લાખોનો પગાર મેળવતા સરકારી અધિકારીઓએ હવે ભ્રષ્ટાચાર આચરવામાં સ્કૂલોમાં ભણતા ગરીબ બાળકોનું પેટ ભરતી ખીચડીને પણ છોડી નથી. રાજસ્થાનમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કંપનીઓએ મળીને મધ્યાહન ભોજન યોજનામાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચર્યું છે. રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ આ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારા ‘ખીચડી કૌભાંડ’માં COVID-19 દરમિયાન શાળાઓ બંધ હતી ત્યારે બાળકોને પૂરા પાડવામાં આવતા મધ્યાહન ભોજનના રાશનમાંથી આશરે 2 હજાર કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. તપાસ બાદ ACB એ રાજસ્થાન સ્ટેટ કો-ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન લિમિટેડ(CONFED) ના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી કંપનીઓ સામે કેસ દાખલ કર્યો છે.

કેવી રીતે કૌભાંડ આચર્યું?
COVID-19 રોગચાળા દરમિયાન બાળકો શાળાઓમાં રાંધેલું ભોજન મેળવી શક્યા ન હતા. તેથી સરકારે દરેક ઘરમાં કઠોળ, તેલ અને મસાલાના ‘કોમ્બો પેક’ પહોંચાડવાની યોજના બનાવી હતી. ACB તપાસમાં જાણવા મળ્યું છે કે, કન્ફેડના અધિકારીઓએ ટેન્ડરની શરતોમાં ફેરફાર કરીને પ્રામાણિક કંપનીઓને બાકાત રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘ગુજરાતના નિર્માણના પાયામાં આદિવાસીઓનો લોહી-પરસેવો છે’

જ્યારે “મનપસંદ” કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ માલ ખરીદ્યા કે સપ્લાય કર્યા વિના ઊંચા દરે નકલી બિલ પસાર કરી સરકારી ફંડનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીઓએ ગેરકાયદે નાની સંસ્થાઓને કામ આપી આઉટસોર્સ કર્યું હતું. જેનાથી ભ્રષ્ટાચારનું વિશાળ નેટવર્ક ઉભું થયું હતું.
ACB એ 21 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરી
ACBએ આ કૌભાંડમાં 21 લોકો સામે નામજોગ FIR દાખલ કરી છે. તેમાં અનેક મોટા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં સંવતરામ (સહાયક એકાઉન્ટન્ટ), રાજેન્દ્ર અને લોકેશ કુમાર બાપના (મેનેજર્સ), પ્રતિભા સૈની, યોગેન્દ્ર શર્મા અને રાજેન્દ્ર સિંહ શેખાવત જેવા નામોનો સમાવેશ થાય છે. મેસર્સ તિરુપતિ સપ્લાયર્સ, જાગૃત એન્ટરપ્રાઇઝ અને સાઈ ટ્રેડિંગ જેવી મોટી સંસ્થાઓના માલિકોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આ ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’ છે કે ‘બ્રાહ્મણ પ્રેરણા સ્થળ’?
સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાડ્યો
ACB દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે એગમાર્ક અને FSSAI ધોરણોના નામે હલકી ગુણવત્તાવાળા માલ પૂરા પાડવામાં આવ્યા હતા. ઘણા કિસ્સાઓમાં, કોઈ ડિલિવરી કરવામાં આવી ન હતી. આ વ્યવસ્થિત છેતરપિંડીના પરિણામે રાજસ્થાન તિજોરીને ₹2,000 કરોડનું સીધું નુકસાન થયું હતું. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, ખાનગીકરણ લોકશાહી દેશ માટે ઘાતક જ હોઈ શકે છે. સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલિભગતને કારણે ગરીબ બાળકોની થાળીમાંથી ખીચડી પણ ચોરાઈ ગઈ.
આ પણ વાંચો: તિરુપતિ મંદિરમાં લાડુ બાદ હવે 54 કરોડનું દુપટ્ટા કૌભાંડ ઝડપાયું










