સરકારી ચોપડે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદના સ્મશાનોમાં મૃતકના અગ્નિસંસ્કાર ટાયર અને ગોદડા સળગાવીને કરવી પડી છે. અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો ના હોવાની ઘટના સામે આવી છે. સ્મશાન ગૃહ તરફથી અંતિમવિધિ માટે ભીના લાકડા આપવામાં આવ્યા હતાં. લાકડા ભીના હોવાથી સળગવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી. જેથી મૃતકના સ્વજનોએ સ્મશાન ગૃહમાં હાજર વ્યક્તિ પાસે સૂકા લાકડા માંગ્યા હતા. પરંતુ સૂકા લાકડા આપવામાં ન આવતા આખરે મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા નાખી અંતિમવિધિ કરવી પડી હતી. કરોડોનો ખર્ચ કરવા છતાં આ પ્રકારની સ્થિતિ ઊભી થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
મૃતકના પરિવારજન હિતેશ માળીએ જણાવ્યું હતું કે, “અમને ભીના લાકડા આપવામાં આવ્યા હતાં. રાત્રે 5 જેટલા મૃતદેહને અંતિમવિધિ માટે લાવવામાં આવ્યા હતા. સૂકા લાડકા ના હોવાથી અમને ભીના લાકડા આપવામાં આવ્યા હતાં. હાજર વ્યક્તિને કહેવા છતાં સૂકા લાકડા આપવામાં આવ્યા નહીં. જેના કારણે મૃતદેહ સળગવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. જેથી ત્રણ ઘણું ઘી, તલ સહિતની સામગ્રી લાવવી પડી હતી. આ ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે જ બની છે.”
આ પણ વાંચો: IPS Puran Kumar ના મૃતદેહનું 4 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ ન થયું
મૃતકના પરિવારજન રમેશભાઈ માળીએ જણાવ્યું હતું કે, “અમે મૃતદેહ લઈને ગયા ત્યારે લાકડાં માંગ્યા હતા. હાજર વ્યક્તિએ કહ્યું કે, સામે લાકડા પડ્યા છે લઈ લેજો. ગોડાઉનમાં જોયું તો લાકડા નહોતા, બજાર લાકડા પડ્યા હતા. પરંતુ વરસાદ ચાલુ હોવાથી તે ભીના થઈ ગયાં હતા. જેથી મૃતદેહ જલ્દી સળગે તે માટે સૂકા લાકડા માંગવામાં આવ્યા હતાં. ત્યારે હાજર વ્યક્તિ કહ્યું કે જે છે તે આજ છે સૂકા લાકડા મારી પાસે નથી. 11 વાગ્યે ગયા હતા અને સવારે 5 વાગ્યે ઘરે આવ્યા છીએ. જેમ તેમ કરીને મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કરી છે.”
આ મામલે એએમસીમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે. જેનું વાર્ષિક બજેટ 15 હજાર કરોડ કરતા પણ વધુનું હોય છે. ત્યાં એક શર્મનાક ઘટના સામે આવી છે.
એક તરફ સડક, ગટર અને બ્રિજના મામલે AMCમાં ભાજપના રાજમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર તો કરે જ છે. પરંતુ તેના કરતાં પણ વધુ શર્મનાક કે ઘટના ઓઢવમાંથી સામે આવી છે. ઓઢવ વિસ્તારના સ્મશાન ગૃહમાં એક પરિવાર મૃતકની અંતિમવિધિ માટે જાય છે. જ્યાં અંતિમવિધિ માટે સ્મશાન ગૃહમાં લાકડા પણ હોતા નથી. ચાર કલાક રાહ જોયા બાદ પરિવારે અંતિમવિધિ કરવા માટે ટાયરનો ઉપયોગ કરવો પડ્યો હતો. સ્મશાન ગૃહના લાકડામાં પણ હવે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આ મુદ્દાને લઈને ઉગ્ર આંદોલન કરશે.
આ પણ વાંચો: મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ












Users Today : 112