કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ સાશિત રાજ્યોની સરકારોએ બહુજન સમાજના અનામત સહિતના બંધારણીય હકો પર તરાપ માર્યા બાદ હવે તેમના મતો મેળવવા માટે થઈને દલિતો-આદિવાસીઓને આભાસી ખુશી પીરસવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત મધ્યપ્રદેશમાં ભાજપની મોહન યાદવ સરકારે ડો.આંબેડકર જયંતિ પહેલા સાગર જિલ્લામાં 258.64 ચોરસ કિલોમીટરના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારને ‘ડૉ. ભીમરાવ આંબેડકર અભયારણ્ય’ નામ આપ્યું છે. આ મધ્યપ્રદેશનું 25મું અભયારણ્ય હશે, જે વન્યજીવન સંરક્ષણ અને કુદરતી સૌંદર્યને પ્રોત્સાહન આપશે. આંબેડકર જયંતિ પહેલા સરકાર દ્વારા તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સંરક્ષિત વિસ્તાર ઉત્તર સાગર વન વિભાગ હેઠળના બાંદા અને શાહગઢ તાલુકાના રિઝર્વ ફોરેસ્ટમાં ફેલાયેલો છે. આનાથી વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનનું રક્ષણ અને પુનઃસ્થાપન કરવામાં મદદ મળશે.
આ પણ વાંચોઃ ઈડરમાં ડો.આંબેડકર વિશે અભદ્ર કોમેન્ટ કરનાર ઈસમ સામે ફરિયાદ
રાજ્ય સરકાર માને છે કે આ અભયારણ્યના નિર્માણથી ઇકોસિસ્ટમ મજબૂત થશે અને જૈવવિવિધતાનું સંરક્ષણ થશે. આ સંરક્ષિત વિસ્તાર વિવિધ વન્યજીવ પ્રજાતિઓ માટે કુદરતી વાતાવરણ સુનિશ્ચિત કરશે, તેમના સંવર્ધન અને વિકાસને સરળ બનાવશે.
સરકારનું માનવું છે કે આનાથી સ્થાનિક પર્યટન અને ઇકો-ટુરિઝમને વેગ મળશે. જંગલ સફારી, પક્ષી દર્શન અને પ્રકૃતિ ભ્રમણ જેવી પ્રવૃત્તિઓને કારણે સાગર જિલ્લામાં પર્યટનને નવી દિશા મળશે. સરકારનું માનવું છે કે, આના દ્વારા ગ્રામજનોને સ્વરોજગાર અને સ્થાનિક રોજગારની તકો પણ મળી શકે.
જંગલને બાબાસાહેબનું નામ આપીને અપમાન કર્યુંઃ કોંગ્રેસ
બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે બાબા સાહેબ આંબેડકરના નામ પર પ્રાણીઓ સંબંધિત યોજનાઓનું નામકરણ કરવું એ તેમનું અપમાન છે. કોંગ્રેસના પ્રવક્તા મિથુન અહિરવારે કહ્યું કે જો બાબા સાહેબનું ખરેખર સન્માન કરવું હોય તો શૈક્ષણિક સંસ્થાઓ અને કાયદા સંબંધિત સંસ્થાઓનું નામ તેમના નામ પર રાખવું જોઈએ, પ્રાણીઓ સંબંધિત યોજનાઓનું નહીં.
આ પણ વાંચોઃ આ હોસ્પિટલની દરેક દિવાલ પર ડૉ. આંબેડકરનો ફોટો લાગેલો છે
૨૫૮૬૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું અભયારણ્ય
ડૉ. ભીમરાવ આંબેડકર અભયારણ્ય ૨૫૮૬૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું હશે, જેમાં ઉત્તર સાગર વન વિભાગ, બાંદા તાલુકા અને શાહગઢ વન વિસ્તારનો સમાવેશ થાય છે. આ અભયારણ્ય વન્યજીવનના સંરક્ષણ અને કુદરતી સૌંદર્ય જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પર્યાવરણીય સંરક્ષણ અને રોજગાર માટેની પહેલ
સરકારનું કહેવું છે કે, ડૉ. આંબેડકર અભયારણ્ય માત્ર વન્યજીવન સંરક્ષણ તરફનો પ્રયાસ નથી, પરંતુ પર્યાવરણીય સંરક્ષણ અને સામાજિક સંવાદિતાનું પ્રતીક પણ છે. સ્થાનિક યુવાનોને તાલીમ આપીને, તેમને માર્ગદર્શક, રક્ષક અને પર્યાવરણીય કાર્યકરો જેવી નોકરીઓમાં રોજગારી આપી શકાય છે, જે ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂત બનાવશે.
આ પણ વાંચોઃ દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે
દલિતોને સત્તામાં ભાગીદારીને બદલે આભાસી ખુશીની વહેંચણી?
જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપના નેતાઓએ ખૂલ્લેઆમ ડો.આંબેડકર લિખિત બંધારણને ખતમ કરીને હિંદુ રાષ્ટ્ર સ્થાપવાની વાત કરી હતી. જેના કારણે દેશભરમાં બહુજન સમાજ એક થઈ ગયો હતો અને ભાજપની અબકી બાર 400 પારની ગણતરીને ઉંધી વાળીને તેને 240 સીટો પર લાવી દીધી હતી. એ પછી ભાજપને દલિત-બહુજન મતોની કિંમત સમજાઈ હતી. જો કે, એ પછી પણ તેમણે એસસી-એસટી ક્રિમીલેયર દાખલ કરીને દલિત-આદિવાસીઓમાં ભાગલા પાડવા પ્રયત્ન કર્યો હતો. હવે એ જ ભાજપ બાબાસાહેબના નામે જંગલોના નામ રાખીને બહુજન મતો મેળવવા માંગે છે, પણ આજનો બહુજન એટલો મૂર્ખ નથી કે બાબાસાહેબના નામે જંગલનું નામ રાખવાથી ખુશ થઈ જાય. તેને સત્તામાં નક્કર ભાગીદારીથી ઓછું કંઈ જ ખપતું નથી.
આ પણ વાંચોઃ દલિતોએ સવારે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપી, મનુવાદીઓએ રાત્રે તોડી નાખી