Supreme Court stays Allahabad high court: થોડા દિવસ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad high court)ના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રા(Justice Ram Manohar Narayan Mishra)એ બળાત્કારને લગતા એક કેસમાં કહ્યું હતું કે, ‘કોઈ યુવતીના સ્તન પકડવા, તેના પાયજામાનું નાડું ખોલવું અને તેને ઢસડીને નાળા નીચે લઈ જવી એ બળાત્કારના પ્રયાસના આરોપ લગાવવા માટે પુરતું નથી’. હવે સુપ્રીમ કોર્ટે (Supreme court)આ જજના નિર્ણયને અસંવેદનશીલ ગણાવીને તેના પર સ્ટે મૂકી દીધો છે.
આ સંદર્ભમાં વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો. આ પત્રના આધારે, સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે હાઈકોર્ટના આ મંતવ્ય સાથે સખત અસંમતિ વ્યક્ત કરતા જસ્ટિસ મિશ્રાના આદેશને આઘાતજનક ગણાવ્યો.
બેન્ચે પોતાના આદેશમાં કહ્યું, અમને એ કહેતા દુ:ખ થાય છે કે, ‘આ વિવાદાસ્પદ નિર્ણયમાં કરવામાં આવેલા કેટલાક નિવેદનો ચૂકાદો આપનારની અસંવેદનશીલતા દર્શાવે છે.’
આ પણ વાંચો: મારી માં મને કહેતી, “તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો..”
બેન્ચે કહ્યું કે, ‘આ નિર્ણય અચાનક નથી સંભળાવવામાં આવ્યો, લગભગ ચાર મહિના સુધી ચૂકાદો અનામત રાખ્યા પછી તે સંભળાવવામાં આવ્યો છે. એનો અર્થ એ થયો કે ન્યાયાધીશે યોગ્ય વિચાર-વિમર્શ અને દિમાગનો ઉપયોગ કર્યા પછી ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું, આ નિવેદનો કાયદાના સિદ્ધાંતોથી સંપૂર્ણપણે બહાર છે. તે સંપૂર્ણપણે અસંવેદનશીલ અને અમાનવીય દ્રષ્ટિકોણ દર્શાવે છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
બેન્ચે ભારત સરકાર, ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર અને અલ્હાબાદ હાઈકોર્ટને નોટિસ ફટકારી છે. આ સુનાવણી દરમિયાન ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ કોર્ટમાં હાજર હતા. તેમણે હાઈકોર્ટના નિર્ણયની નિંદા કરી અને કહ્યું કે તે આઘાતજનક છે.
જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ શું કહ્યું હતું?
જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે, “પીડિતાના સ્તન પકડવા, તેના પાયજામાની દોરી તોડી નાખવા અને તેને નાળા નીચે ખેંચી જવાનો પ્રયાસ કરવો તે બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવા માટે પૂરતું નથી.”
મામલો શું હતો?
ઉત્તર પ્રદેશના કાસગંજના પવન અને આકાશ પર 2021 માં બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપ મુજબબંનેએ એક સગીરાને લિફ્ટ આપી હતી. એ પછી, તેમણે પીડિતાના સ્તનને સ્પર્શ કર્યો, તેના પાયજામાનું નાડું તોડી નાખ્યું અને તેને નાળા નીચે ખેંચી ગયા. જો કે, કેટલાક રાહદારીઓએ સગીરાને બચાવી લીધી. એ પછી આરોપીઓને સ્થળ પરથી ભાગી જવાની ફરજ પડી હતી.
Supreme Court stays Allahabad High Court observation that grabbing minor’s breasts is not attempt to rape
Court said that it was pained to see the lack of sensitivity by the High Court judge who passed the order.
Read more: https://t.co/wIPZYhOWQu pic.twitter.com/QcMOpcyqRR
— Bar and Bench (@barandbench) March 26, 2025
એ પછી બંને આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કાર) અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. નીચલી કોર્ટે બંનેને સમન્સ પાઠવ્યા હતા. આરોપીઓએ આ સમન્સને હાઇકોર્ટમાં પડકાર્યો. આરોપીઓએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે જે કલમો હેઠળ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે તે તેમની સામે લગાવવામાં આવેલા આરોપો કરતાં વધુ છે. હાઈકોર્ટ પણ આ વાત સાથે સંમત થઈ અને આરોપી પર ભારતીય દંડ સંહિતાની કલમ 354-B (નગ્ન કરવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળપ્રયોગ) ના સામાન્ય આરોપ હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્યો. આ આદેશ દરમિયાન જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ આ વિવાદિત અને સાવ હલકી કક્ષાનું નિવેદન કરીને સમગ્ર દેશના ન્યાયતંત્રને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધું હતું.
સુપ્રીમ કોર્ટ ક્યાં સુધી આવા જજોને માત્ર ઠપકો આપીને છોડતી રહેશે?
છેલ્લાં કેટલાક સમયથી દેશ જોઈ રહ્યો છે કે, ન્યાયતંત્રમાં બેઠેલા કેટલાક જજો સાવ નિમ્ન સ્તરના અને મનઘડંત ચૂકાદાઓ આપે છે. જેનાથી આખા દેશમાં હોબાળો મચી જાય છે. પરંતુ છેલ્લે સુપ્રીમ કોર્ટ તેવા જજોના નિર્ણય પર સ્ટે મૂકી દે છે, પરંતુ આવા વાહિયાત ચૂકાદા આપનાર જજો સામે કોઈ કાર્યવાહી કરતી નથી. જેને લઈને દેશના બૌદ્ધિક વર્ગમાં એવી નારાજગી ફેલાઈ રહી છે કે, ક્યાં સુધી આવા મનઘડંત ચૂકાદાઓ આપતા જજોને છાવરવામાં આવશે? શા માટે આવા જજો પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને માત્ર ઠપકો આપીને જવા દેવામાં આવે છે, આવું ક્યાં સુધી ચાલશે?
આ પણ વાંચો: ‘મહિલાના સ્તન પકડવા, નાડું ખોલવું એ રેપનો પ્રયાસ નથી’