દલિત યુટ્યુબરના ઘરમાં ટોળાંએ મળ-મૂત્ર ફેક્યું

Savukku Shankar: દલિત યુટ્યુબરે કૌભાંડનો પર્દાફાશ કરતા 20 જેટલા લોકોએ આવીને તેમના ઘરમાં માનવ મળ અને ગટરનું ગંદુ પાણી ફેંકી તેમની 70 વર્ષની વૃદ્ધ માતાને દીકરાને મારી નાખવાની ધમકી આપી.
Savukku Shankar

Savukku Shankar Home Attack: ભારતમાં હવે ખરું પત્રકારત્વ કરવું જોખમી બનતું જઈ રહ્યું છે. ગમે ત્યારે ગમે તે સેના કે ગેંગનું ટોળું આવીને સત્ય બોલનાર પત્રકાર પર હુમલો કરી દે છે, ધમકી આપે છે કે અને હત્યા કરતા પણ ખચકાતા નથી. આવું જ કંઈક ચેન્નાઈના જાણીતા યુટ્યુબર (Youtuber) અને દલિત સમાજમાંથી આવતા પત્રકાર સાવક્કુ શંકર (Savukku Shankar) સાથે થયું છે. જેમના ઘર પર તોફાની ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો અને માનવ મળ તથા અન્ય ગંદકી ફેંકીને તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ટોળાંએ હુમલો કર્યો ત્યારે ઘરમાં તેમની વૃદ્ધ માતા એકલી ઘરે હતી, ટોળાંએ તેમની સાથે પણ ગેરવર્તન કર્યું.

મીડિયા રિપોર્ટ મુજબ ગત સોમવારે સવારે અચાનક 20 થી વધુ લોકો, જેમાં કેટલાક સફાઈ કર્મચારીઓના વેશમાં હતા, તેઓ ચેન્નાઈ નજીક કિલપૌક વિસ્તારમાં આવેલા સાવુક્કુ શંકર(Savukku Shankar) ના ઘરમાં ઘૂસી ગયા હતા. તે વખતે તેમની 70 વર્ષની માતા કમલા એકલી ઘરે હતી. હુમલાખોરોએ ઘરનો દરવાજો તોડી નાખ્યો, ઘરમાં તોડફોડ કરી અને ગટરનું ગંદુ પાણી, કાદવ અને માનવ મળમૂત્ર અંદર ફેંક્યું. એટલું જ નહીં, તેમણે સાવુક્કુ શંકરની માતાને ધમકી આપી કે ‘આ વખતે તો છોડી દઈએ છીએ પણ આગલી વખતે ઘરને આગ લગાવી દઈશું!’

કમલા કંઈ સમજે તે પહેલાં જ હુમલાખોરોએ તેનો ફોન છીનવી લીધો અને વીડિયો કોલ દ્વારા શંકરને ધમકી આપી. એ પછી તેમણે ઘરની બહાર વિરોધ ચાલુ રાખ્યો. ટોળાંએ શંકરની ધરપકડની માંગ શરૂ કરી. શંકરે હુમલાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાં સ્પષ્ટપણે બદમાશો ઘરમાં ગંદકી ફેંકતા દેખાતા હતા.

આ પણ વાંચો:  આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા

તમિલનાડુના મીડિયામાં મોટું નામ ગણાતા પત્રકાર સાવુક્કુ શંકર (Savukku Shankar) સાથે આવું કેમ થઈ રહ્યું છે? આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત સીવર સફાઈ માટે ખરીદવામાં આવેલા ટ્રકોમાં થયેલા ભ્રષ્ટાચારના કેસથી શરૂ થાય છે. તાજેતરમાં, સાવુક્કુ શંકરે તેમની યુટ્યુબ ચેનલ ‘સાવુક્કુ મીડિયા’ પર સીવર ટ્રકોની ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આમાં મોટા નેતાઓ અને અધિકારીઓ સામેલ છે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

શંકર માને છે કે આ હુમલો આ કારણોસર થયો હતો. તેમણે ચેન્નાઈ પોલીસ કમિશનર એ. અરુણ પર સીધો આરોપ મૂક્યો કે, આ બધું તેમના ઈશારે થયું છે. શંકરે કહ્યું, ‘મેં ફક્ત વાહનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર વિશે વાત કરી હતી, મેં સફાઈ કર્મચારીઓ વિરુદ્ધ કંઈ કહ્યું નથી.’ શંકરનું કહેવું છે કે પોલીસને જાણ કર્યા પછી પણ ફક્ત એક સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ આવ્યા, અને હુમલાખોરો કલાકો સુધી ત્યાં જ રહ્યાં.

ઉલ્લેખનીય છે કે શંકર તેમના સ્પષ્ટ નિવેદનો અને ખુલાસા માટે પ્રખ્યાત છે. તેમણે રાજ્યની ભ્રષ્ટાચાર વિરોધી ટુકડીમાં સેવા આપી છે. તેઓ તમિલનાડુના એન્ટિ કરપ્શન વિભાગમાં કામ કરતા હતા. 2008 માં તેમણે એક ટેપ લીક કરી હતી જેમાં ભ્રષ્ટાચાર અંગે બે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચેની વાતચીત હતી. આ મામલો તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતા સાથે સંબંધિત હતો. એ પછી તેને ઘણું અપમાન સહન કરવું પડ્યું હતું.

એ પછી શંકરની ધરપકડ કરવામાં આવી હતી અને કથિત રીતે કસ્ટડીમાં થર્ડ-ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યા હતા. જામીન પર મુક્ત થયા બાદ, તેમણે 2010 માં ‘સાવુક્કુ’ વેબસાઇટ શરૂ કરી, જેને તમિલનાડુનું વિકિલીક્સ કહેવામાં આવે છે. આ વેબસાઇટે જ 2G કૌભાંડની ટેપ લીક કરી હતી. ઉપરાંત જયલલિતાને નિર્દોષ જાહેર કરવામાં પણ ગોટાળો થયો હોવાનો પર્દાફાશ થયો હતો. તેમની યુટ્યુબ ચેનલના 5 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

અહીં એ નોંધવું રહ્યું કે આ ખુલાસાઓ માટે તેમને સતત મોટી કિંમત ચૂકવવી પડી છે. ૨૦૧૪માં તેમની વેબસાઇટ બ્લોક કરવામાં આવી હતી, ૨૦૨૨માં હાઈકોર્ટે તેમને ૬ મહિનાની જેલની સજા ફટકારી હતી. એ પછી પણ સાવુક્કુ અટક્યા નથી.

આ હુમલા પછી પોલીસ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે, તેથી તમિલનાડુ સરકારે આ કેસ ક્રાઈમ બ્રાન્ચ-ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સીબી-સીઆઈડીને સોંપ્યો છે. શંકર કહે છે કે તેઓ કાનૂની લડાઈ લડશે.

જોકે, ઘણા નેતાઓ અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે આ હુમલાની નિંદા કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજો કિસ્સો છે જ્યારે અભિવ્યક્તિની સ્વતંત્રતા જોખમમાં હોય તેવું લાગે છે. આ પહેલા કોમેડિયન કુણાલ કામરાના નિવેદન પર શિવસેના શિંદે ગ્રુપ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું.

આ પણ વાંચો: અમરેલીના બાબાપુરમાં દલિતોની 90 એકર જમીન સરકારે પડાવી લીધી?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x