લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુખ્યધારાના મીડિયામાં એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોની ભાગીદારી કેટલી છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સમાં જ સવાલ ઉઠાવ્યો હતો. રાહુલે પૂછ્યું હતું કે, અહીં હાજર પત્રકારોમાં કેટલા દલિત, આદિવાસી અને ઓબીસી સમાજમાંથી આવે છે? જેના જવાબમાં સોંપો પડી ગયો હતો, કેમ કે મોટાભાગના પત્રકારો કથિત ઉચ્ચ જાતિના એમાં પણ બ્રાહ્મણો હતા.
રાહુલની આ પ્રેસ કોન્ફરન્સ બાદ દેશમાં મુખ્યધારાના મીડિયામાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના પ્રતિનિધિત્વનો સવાલ ફરીથી ચર્ચામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ભારતીય મીડિયામાં લગભગ 90 ટકા ટોચના પદો પર ઉચ્ચ જાતિ સમૂહોનો કબ્જો છે. અને એક પણ SC/ST વ્યક્તિ કોઈ મીડિયા હાઉસના ટોચના પદ એટલે કે એડિટર પોસ્ટ પર નથી.
Oxfam India અને News laundry ના ‘Who Tells Our Stories Matters: Representation of Marginalized Caste Groups in Indian Media’ ના બીજા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, પ્રિન્ટ, ટીવી અને ડિજિટલ મીડિયામાં લગભગ 90 ટકા ટોચના પદો પર કથિત સર્વણ જાતિ સમૂહોનો કબ્જો છે. જ્યારે SC/ST જાતિના લોકોની હાજરી નહિવત છે.
દક્ષિણ એશિયાના સૌથી મોટા ન્યૂઝ મીડિયા ફોરમ મીડિયા રમ્બલ (Media Rumble) નો આ રિપોર્ટ જણાવે છે કે હિન્દી અને અંગ્રેજી ભાષાના સમાચારપત્રોમાં લખવામાં આવતા 5 પૈકી 3 આર્ટિકલ સવર્ણ જાતિના લેખકો દ્વારા લખવામાં આવ્યા હતા. જ્યારે એસસી, એસટી અને ઓબીસી લેખકોની ભાગીદારી અહીં દર 5 પૈકી માંડ 1 લેખમાં જોવા મળી હતી.
આ રિસર્ચમાં સામે આવ્યું હતું કે, સમાચારપત્રો, ટીવી ન્યૂઝ ચેનલો, સમાચાર વેબસાઈટ્સ અને પત્રિકાઓમાં 121 મુખ્યપદો જેમ કે, એડીટર ઈન ચીફ, મેનેજિંગ એડિટર, એક્ઝિક્યુટિવ એડિટર, બ્યૂરો ચીફ, ઈનપુટ-આઉટપુટ એડિટર પૈકી 106 પદો પર કથિત ઉચ્ચ જાતિના લોકોનો કબ્જો છે. જ્યારે 5 પદો પર ઓબીસી, 6 પદો પર લઘુમતિ સમાજના લોકો છે. જ્યારે 4 પદો પરની વ્યક્તિની ઓળખ થઈ શકી નહોતી.
News Room debate માં ચર્ચા કરતા Anchor ની વાત કરવામાં આવે તો દર 4 પૈકી 3 (હિન્દી ચેનલોના કુલ 40 anchors અને English News channel ના 47 એન્કરો) કથિત ઉચ્ચ જાતિના છે. જ્યારે એક પણ દલિત, આદિવાસી કે ઓબીસી નથી.
રિપોર્ટમાં અન્ય એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ન્યૂઝ ચેનલોની 70 ટકાથી વધુ Prime Time ચર્ચાઓમાં Panelist તરીકે કથિત સવર્ણ જાતિના લોકો ઉપસ્થિત હોય છે. English Newspaper માં SC અને ST લેખકો દ્વારા લખવામાં આવ્યા હોય તેવા લેખોની ટકાવારી 5 ટકાથી પણ ઓછી જોવા મળી હતી. જ્યારે હિન્દી સમાચારપત્રો (Hindi newspapers) માં આ પ્રમાણ થોડું સારું જોવા મળ્યું હતું અને તેમાં દલિત, આદિવાસી સમાજના લેખકોની ટકાવારી 10 ટકા આસપાસ જોવા મળી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂઝ પોર્ટલો (News Portals) પર લેખકના નામ સાથે લગભગ 72 ટકા આર્ટિકલો કથિત ઉચ્ચ જાતિના લેખકો દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે 12 મેગેઝિનો (Magazines) ની કવર સ્ટોરી (Cover Stories) પૈકી માત્ર 10 જાતિ સાથે જોડાયેલા મુદ્દા વિશે હતી.
ઓક્સફેમ ઈન્ડિયા (Oxfam India CEO) ના સીઈઓ અમિતાભ બેહરે જણાવ્યું હતું કે, “ત્રણ વર્ષમાં અમારો આ બીજો રિપોર્ટ છે જે જણાવે છે કે ભારતમાં મીડિયાના ન્યૂઝરૂમોમાં હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે હજુ પુરતી જગ્યાઓ નથી. તમામ પ્રકારના અગ્રણી મીડિયા હાઉસ દલિત, આદિવાસી અને ઓબીસી સહિતના બહુજનો માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં નિષ્ફળ નીવડ્યાં છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં મીડિયાએ ન માત્ર કવરેજ પરંતુ પોતાની નિયુક્તિની પ્રથાઓમાં પણ સમાનતાના બંધારણીય સિદ્ધાંતોને જાળવી રાખવાની જરૂર છે. મીડિયા ઓર્ગેનાઈઝેશનોએ વહેલી તકે તેમની નિમણૂકની પદ્ધતિઓમાં ફેરફાર કરીને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દેશભરના ન્યૂઝરૂમો વધુ વિવિધતાભર્યા અને સર્વસમાવેશી બને. કારણ કે, ભેદભાવ અને અન્યાય રહિત ભારતના નિર્માણ માટે તે ખૂબ જ જરૂરી છે.
આ રિપોર્ટમાં ભારતના 43 પ્રિન્ટ, ટીવી અને ડિજિટલ મીડિયા આઉટલેટ્સનું તેમના કવરેજ, સોશિયલ લોકેશન ઓફ ધ લીડરશીપ અને પત્રકારોની જાતિ સંરચના અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2021 થી માર્ચ 2022ની વચ્ચે કરવામાં આવેલા આ સંશોધનમાં 20,000થી વધુ મેગેઝિનો અને ન્યૂઝપેપરોના લેખો, 2075 પ્રાઈમ ટાઈમ ડિબેટો સાથે 76 એન્કરો અને 3318 પેનલિસ્ટો તથા 12 મહિનાના ઓનલાઈન ન્યૂઝ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટ પ્રકાશિત થયાને એક વર્ષ કરતા વધુ સમય થવા આવ્યો છે અને એ દરમિયાન મીડિયામાં એસસી, એસટી અને ઓબીસીનું પ્રતિનિધિત્વ વધ્યું હોય તેવા કોઈ સમાચાર નથી. જો કે, ભારતની જાતિ પ્રધાન સિસ્ટમને જોતા તેમાં નજીકના ભવિષ્યમાં કોઈ સુધારો થાય તેવી કોઈ શક્યતા પણ નથી.
read also: 80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?