રાજસ્થાનમાં કાલબેલિયા અનુસૂચિત જાતિ સમાજના બાળકો સાથે શાળાઓમાં જાતિ આધારિત ભેદભાવ થતો હોવાના રિપોર્ટ્સ આવ્યા બાદ કાલબેલિયા સમાજ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાની અલગથી શાળા ખોલવાનો નિર્ણય લીધો છે. આ શાળામાં દરેક સમાજના બાળકો અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
મામલો શું છે?
પોતાની અદ્દભૂત કળા અને નૃત્યને કારણે વિખ્યાત કાલબેલિયા સમાજને કેટલાક લોકો નીચલી જાતિ માને છે, જેના કારણે તેમના બાળકો સાથે શાળાઓમાં ભેદભાવ કરવામાં આવે છે. ઘણી વખત કાલબેલિયા સમાજના બાળકોને અન્ય સમાજના બાળકો સાથે રમવા અને વાતચીત કરતા અટકાવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં શિક્ષકો દ્વારા કાલબેલિયા બાળકો સાથે દુર્વ્યવહારની ફરિયાદો પણ મળી છે. આ બધી બાબતોથી કંટાળીને પુષ્કરના વિચરતી જાતિના કાલબેલિયા પરિવારોએ રેતીના ટેકરાઓમાં પોતાની શાળા ખોલી છે. એક જ રૂમમાં ચાલતી આ શાળામાં બાળકોને ભણાવવા માટે અલગ શિક્ષકો પણ છે.
આ પણ વાંચો: ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો
આ શાળા બાળકોમાં પેદા થઈ રહેલી હીન ભાવનાને વિકસતી રોકવા માટે ખોલવામાં આવી છે. આ શાળા એક નાના ઓરડામાં ખોલવામાં આવી છે જ્યાં બાળકોને ભલે મૂળભૂત સુવિધાઓ ન મળતી હોય, પરંતુ આ નાના ઓરડામાં 70 બાળકો કોઈપણ પ્રકારની હીન ભાવના વિના સંપૂર્ણ સમર્પણ સાથે અભ્યાસ કરે છે. આ શાળામાં બે શિક્ષકો પુષ્કરથી આવે છે અને બાળકોને ભણાવે છે. જેના બદલામાં સમાજના લોકો તેમને પગાર આપે છે.
શા માટે પોતાની શાળા ખોલવી પડી?
કાલબેલિયા સમાજ, જેને ખાનાબદોશ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ તેમના નૃત્ય કૌશલ્ય માટે પ્રખ્યાત છે. પરંતુ સમય જતાં આ સમાજના લોકો પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાવા માંગે છે. તેઓ પોતાનું વિચરતી જીવન છોડીને એક જગ્યાએ કાયમી સ્થાયી થવા માંગે છે. આ સમાજના લોકોએ કહ્યું કે તેઓ તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીને સારા માણસો બનાવવા માંગે છે જેથી તેમના બાળકો પણ ઉચ્ચ સ્તરનું જીવન જીવી શકે. જેના કારણે તેમણે એક એવી શાળા બનાવી જેમાં 70 બાળકો એકસાથે અભ્યાસ કરે છે જેથી તેઓ સરકારી અને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવી શકે અને તેમને ટોણા, ઠપકો અને ભેદભાવનો સામનો ન કરવો પડે.
કાલ્બેલિયા કોણ છે?
કાલબેલિયા એ રાજસ્થાનના આદિવાસી જૂથોમાંનો એક સમૂહ છે. એક સમયે ગુજરાતના વાદી-મદારી સમાજની જેમ આ લોકો પણ સાપ પકડીને ગામડાઓમાં તેના ખેલ બતાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કાલબેલિયા સમાજને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે. તેમની સૌથી વધુ વસ્તી રાજસ્થાનના પાલી જિલ્લામાં છે, ત્યારબાદ અજમેર, ચિત્તોડગઢ, ઉદયપુર અને બાડમેરનો સમાવેશ થાય છે. આ એક વિચરતી જાતિનો સમૂહ છે. પ્રાચીન સમયમાં આ લોકો વિચરતું જીવન જીવતા હતા. તેમનો પરંપરાગત વ્યવસાય સાપના કરતબો બતાવીને પોતાનું ગુજરાન ચલાવવાનો છે. સ્ત્રીઓ પણ નૃત્ય કરે છે, તેથી આ લોકનૃત્યનું સ્વરૂપ અને તે કરનારા કલાકારોના પોશાકમાં સાપ સાથે જોડાયેલી ચીજો ઝળકતી જોવા મળે છે. કાલબેલિયા લોકનૃત્ય પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
जातिवाद और छुआछूत के जहर ने हजारों सालों से दलित, पिछड़ों और घुमंतू समुदायों को हाशिए पर रखा है। जब कालबेलिया बच्चों को खुद अपना स्कूल खोलना पड़े, तो यह धर्म ठेकेदारों के खोखले आदर्शों की असली तस्वीर दिखाता है। शिक्षा और सम्मान हर इंसान का हक हैं। pic.twitter.com/gE3cNVmEUl
— Tribal Army (@TribalArmy) March 6, 2025
જો કે, જાતિવાદી તત્વોને આ સમાજનું નૃત્ય પસંદ આવે છે પણ તેમના બાળકો સારું શિક્ષણ મેળવીને તેમની બરોબરી કરે તે પસંદ નથી. પરિણામે કાલબેલિયા બાળકો સાથે સ્કૂલોમાં તેમની જાતિના આધારે સતત ભેદભાવ કરવામાં આવતા હતા. પણ હવે આ સમાજે પોતાના બાળકોને પોતે જ ભણાવશે તેવું નક્કી કરી લીધું છે.
આ પણ વાંચો: હિન્દીએ અવધી, બુંદેલી સહિત 25 ભાષાઓનો નાશ કર્યો: MK Stalin