અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ અરવલ્લી જિલ્લાના બાયડની આદિવાસી દીકરી સુશીલા વસાવાની આત્મહત્યાને લઈને અનેક સવાલો પેદા થયા છે. ગરીબ આદિવાસી પરિવારની હોનહાર દીકરી સુશીલા વસાવાએ તા. 5 એપ્રિલ 2025ના રોજ અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં કરેલી આત્મહત્યાને લઈને હવે રહસ્ય ઘેરાયું છે. સુશીલા છેલ્લાં બે વર્ષથી વી.એસ. હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી હતી. પાંચ દિવસ પહેલા તેણે રાત્રે માતપિતા સાથે ફોન પર નિયમિત રીતે વાત કર્યા બાદ સવારે તેણે આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર આવ્યા હતા. જો કે, પોલીસે સુશીલાના પિતા અમદાવાદ પહોંચે તે પહેલા જ પંચનામું કરી નાખતા આખો
મામલો શંકાસ્પદ બન્યો છે.
બાયડની એન. એચ. શાહ હાઇસ્કૂલમાંથી ભણી 93.88 ટકા મેળવી સર્વપ્રથમ હિંમતનગર, બાદમાં અમદાવાદ અને પછી NHL વીએસ હોસ્પિટલમાં એડમિશન મેળવનાર સુશીલા રમેશભાઈ વસાવાના તારીખ 5 એપ્રિલે આત્મહત્યાના સમાચારમાં નવો વળાંક આવ્યો છે. તેના પિતા અને અન્ય યુવાનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા હડકંપ મચી ગયો છે.
સુશીલાના પિતાએ શું કહ્યું?
એક વીડિયોમાં સુશીલાના પિતા રમેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, “રાત્રે રોજની જેમ મારી પુત્રી સુશીલાએ અમારી સાથે વાત કરી હતી, એ પછી ફોન મૂકી અને મારે વાંચવું છે તેમ કહી વાંચવા બેઠી હતી. ત્યારબાદ મોડી રાત્રે અમદાવાદથી ફોન આવ્યો કે તમારી પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પણ હું ત્યાં પહોંચ્યો એ પહેલા તો પંચનામું પણ કરી દીધું હતું અને જે પંખા સાથે મારી દીકરી આત્મહત્યા કરી હતી તે બતાવી અમને નીચે મોકલી દીધા હતા અને લાશને નીચે પણ લાવી દીધી હતી.”
મારી દીકરી આત્મહત્યા કરે તેટલી નબળી નહોતી: રમેશ વસાવા
સુશીલાના પિતાએ વધુમાં જણાવ્યું કે, “અમને એવું કહેવામાં આવ્યું કે તમારા ઘરની મહિલાઓને ના લાવતા ને તમે ફક્ત પુરુષો જ ઘટના સ્થળે આવો. અમે સવા પાંચ વાગ્યે સવારે પહોંચ્યા ત્યારે અમારી દીકરીને દવાખાનામાં સુતેલી હાલતમાં મુકેલી હતી અને કહી દીધું કે તમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. મારી પુત્રી કોઈ દિવસ આત્મહત્યા ન કરે એના મનમાં કંઈ પણ હોય તો અમને જરૂર કહેતી હોય છે.
આ પણ વાંચો: 4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?
આમાં ચોક્કસ કંઈ રહસ્ય છે જે પોલીસ છુપાવવા માંગે છે. આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ અને મારી દીકરીને ન્યાય મળવો જોઈએ.”
બાયડ તાલુકામાં એક જ ચર્ચા-આત્મહત્યા કે હત્યા?
બાયડના વસાવા સમાજની દીકરી સુશીલાના આત્મહત્યાના સમાચારને લઈ શાળા તથા તેની સાથે રહેતા કોઈપણ વ્યક્તિ આ વાતને સ્વીકારવા તૈયાર નથી. સુશીલાના આત્મહત્યાના સમાચારને લઈ સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયું છે. તાલુકામાં ચાલતી ચર્ચા મુજબ સુશીલાએ ખરેખર આત્મહત્યા જ કરી છે કે કોઈએ તેની હત્યા કરીને તેની લાશને લટકાવી દીધી છે તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
પરિવાર પહોંચે તે પહેલા પંચનામું કેવી રીતે થયું?
આ ચર્ચાને લઈ સર્વ સમાજના યુવાનોની ટીમ સ્થળ ઉપર પહોંચી દીકરીને ન્યાય માટે માગણી ઉઠાવી છે. એક તરફ ગરીબ પિતા માંડ માંડ ભાડાની ગાડી કરી અમદાવાદ પહોંચ્યા અને તેમના પહોંચતા પહેલા જ પંચનામુ કેવી રીતે થઈ ગયું તે પણ પ્રશ્ન ઊભો થયો છે. આ મામલામાં પોલીસને એટલી શું ઉતાવળ હતી કે પરિવારના પહોંચતા પહેલા જ પંચનામુ કરવું પડ્યું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
આ તમામ મુદ્દાઓને લઈને બાયડના રહેવાસીઓમાં સુશીલાની આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે ખરેખર શું બન્યું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.
આ પણ વાંચો: વી.એસ. હોસ્પિટલમાં MBBS ભણતી આદિવાસી દીકરીએ ગળેફાંસો ખાધો