સુરત દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત, આજે સજા થશે

વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી શાંતિસાગર નામના જૈન મુનિએ દુષ્કર્મ આચર્યું હતું. હવે 8 વર્ષ બાદ મુનિ દોષિ સાબિત થતા સજા સંભળાવાશે.
jain muni Shantisagar

ધર્મની આડમાં સગીરાઓ,યુવતીઓ અને મહિલાઓનું શોષણ કરતા ધાર્મિક પાખંડીઓનો ભારતમાં તોટો નથી. આસારામ, રામરહીમ, નિત્યાનંદ જેવા ઢોંગી બાવાઓ તેમના કુકર્મો માટે કુખ્યાત છે. ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક લંપટ સાધુઓની કામલીલા વિશે સૌ જાણે છે, ત્યારે હવે એક જૈન મુનિ દુષ્કર્મના કેસમાં કોર્ટમાં દોષિ સાબિત થયા છે અને કોર્ટ આજે તેમને સજા સંભળાવશે.

વર્ષ 2017માં સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે અઠવા પોલીસમાં ગુનો નોંધાયા બાદ જૈન મુનિની ધરપકડ કરવામાં આવી હતી. કેસ સુરત કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દુષ્કર્મકેસમાં જૈન મુનિને દોષિત ઠેરવ્યા છે.

મામલો શું હતો?

કેસની વિગત મુજબ વર્ષ 2017માં સુરતના ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં આવેલા એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈન મુનિ એવા આરોપી શાંતિસાગરે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાવતાં આરોપી શાંતિસગારની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.

ધાર્મિક વિધિના બહારને યુવતીના નગ્ન ફોટા મંગાવ્યા

મૂળ મધ્યપ્રદેશની પણ વડોદરામાં રહેતી 19 વર્ષીય શ્રાવિકા યુવતી વર્ષ 2017માં પોતાના પરિવાર સાથે સુરત ખાતે ધાર્મિક વિધિ માટે આવી હતી. બાદમાં આરોપી મુનિ શાંતિસાગરે તેને એકાંત રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ શાંતિસાગરે પહેલા તેના માતા-પિતાને ચંદનના લાકડાથી ઘેરાયેલા કુંડાળામાં બેસાડ્યાં અને ‘ઓમ રીં શ્રી ધનપતિ કુબેરાય નમઃ’નો જાપ કરાવવાનું કહ્યું. પછી યુવતીને આ કુંડાળામાંથી મારી પરવાનગી વગર બહાર ન જવાનું કહ્યું હતું.

આ પણ વાંચો:  મંદિર માટે બે સાધુઓ બાખડ્યા, અંતે બંનેને બાબાસાહેબનું બંધારણ યાદ આવ્યું!

આચાર્ય શાંતિસાગરે યુવતી પાસે ધાર્મિક વિધિની તૈયારી માટે તેના નગ્ન ફોટા મગાવ્યા હતા. તેણે તસવીરો માટે કેટલીક વખત ફોન અને વ્હોટ્સએપનો ઉપયોગ કર્યો હતો અને યુવતીને જણાવ્યું હતું કે “મને તારો મિત્ર સમજો. નગ્ન ફોટો વિધિ માટે જરૂરી છે.”

‘હું કહું એ પ્રમાણ કર, નહીં તો તારાં માતા-પિતા મૃત્યુ પામશે’

પીડિતાનું કહેવું છે કે શાંતિસાગર મહારાજના પ્રવચનથી મંત્રમુગ્ધ થઈ તેણે પરિવાર સાથે તેની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નક્કી કર્યું હતું. તેણે રાત્રિરોકાણની વાત કહી, ઉપાશ્રય ખાતે બધાને રોક્યા હતા. રાત્રે વિધિ દરમિયાન શાંતિસાગરે યુવતીનાં માતા-પિતાને કુંડાળામાં બેસાડી, તેના ભાઈને બીજા રૂમમાં મોકલી દીધો હતો અને યુવતીને પવનના ઝોંકા અને મોરપંખથી શારીરિક રીતે સ્પર્શ કર્યો. પછી યુવતીને અન્ય ખંડમાં લઈ જઈને કહ્યું કે “તું તારાં માતા-પિતાને સુખી જોવા માંગે છે ને? તો હું કહું એ પ્રમાણે ચાલ, નહીંતર તેમનું મૃત્યુ થશે.” એ પછી લાઈટ બંધ કરીને તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું.

યુવતીએ ફરિયાદ નોંધાવી

પીડિતા કોલેજમાં ભણતી હતી અને દુષ્કર્મની ઘટના પછી પેટ તથા ગુપ્તાંગમાં દુખાવાના કારણે બેભાન થઈ ગઈ હતી. એ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારજનોના સહકાર અને યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યાં અને એ આધારે જૈન મુનિ શાંતિસાગરની ઓક્ટોમ્બર 2017માં ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં પોલીસે મેડિકલ રિપોર્ટ, પીડિતાનું નિવેદન અને ડિજિટલ પુરાવાઓ આધારે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી બાદ આજે જજ દ્વારા મુનિ શાંતિસાગરને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

આજે આરોપી મુનિને સજા સંભળાવાશે

અત્યારે દોષિત મુનિ શાંતિસાગર જેલમાં છે. કોર્ટમાં ગઈકાલે જાહેર થયેલા ચુકાદા બાદ આજે તેને સજા સંભળાવાશે. ગુનો ગંભીર હોવાથી તેને લાંબી જેલસજાની સંભાવના છે. આ કેસ જૈન સમાજમાં અને સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

50થી વધુ સાક્ષીઓ, 60થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા

સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, કેસની ગંભીરતા અનુસાર સરકાર પક્ષ દ્વારા દલીલ રજૂ કરવામાં આવશે. કેસમાં જે જોગવાઈઓ છે અને જે કલમો લાગું પડે છે, તે અનુસાર ઓછામાં ઓછી સજા સાત વર્ષ અને મહત્તમ આજીવન કેદની જોગવાઈ છે. કેટલી સજા કરવી, વધુ કેટલી કરવી તે તમામ દલીલો અમે કોર્ટ સમક્ષ કરીશું. આ કેસમાં કુલ 50થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. 60થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ પુરવાર કરવામાં આવ્યા છે.

એડિશનલ સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, શાંતિસાગર મહારાજને આજે રેપ કેસમાં દોષી ઠેરવ્યા છે. ભોગ બનનારને તેના માતા-પિતા સાથે આશીર્વાદ અપાવવાના બહાને બોલાવી, તંત્ર-મંત્રના નામે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગુરુ ઉપર વિશ્વાસ હતો, આ કારણે પીડિતા ગઈ હતી. ગુરુ માતા-પિતા કરતાં પણ વિશેષ હોય છે અને તેની સાથે આ અધમ કૃત્ય આચરવામાં આવ્યું, જેથી આરોપીએ ગંભીર ગુનો કરેલો હોય અને તેને દોષિત ઠેરવવા જોઈએ તેવી દલીલ અમારી દ્વારા કરવામાં આવી હતી. જે કોર્ટે માન્ય રાખી હતી. હવે મુનિને સજા થશે.

આ પણ વાંચો: માથાભારે પટેલે દલિતોનું સ્મશાન પચાવી પાડી ઘઉં વાવી દીધાં

1 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x