નાગા બાવાઓએ દલિત વ્યક્તિને જાતિસૂચક ગાળો ભાંડતા પોલીસ ફરિયાદ

દલિત સંગઠનોએ માંગ કરી છે કે આ મામલાને હળવાશથી લેવાને બદલે આરોપીઓ સામે તાત્કાલિક એટ્રોસિટી એક્ટની કલમો ઉમેરીને તેમની ધરપકડ કરવામાં આવે.
dalit hurled naga sadhus

સાધુસંતો વિશે કહેવાય છે કે તેઓ ધર્મ-નાત-જાતના વાડાઓથી પર હોય છે. પણ આ તો હિંદુ ધર્મ છે અને અહીં તો સાધુ બન્યા પછી પણ બાવલાઓ અસ્પૃશ્તા પાળતા હોય છે. આવી જ એક ઘટનામાં કેટલાક નાગા બાવાઓએ એક દલિત વ્યક્તિ અને ભૂતપૂર્વ મંત્રી વિશે ખૂલ્લેઆમ જાતિસૂચક અપશબ્દોનો ઉપયોગ કરતા હોબાળો મચી ગયો હતો.

મામલો મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ગૈરતગંજ તાલુકાના કેમ્પા ગામનો છે. જ્યાં નાગા બાવાઓના એક જૂથે એક દલિત નાગરિક અને મધ્યપ્રદેશ સરકારના ભૂતપૂર્વ મંત્રીને ખુલ્લેઆમ જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. જેને લઈને વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરતા કેસ નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી ગોરેલાલ અહિરવાર વ્યવસાયે જૂતા પોલિશ કરનાર છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રસ્તાની બાજુમાં એક નાની દુકાન ચલાવે છે. ૫ એપ્રિલના રોજ કેટલાક નાગા બાવાઓ તેમની દુકાન પાસે આવ્યા અને તેમને જાતિગત અપશબ્દો કહ્યા.

સમગ્ર ઘટના યાદ કરતા ગોરેલાલ અહિરવારે જણાવ્યું હતું કે, “સાંજે, કેટલાક નાગા બાવાઓ તેમની બોલેરો કારમાં બેસીને આવ્યા હતા. જ્યારે મેં તેમના ડ્રાઇવરને દુકાનની સામેથી વાહન દૂર ખસેડવા કહ્યું, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને મારી જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલીને મારું અપમાન કર્યું. જ્યારે મેં વિરોધ કર્યો ત્યારે તેમણે મને ધમકી આપી કે તેઓ મને છોડશે નહીં.”

દલિત સમાજના ભૂતપૂર્વ મંત્રીને પણ ગાળો ભાંડી

આરોપી નાગા બાવાઓની કરતૂતો આટલેથી અટકી નહોતી. તેમણે મધ્યપ્રદેશ સરકારના ભૂતપૂર્વ મંત્રી અને હાલમાં સાંચીના ધારાસભ્ય એવા ડૉ. પ્રભુરામ ચૌધરી પર પણ જાતિગત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ડૉ. ચૌધરી પોતે દલિત સમાજમાંથી આવે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર નાગા બાવાઓએ નેતાજીને નિશાન બનાવ્યા, તેમને “દલિત નેતા” કહ્યા અને અપશબ્દોનો ઉપયોગ કર્યો.

પોલીસે એટ્રોસિટી એક્ટની કલમો ન ઉમેરી

આ મામલે જ્યારે ફરિયાદી ગૈરતગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યાં ત્યારે તેમને કલાકો સુધી ત્યાં બેસાડી રાખવામાં આવ્યા અને રિપોર્ટ નોંધવામાં પણ આનાકાની કરવામાં આવી. અનેક કલાકોની કોશિશ પછી 6 એપ્રિલે FIR દાખલ કરવામાં આવી, પરંતુ તેમાં ફક્ત ગાળાગાળી અને ધમકીની કલમો જ લગાવવામાં આવી હતી. ફરિયાદીએ તેમાં SC/ST અત્યાચાર નિવારણ કાયદો, જે આવા કેસોમાં ફરજિયાત છે, તેની કલમ ઉમેરવા પોલીસને જણાવ્યું હતું. પણ પોલીસે તે ઉમેરી નહોતી.

આ પણ વાંચો: ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ દબાવેલી 300 વીઘા જમીન દલિતોને મળશે

અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ મુજબ, કોઈપણ દલિત વ્યક્તિ સાથે તેની જાતિના આધારે ગાળાગાળી કરવી, તેનું અપમાન કરવું એ બિનજામીનપાત્ર ગુનો છે જેમાં કડક સજા થઈ શકે છે.

પોલીસે કોના દબાણ હેઠળ ઢીલી કામગીરી કરી?

સ્થાનિક દલિત સમાજ અને સામાજિક કાર્યકરોનો આરોપ છે કે આ મામલામાં વિલંબ એટલા માટે થયો કારણ કે કેન્દ્રીય કૃષિ મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 6 એપ્રિલે ગૈરતગંજની મુલાકાત લેવાના હતા. વહીવટીતંત્ર ઇચ્છતું ન હતું કે કોઈ વિવાદ તેમના કાર્યક્રમને અસર કરે.

આ ઘટનામાં આઝાદ સમાજ પાર્ટીના નેતા સુનિલ અસ્તેએ મીડિયાને જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે, પરંતુ સરકાર અને વહીવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. રાયસેન ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે નાગા બાવાઓ દ્વારા દલિતો પર જાતિસૂચક અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તો પોલીસે અત્યાર સુધી આરોપીઓ સામે કડક કાર્યવાહી કેમ નથી કરી?

જ્યાં સુધી આરોપીઓને જેલમાં મોકલવામાં નહીં આવે ત્યાં સુધી એવું માનવામાં આવશે કે પોલીસ મનુવાદી તાકાતોના દબાણ હેઠળ કામ કરી રહી છે. અમે આ ઘટનામાં ન્યાય અપાવવા માટે રાયસેન જઈ રહ્યા છીએ.”

દલિત સમાજમાં આક્રોશ

ઘટના બાદ દલિત સમાજમાં ભારે આક્રોશ છે. સામાજિક સંગઠનો અને દલિત સમાજના નેતાઓએ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગુનેગારો સામે SC/ST એક્ટની કલમો ઉમેરવા અને તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.

દલિત સમાજ અને સામાજિક સંગઠનોએ એક સ્વરમાં માંગ કરી છે કે આ મામલાને હળવાશથી લેવાને બદલે આરોપીઓ સામે તાત્કાલિક SC/ST અત્યાચાર નિવારણ કાયદાની કલમો ઉમેરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે. ઉપરાંત, પીડિત ગોરેલાલ અહિરવારને સુરક્ષા પૂરી પાડવામાં અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ સામે વિભાગીય કાર્યવાહી થવી જોઈએ. તેમનું કહેવું છે કે આ ફક્ત એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર દલિત સમાજનું અપમાન છે અને તેને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: 14 દિવસથી દલિત વિદ્યાર્થી PhD એડમિશન માટે ધરણાં પર બેઠો છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*આવા બુદ્ધિહીન નાગા સાધુ બાવા ભારત ને નાગુ કરી દેશે એમાં કોઈ બેમત નથી. આવા ભિખારી બાવાને તાત્કાલિક અસરથી જેલભેગા કરવામાં આવે, એ જ પોલીસ પ્રશાસનનું કર્તવ્ય છે…! જયભીમ!

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x