તથાગત ગૌતમ બુદ્ધના પવિત્ર અવશેષો એક મહિના સુધી વિયેતનામમાં જાહેર દર્શન માટે રાખ્યા બાદ ભારત પાછા લાવવામાં આવ્યા છે. બુદ્ધના આ અવશેષોને ઔપચારિક રીતે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સોંપવામાં આવ્યા છે.
ઓડિશાના રાજ્યપાલ કંભમપતિ હરિબાબુના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળ એક મહિનાના પ્રવાસ પછી અવશેષો પાછા લઈને આવ્યું છે. વિયેટનામના 9 શહેરોમાં અંદાજે 1.78 કરોડ લોકોએ ગૌતમ બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શનનો લ્હાવો લીધો હતો.
આ પણ વાંચો: અશોક વિજયાદશમી: યુદ્ધને ત્યાગીને બુદ્ધ તરફ પ્રયાણની પ્રેરણા આપતો દિવસ
મૂળ નાગાર્જુન ટેકરીમાંથી ખોદકામ કરાયેલા બુદ્ધના આ અવશેષો સામાન્ય રીતે સારનાથમાં સાચવવામાં આવે છે. તે બૌદ્ધ વારસાનું એક મુખ્ય સ્થળ છે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘની વિનંતી પર, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે તેમની વિદેશ યાત્રા માટે સુવિધા પુરી પાડી હતી. 1 મેના રોજ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે બુદ્ધના આ અવશેષો હો ચી મિન્હ સિટી લઈ જવામાં આવ્યા હતા. પ્રતિનિધિ મંડળમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને આંધ્રપ્રદેશના પ્રવાસન મંત્રી કંડુલા દુર્ગેશનો સમાવેશ થતો હતો.
વિયેતનામમાં આ પ્રતિનિધિ મંડળના રોકાણ દરમિયાન આ અવશેષોને ઘણાં શહેરોમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં અને સ્થાનિક લોકો અને બૌદ્ધ સમાજ તરફથી ખૂબ જ આદર અને ધ્યાન આકર્ષિત કર્યું હતું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા રાજ્યપાલ કંભમપતિ હરિબાબુએ કહ્યું, “આ એક આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવ હતો.
વિયેતનામમાં લગભગ 1.78 કરોડ લોકોએ બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કર્યા હતા. જે આપણા દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે અવશેષો ઔપચારિક રીતે રાષ્ટ્રીય સંગ્રહાલયને સોંપવામાં આવ્યા પછી, તેમને હવે જાળવણી અને સતત આદર માટે સારનાથ પાછા લઈ જવામાં આવશે.
આ પણ વાંચો: ૧૨ વર્ષની દલિત છોકરી પર આચાર્યની કેબિનમાં ગેંગરેપ
*બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ્! તથાગત ગૌતમ બુદ્ધનાં ચરણોમાં નતમસ્તકે શત્ શત્ નમન વંદન પ્રણામ!