કૌન કહેતા હૈ આસમાં મે સુરાખ નહીં હોતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં…વિખ્યાત શાયર દુષ્યંતકુમારનો આ શેર આપણે સફળતા ઝંખતા દરેક વ્યક્તિને કહેતા હોઈએ છીએ. પરંતુ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં એક SC મહિલાએ તેને સાકાર કરી બતાવ્યો છે. આ મહિલાએ એવું કામ કરી બતાવ્યું છે જે રાજકારણના ભલભલા ખેરખાઁઓ પણ નથી કરી શકતા. આ મહિલાએ સરપંચની ચૂંટણીમાં જનરલ સીટ પર લડીને જીત મેળવી છે. જી હા, ફરીથી વાંચો, જનરલ સીટ પર લડીને સરપંચ પદે જીત મેળવી છે. પહેલીવારમાં માન્યામાં ન આવે તેવી આ વાત હકીકત છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામે હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. અહીં જનરલ સીટ પર 2 પટેલ, 1 દરબાર, 2 બહુજન સમાજના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં SC સમાજના રંજનબેન બળવંતભાઈ પરમારે ભારે રસાકસી બાદ 3 મતે સરપંચ પદે વિજય મેળવ્યો હતો.
આંજણા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે કૂલ 1016 લોકોનું મતદાન થયું હતું. જેમાં અનુ. જાતિ સમાજમાંથી આવતા રંજનબેન પરમારને ભારે રસાકસી બાદ 3 મતે ઐતિહાસિક વિજય થયો હતો. રંજનબેનને 300 મત મળ્યા હતા. બીજા નંબરે રહેલા સૂરજબેન પટેલને 297 મત મળ્યા હતા. ત્રીજા નંબરે રહેલા ભાવનાબા ઠાકોરને 199 મત મળ્યા હતા, ચોથા નંબરે રહેલા ચાંચિબેન પટેલને 140 વોટ મળ્યા, જ્યારે આશાબેન સોલંકીને 34 વોટ મળ્યા હતા.
આ પણ વાંચો: માથાભારે પટેલે દલિતોનું સ્મશાન પચાવી પાડી ઘઉં વાવી દીધાં
કુલ વોટ પૈકી 6 વોટ નોટામાં પડ્યા હતા. પરિણામને અંતે રંજનબેન બળવંતભાઈ પરમારનો 3 મતે વિજય થયો હતો. આ સાથે જ રંજનબેને ઈતિહાસ રચી દીધો છે. તેઓ ગામમાં જનરલ સીટ પર સરપંદ પદની ચૂંટણી લડીને જીત મેળવનાર અનુ.જાતિ સમાજના પહેલા મહિલા બની ગયા છે.
રંજનબેનની આ જીત રાજકારણમાં બહુજન સમાજના લોકોને પ્રોત્સાહન પુરું પાડનારી છે. હાલ દેશભરમાં સવર્ણ હિંદુઓનું રાજકારણ કરતા પક્ષોની બોલબાલા છે. આ પક્ષો દલિતોના મતો લેવા માટે જાતભાતના ગતકડાં કરે છે, પરંતુ જ્યારે દલિતોના હકની વાત આવે, સામાજિક ન્યાયની વાત આવે ત્યારે બહુજન સમાજને અન્યાય કરે છે. આવા પક્ષોની ગુલામી કરવા કરતા દલિતો પોતાના મતની કિંમત સમજી સત્તા પર કબ્જો જમાવે તે મહત્વનું છે. રંજનબેન પરમાર જેવી મહિલાઓ બહુજન સમાજને પ્રોત્સાહન પુરુ પાડે છે. તે આપણને રાજકારણના આટાપાટા શીખવે છે, જાતિગત સમીકરણોને કેવી રીતે પોતાની તરફેણમાં કરવા તે શીખવે છે. રંજનબેન પરમારને ખૂબ ખૂબ અભિનંદન.
આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી