રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા

UGC ના નવા બિલ સામે સવર્ણોએ હોબાળો મચાવ્યો છે ત્યારે જાતિવાદને ભોગ બની ગયેલા રોહિત વેમુલા, પાયલ તડવીથી દર્શન સોલંકીના કેસ વિશે જાણો.
rihit vemula payal tadvi darshan solanki case

UGC ના સમાનતા બિલ પર સવર્ણ જાતિઓએ હોબાળો મચાવ્યો છે. મનુવાદી મીડિયાએ ફરી એકવાર દલિત, આદિવાસી અને ઓબીસી વિરોધી કુપ્રચાર શરૂ કરી દીધો છે. એકબાજુ દેશની યુનિવર્સિટીઓમાં જાતિ ભેદભાવના કેસોમાં 118 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે, જે સાબિત કરે છે કે દેશની યુનિવર્સિટીઓમાં સવર્ણો દ્વારા એસસી, એસટી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવો થઈ રહ્યાં છે. પણ સવર્ણો પોતે સુધરતા નથી અને તેમને એસસી, એસટી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને મળતી સુરક્ષા સામે વાંધો છે.

યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન નિયમન નામનો એક નવો નિયમન ઘડ્યો છે. આ નિયમનનો હેતુ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિ ભેદભાવ અટકાવવાનો છે. નવા નિયમન મુજબ, હવે દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં સમાનતા સમિતિની સ્થાપના કરવામાં આવશે. આ સમિતિ જાતિ આધારિત નિવેદનો અને SC, ST અને OBC વિદ્યાર્થીઓ સામે ભેદભાવની ફરિયાદો સાંભળશે. દરમિયાન એ સવાલ પણ ઉભો થઈ રહ્યો છે કે, આ નિયમો પહેલા લાગુ થયા હોત તો રોહિત વેમુલા, પાયલ તડવી, દર્શન સોલંકી સહિતના હોનહાર દલિત યુવકોનો જીવ બચી ન ગયો હોત?

આ પણ વાંચોઃ UGC ના સમાનતાના નિયમ સામે સવર્ણોને શું વાંધો છે?

રોહિત વેમુલા જાતિવાદનો ભોગ બન્યો

રોહિત વેમુલાનો કેસ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિ ભેદભાવનો સૌથી મહત્વપૂર્ણ અને દુ:ખદ કેસ માનવામાં આવે છે. રોહિત હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચડીનો વિદ્યાર્થી હતો. તે આંબેડકર સ્ટુડન્ટ્સ એસોસિએશન સાથે સંકળાયેલો હતો અને કેમ્પસમાં દલિત વિદ્યાર્થીઓના અધિકારોની હિમાયત કરતો હતો. એવો આરોપ છે કે એક વિદ્યાર્થી નેતાની ફરિયાદ બાદ, યુનિવર્સિટી વહીવટીતંત્રે રોહિત સાથે ભેદભાવ કર્યો. તેને કેમ્પસમાંથી હાંકી કાઢવામાં આવ્યો અને સતત માનસિક દબાણનો ભોગ બનવું પડ્યું. આ તણાવને કારણે, રોહિતે 17 જાન્યુઆરી, 2016 ના રોજ આત્મહત્યા કરી. તેના મૃત્યુથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો.

આદિવાસી દીકરી પાયલ તડવીનો કેસ

રોહિતના કેસ પછી, 2019 માં બીજો હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો. મુંબઈની સરકારી મેડિકલ કોલેજની વિદ્યાર્થીની ડો. પાયલ તડવીએ આત્મહત્યા કરી. પાયલ અનુસૂચિત જનજાતિમાંથી આવતી હતી. આરોપ છે કે, ત્રણ સિનિયર મહિલા ડોક્ટરો દ્વારા સતત તેની જાતિને લઈને નિવેદનો કરી હેરાન કરવામાં આવતી હતી. તેના પરિવારે જણાવ્યું હતું કે સતત અપમાન અને માનસિક દબાણથી પાયલ ભાંગી પડી હતી. 22 જાન્યુઆરી, 2019 ના રોજ, પાયલે તેની હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ કેસમાં ત્રણેય મહિલા ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી તેમને જામીન મળી ગયા હતા.

આ પણ વાંચોઃ દેશની યુનિવર્સિટીઓમાં જાતિગત ભેદભાવની ફરિયાદો 118 ટકા વધી

અમદાવાદના યુવાન દર્શન સોલંકીનો કિસ્સો

અમદાવાદના મણિનગરની એક ચાલીમાં રહેતો દર્શન સોલંકી નામનો હોનહાર યુવાન પણ રોહિત વેમુલા અને પાયલ તડવીને જેમ જાતિવાદનો ભોગ બન્યો હોવાનું કહેવાય છે. કોઈના પણ માર્ગદર્શન વિના, માત્ર જાત મહેનતે આઈઆઈટી બોમ્બેમાં એડમિશન મેળવનાર દર્શન સોલંકી પર તેના પરિવારને મોટી આશા હતી. દર્શન કેમિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. 12 ફેબ્રુઆરી, 2023 ના રોજ, તેણે તેની હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે દર્શન કોલેજ કેમ્પસમાં જાતિ ભેદભાવથી પરેશાન હતો. જોકે, તપાસ સમિતિએ તેનું કારણ શૈક્ષણિક દબાણ ગણાવ્યું હતું. પરિવારે તપાસ સમિતિના અહેવાલ પર સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે તપાસ સમિતિમાં એક જ કોલેજના અધિકારીઓનો સમાવેશ થતો હતો. આજે પણ દર્શનનો પરિવાર ન્યાય માટે વલખાં મારી રહ્યો છે.

IIT દિલ્હીના આયુષ આશ્ના અને અનિલ કુમારનો કેસ

આઈઆઈટી દિલ્હીના બે SC સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓ આયુષ આશ્ના અને અનિલ કુમારનો કેસ પણ યુનિવર્સિટીઓમાં સવર્ણોની દાદાગીરી અને બહુજન સમાજ સાથે થતા જાતિ ભેદભાવને ઉજાગર કરે છે. ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી અને IIT દિલ્હીમાં B.Tech ના અંતિમ વર્ષના વિદ્યાર્થી આયુષ આશ્ના 8 જુલાઈ, 2023 ના રોજ તેના હોસ્ટેલ રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
માર્ચ 2025 માં, સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને આયુષ આશ્ના અને અન્ય વિદ્યાર્થી અનિલ કુમારના મૃત્યુમાં FIR નોંધવાનો આદેશ આપ્યો. કોર્ટે FIR દાખલ કર્યા વિના પ્રારંભિક તપાસ બંધ કરવાના પોલીસના “શોર્ટકટ” અભિગમની સખત ટીકા કરી, જેમાં તેને ફક્ત આત્મહત્યા ગણાવી દેવાઈ હતી.

આ પણ વાંચોઃ એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે

આયુષના પરિવાર અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ આરોપ લગાવ્યો કે આ કેસ આત્મહત્યા નથી પરંતુ યુનિવર્સિટીઓમાં જાતિ ભેદભાવ અને સતામણીનું પરિણામ છે. તેમણે આ ઘટનાને સંસ્થાકીય હત્યા ગણાવી હતી.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે માર્ચ 2025 માં ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય કાર્યદળ (NTF) ની રચના કરી, જેનું નેતૃત્વ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભેદભાવના મુદ્દાઓને સમજવા માટે કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2026ના રિપોર્ટ મુજબ આયુષ આશ્ના કેસ બાદ ઉઠેલા વિવાદોને કારણે જ UGC એ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ ભેદભાવ અટકાવવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. અને સવર્ણોને તેની સામે જ વાંધો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ વર્ધા યુનિવર્સિટીએ 10 SC-OBC વિદ્યાર્થીને કાઢી મૂક્યા

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x