Kafalta massacre: જાતિવાદથી ખદબદતા ભારત દેશમાં ખાસ કરીને ઉત્તર ભારતના પટ્ટામાં સવર્ણો પોતાને કાયદાથી પર સમજે છે. આઝાદી પછી બંધારણ અને કાયદાનું શાસન આવ્યું તે અમુક સવર્ણ જાતિઓને ખટકતું હતું. કેમ કે, તેમાં સૌને સમાન ગણવામાં આવ્યા હતા, જ્યારે આ સવર્ણો પોતાને કાયદાથી પણ પર સમજતા હતા અને દલિતો, આદિવાસીઓ અને ઓબીસી પર અત્યાચાર કરવાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગણતા હતા. પોતાની જાતિના ખોટા અભિમાનમાં એ વખતે અનેક મોટા હત્યાકાંડો થયા હતા. ગઈકાલે દિહુલી હત્યાકાંડના બાકી બચેલા ત્રણ આરોપીઓને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે ત્યારે આવા જ અન્ય એક હત્યાકાંડની યાદો પર તાજી થઈ ગઈ છે, જેમાં ભગવાન નારાજ થઈ જશે અને તેમનું માન જાળવવું જોઈએ તેવી એક મનુવાદીની જીદને દલિત વરરાજા તાબે ન થતા એક જ ઘરમાં પૂરીને 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવી દીધા હતા.
કેવી રીતે કફલ્ટા નરસંહાર થયો?
9 મે, 1980 ના રોજ ઉત્તરાખંડ(Uttarakhand)ના અલ્મોડા (Almoda)જિલ્લાના કફલ્ટા ગામ(Kafalta village)માં બનેલી ઘટનાએ માત્ર રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ દિવસ ઉત્તરાખંડના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાયો, જ્યારે દલિત વરરાજાની જાનમાં સામેલ 14 દલિત જાનૈયાઓને જાતિવાદી સવર્ણોએ એક જ ઘરમાં પુરીને જીવતા સળગાવી દીધા હતા. સળગતા ઘરમાંથી જેઓ બચીને બહાર નીકળ્યાં તેમને પકડીને મારી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાએ ભારતમાં જાતિવાદ અને સામાજિક અસમાનતાની ખાઈને વધુ પહોળી બનાવી દીધી હતી.
સવર્ણ મહિલાઓની જીદમાંથી વિવાદ ઉભો થયો
૯ મે, ૧૯૮૦ ના રોજ, અલ્મોડા જિલ્લાના બિરલગાંવમાં દલિત લુહાર જાતિના શ્યામ પ્રસાદના લગ્નની જાન કફલ્ટા ગામમાંથી પસાર થઈ રહી હતી. વરરાજાની સાથે મોટી સંખ્યામાં જાનૈયા પણ હતા. જેવી જાન કફલ્ટા ગામ પહોંચી કે તરત સવર્ણ જાતિની કેટલીક મહિલાઓ દલિત વરરાજાની સામે આવીને ઉભી રહી ગઈ અને વરરાજાને કહ્યું કે, ભગવાન બદરીનાથ પ્રત્યે સન્માન બતાવીને તેમણે પાલખીમાંથી નીચે ઉતરીને મંદિર સુધી ચાલીને જવું જોઈએ. જો કે આમાં બદરીનાથ પ્રત્યેનું સન્માન તો માત્ર એક બહાનું હતું. હકીકતે સવર્ણ મહિલાઓને એક દલિત યુવક ઘોડે ચઢીને પોતાની વસ્તીમાંથી જાન લઈને નીકળે તે ગમતી વાત નહોતી. પણ સીધી રીતે તેઓ દલિત વરરાજા કે જાનને અહીંથી ન નીકળો તેમ કહી શકે તેમ નહોતી. એટલે તેમણે બદરીનાથના સન્માનનું કારણ આગળ ધર્યું હતું.
આ પણ વાંચો: Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?
બાકી દલિત વરરાજો ઘોડે ચડીને જાન લઈને જાય તેમાં બદરીનાથને શું વાંધો હોય? પણ વરરાજા માન્યા નહોતા અને તેમણે પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને પાલખી પર બેસીને જ જાન આગળ ધપાવી. બસ, સવર્ણ મહિલાઓને આ વાત ખટકી ગઈ. એ પછી સામાન્ય લાગતો આ મામલો એક મોટો વિવાદ બની ગયો.
મંદિર કફલ્ટા ગામના બીજા છેડે હોવાથી દલિતો મંદિરની સામે પાલખીમાંથી નીચે ઉતરવા સંમત થયા, પરંતુ ગામમાં પહોંચતા જ વરરાજા સહિત બધાં પગપાળા જાય તે તેમને મંજૂર નહોતું. આથી ગુસ્સે થઈને ગામના કેટલાક ઉચ્ચ જાતિના તત્વોએ શ્યામ પ્રસાદને તાત્કાલિક પાલખીમાંથી નીચે ઉતરી જવાની માંગ કરી, જેનાથી વિવાદ વધુ વકર્યો.
ખીમાનંદ નામના નિવૃત્ત સૈનિકની હત્યા થઈ અને સ્થિતિ વણસી
આ આખા વિવાદમાં ઘી હોમવાનું કામ ખીમાનંદ નામના એક નિવૃત્ત સૈનિકે કર્યું હતું. કટ્ટર જાતિવાદી ખીમાનંદે પોતાની નિવૃત્ત સૈનિક તરીકેની છબિનો ઉપયોગ કરીને વરરાજાની પાલખી ઉથલાવી દીધી. એ પછી જાનમાં આવેલા દલિતો પણ ઝાલ્યા ન રહ્યાં. આ ઘટના તેમના માટે અપમાન હતી અને તેમણે ખીમાનંદને ત્યાં જ ઘેરી લીધો અને માર મારીને પતાવી દીધો. ખીમાનંદની હત્યાની જાણ થતા સવર્ણો ખૂબ ગુસ્સે થયા અને તેમણે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી.
6 દલિતોને ઘરમાં પુરી સળગાવ્યા, બચી ગયા તેમને ખેતરમાં મારી નાખ્યા
ખેમાનંદની હત્યા પછી, સવર્ણોએ બદલો લેવાની યોજના બનાવી. દરમિયાન દલિતો જીવ બચાવવા માટે તેઓ કફલ્ટા ગામમાં રહેતા એકમાત્ર દલિત નરી રામના ઘરમાં આશ્રય લેવા ગયા. પરંતુ સવર્ણોએ નરી રામના ઘરને ઘેરી લીધું, તેની છત તોડી નાખી અને ઘરને આગ લગાવી દીધી. આ ભયાનક આગમાં છ લોકો બળીને ખાખ થઈ ગયા હતા, અને જે લોકો બારીઓમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા તેમને ખેતરોમાં દોડાવી-દોડાવીને માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ હત્યાકાંડમાં કુલ ૧૪ દલિતોના જીવ ગયા હતા.
જગત પ્રકાશ નામનો 16 વર્ષનો છોકરો બચી ગયો
હત્યાકાંડમાં જે કંઈપણ બન્યું હતું તેને યાદ કરતાં, 16 વર્ષીય જગત પ્રકાશે કહ્યું કે તે જેમતેમ કરીને પોતાનો જીવ બચાવવામાં અને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે તેને દોડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ત્યારે સવર્ણોએ તેને પકડી લીધો અને કફલ્ટા ગામમાં પાછા લઈ ગયા. તેને સળગતા ઘરમાં ફેંકી દેવાની તૈયારી હતી, પરંતુ હરક સિંહ નામના એક દુકાનદારે ગુસ્સે ભરાયેલા ટોળાને શાંત પાડ્યું અને તેને ગાયો અને ભેંસોથી ભરેલાં તબેલામાં છુપાવી દીધો. પોલીસે ત્રણ દિવસ પછી જગત પ્રકાશને બચાવી લીધો હતો.
લાંબી કાયદાકીય લડત બાદ ન્યાય મળ્યો
આ ઘટનાએ સમગ્ર દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. પહેલા નીચલી અદાલત અને પછી હાઈકોર્ટે પુરાવાના અભાવે આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ આખરે ૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે ૧૬ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ત્રણ આરોપીઓના મોત થયા હતા. કફલ્ટા હત્યાકાંડે જાતિવાદ અને સામાજિક અસમાનતાના કદરૂપા સત્યને ઉજાગર કર્યું હતું.
જાતિના મિથ્યાભિમાનનું કાળું પ્રકરણ
આ હત્યાકાંડે ભારતીય સમાજમાં જાતિવાદના એક કાળા પ્રકરણને ખોલીને સ્પષ્ટ કર્યું કે, દેશ ભલે આઝાદ થઈ ગયો, પણ સવર્ણ જાતિના તત્વો હજુ પણ પોતાને કાયદાથી પર સમજતા હતા અને ધર્મની આડમાં દલિતોને દબાવવા અને તેમની સાથે ભેદભાવ કરવામાં કોઈની પણ પરવા નહોતા કરતા. આ પીડાદાયક ઘટનાએ માત્ર એક સમાજને જ નહીં, પરંતુ સમગ્ર દેશને વિચારવા મજબૂર કરી દીધો કે જાતિવાદની ખાઈ ક્યારે પુરાશે. ૯ મે ૧૯૮૦નો એ કાળો દિવસ દલિતોને કાયમ યાદ રહેશે જ્યારે જાતિના મિથ્યાભિમાન અને કથિત ભગવાનના સ્વમાનની આડમાં જ દલિતોને તેમની હેસિયત બતાવવા માટે નીકળી પડ્યાં હતા અને પછી કાયદાએ તેમને જેલમાં ધકેલી દીધાં હતા.
આ પણ વાંચો: Dihuli massacre: 24 દલિતોની હત્યામાં 44 વર્ષે ન્યાય મળશે
તમામ ગુનૈગારોને ફાંસી આપવામાં આવે…