બાબાસાહેબની મૂર્તિઓને પાંજરામાં મૂકવાને બદલે, તેમની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ.”

વેંકટેશન શિવકુમારની ફરિયાદ પર, NCSC એ બંધારણની કલમ 338 હેઠળ આ મામલાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે અને તમિલનાડુના મુખ્ય સચિવને મોકલવામાં આવેલી નોટિસમાં, કમિશને 15 દિવસની અંદર કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.

ડૉ.આંબેડકરની પહેલી પ્રતિમા કોલ્હાપુરમાં સ્થપાઈ હતી

આંબેડકરની પ્રતિમાઓ પર દસ્તાવેજી ફિલ્મ બનાવનાર સામાજિક કાર્યકર અને કન્ટેન્ટ ક્રિએટર વિદ્યા સેન્થમિઝસેલ્વન ભારતમાં આ પ્રતિમાઓનો ઇતિહાસ શોધી કાઢે છે. બાબા સાહેબ જીવિત હતા ત્યારે ૭ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ કોલ્હાપુરમાં આંબેડકરની પહેલી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તમિલનાડુમાં દલિત આંદોલનના નેતા જ્ઞાનશેખરને ૧૯૮૭માં મદુરાઈમાં પહેલી પ્રતિમા સ્થાપિત કરી હતી. જોકે, ૧૯૯૦ના દાયકામાં જાતિવાદી રમખાણો અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓએ આ મૂર્તિઓની સલામતી અંગે ચિંતાઓ ઉભી કરી હતી.

વિદ્યા દ્વારા નિર્મિત એક ડોક્યુમેન્ટ્રીમાં વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) સાંસદ અને વરિષ્ઠ દલિત નેતા થોલ. થિરુમાવલવને કહ્યું કે તે સમય દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ વિવિધ જાતિ સંગઠનોના નેતાઓની એક બેઠક બોલાવી હતી. સરકારે પ્રતિમાઓ માટે નવા નિયમો લાગુ કર્યા, જેમાં સત્તાવાર પરવાનગી, કાંસ્ય નિર્માણ અને મૂર્તિ સ્થાપિત કરનારાઓ દ્વારા કરવામાં આવતી સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ થાય છે. જોકે આ નિયમો બધી પ્રતિમાઓને લાગુ પડતા હતા. પરંતુ માત્ર ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને જ પાંજરામાં રાખવામાં આવે છે.

શું આ બંધારણીય મૂલ્યોનો ભંગ નથી?

તમિલનાડુના આંબેડકરવાદી એક્ટિવિસ્ટોનું માનવું છે કે મહાનાયક ડૉ. આંબેડકરની પ્રતિમાઓને જેલના સળિયા પાછળ રાખવી એ ભારતીય બંધારણની કલમ 15નું સીધું ઉલ્લંઘન છે, જે જાતિ, ધર્મ, લિંગ અથવા રહેઠાણના સ્થળના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે.
ડોક્યુમેન્ટ્રી નિર્માતા વિદ્યા કહે છે, “આપણા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મૃત્યુ પછી પણ આ પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે, આ સૌથી મોટો સવાલ છે.”

તમિલનાડુના રહેવાસી કાર્લ માર્ક્સ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે ભારતમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તીની દ્રષ્ટિએ તમિલનાડુ ચોથા ક્રમે છે. રાજ્યની વસ્તીના 20.1% લોકો અનુસૂચિત જાતિના છે અને 1.1% લોકો અનુસૂચિત જનજાતિના છે, એટલે કે, તમિલનાડુમાં દરેક પાંચમો વ્યક્તિ અનુસૂચિત જાતિનો છે. તેમ છતાં તમિલ સમાજની સામાન્ય ઇચ્છા હજુ પણ ખૂબ જ ભેદભાવપૂર્ણ છે. બંધુત્વ, જે લોકશાહીની સાચી ભાવના છે, એટલે કે દરેક માનવીને સમાન ગણવું, તે આપણા સામાજિક માળખામાં ખૂટે છે.

આ પણ વાંચો: દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?

તિરુવલ્લુર જિલ્લાના કદંબત્તુર ખાતે આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરનાર આંબેડકરવાદી કાર્યકર જયભીમ શણમુગમ નિરાશા વ્યક્ત કરતા કહે છે: “જ્યારે પણ હું ડૉ. આંબેડકરની પ્રતિમાને પાંજરામાં બંધ જોઉં છું, ત્યારે મને ભારે ગુસ્સો ચડે છે. આ પાંજરું બાબાસાહેબની પ્રતિમાના રક્ષણ માટે નથી પરંતુ સમાજની મૂર્ખતા અને જાતિવાદના મૂળ કેટલા ઉંડા ઉતરી ચૂક્યા છે તેનું પ્રતિક છે.”

દલિત અધિકાર કાર્યકર્તા અને લેખિકા શાલિન મારિયા લોરેન્સના મતે, “આંબેડકરની પ્રતિમાઓ ફક્ત નિર્જીવ પ્રતીકો નથી પરંતુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોની ઓળખ અને વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે. તમિલનાડુમાં ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમી પ્રદેશોમાં, જ્યાં પ્રભાવશાળી જાતિઓનું વર્ચસ્વ છે, ત્યાં ડૉ. આંબેડકરની પ્રતિમાઓ બહુ ઓછી છે. આ વિસ્તારોમાં આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત કરવાના પ્રયાસો થયા છે, જેમાં ઘણીવાર વિરોધ પ્રદર્શનો અને રમખાણો પણ થયા છે. બાબાસાહેબની હાલની પ્રતિમાઓ પર ઘણીવાર વર્ચસ્વ ધરાવતી જાતિના લોકો દ્વારા તોડફોડ કરવામાં આવે છે. તોડફોડ કરનારાઓ તેમના પર મળ, છાણ અને અન્ય ગંદકી ફેંકે છે. આ દુશ્મનાવટ દલિતો પ્રત્યે ઊંડી નફરત દર્શાવે છે, જેમના માટે આંબેડકર મુક્તિનું પ્રતીક છે. આ પ્રતિમાઓને લોખંડના પાંજરામાં બંધ કરવાને બદલે, સરકારે તેમની સુરક્ષા માટે CCTV કેમેરા લગાવવા જોઈએ.”

સામાજિક કાર્યકરો અને નેતાઓ તમિલનાડુ સરકાર પાસે નિર્ણાયક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે, જો ફક્ત આંબેડકરની પ્રતિમાઓને જ સુરક્ષા માટે પાંજરાની જરૂર હોય, તો તેનો સીધો અર્થ એ થાય કે રાજ્યનું સામાજિક માળખું સવર્ણ જાતિઓના વર્ચસ્વ હેઠળ દબાયેલું છે. જો દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ખરેખર ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના હીરો માનતું હોય તો તેણે વહેલી તેમની પ્રતિમાઓને આ પાંજરાઓમાંથી મુક્ત કરવી જોઈએ અને જાતિવાદી તત્વો પર કડક પગલાં લેવા જોઈએ. બાકી તો અન્ય રાજકીય પક્ષો જેમ બાબાસાહેબનું નામ વટાવે છે તેમ ડીએમકે પણ એજ કક્ષામાં આવી જશે.

દેશભરમાં બાબાસાહેબની પ્રતિમાઓ પર હુમલાઓ વધ્યાં

છેલ્લાં કેટલાક મહિનાઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે, દલિત-બહુજન સમાજમાં જેમ જેમ જાગૃતિ, શાસક બનવાની તેમની તીવ્રતા વધતી જાય છે, તેમ તેમ તેમના સુપરહીરો ડો.આંબેડકરની પ્રતિમાઓ પર સવર્ણ જાતિઓ દ્વારા હુમલાઓ વધતા જાય છે. આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ પંજાબના અમૃતસરમાં એક શખ્સે ડો.આંબેડકરની પ્રતિમા પર ચઢી જઈ તેને નુકસાન પહોંચાડ્યું હતું. પંજાબ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૨ હેઠળ આરોપીઓ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો. એ પહેલા ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં બે લુખ્ખા તત્વોએ અંગત અદાવતમાં બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા તોડી નુકસાન પહોંચાડ્યું હતું. તેની પહેલા ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ, મહારાષ્ટ્રના પરભણી રેલ્વે સ્ટેશનની બહાર કાચના બોક્સમાં રાખેલી બંધારણની પ્રતિકૃતિમાં તોડફોડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં આખા શહેરમાં હિંસા ફાટી નીકળી હતી.

૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ, ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ફેફના પોલીસ સ્ટેશન વિસ્તારના બહાદુરપુર ગામમાં સ્થાપિત ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને કેટલાક અજાણ્યા લોકોએ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા બહુજન સમાજ પાર્ટી (BSP) ના નેતાઓએ વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા, ત્યારબાદ ત્યાં એક નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ, કર્ણાટકના કલબુર્ગી શહેરમાં ડૉ. બી.આર. આંબેડકરની પ્રતિમાના અપમાન બાદ સ્વયંભૂ અને વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. આ તમામ ઘટનાઓ બાદ જોવાનું એ રહેશે કે, પોતાને પેરિયાર અને ડો.આંબેડકરની વિચારધારાની પાર્ટી ગણાવતી ડીએમકે શું મહાનાયક ડો.આંબેડકરની પ્રતિમાઓને લોખંડના પાંજરાઓમાંથી મુક્તિ અપાવી શકશે?

આ પણ વાંચો: દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે

3 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Gyan
Gyan
3 months ago

વિશ્વવિભૂતિ , બોધિસત્વ ડૉક્ટર આંબેડકર સાહેબ ની પ્રતિમા ની સુરક્ષા માટે પીંજરા લગાવવા પડે છે……અને તો ય ભગવી ગેંગ વસુધૈવ કુટુમ્બકમ અને હિન્દુ એકતા ના ફાલતું રાગ આલાપે છે…..

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x