Aadivasi News: મોદી સરકારના રાજમાં દેશમાં દલિતો-આદિવાસીઓ દિન-પ્રતિદિન વધુને વધુ ગરીબી તરફ ધકેલાઈ રહ્યાં છે. સરકાર વિકાસની મસમોટી વાતો કરે છે, પરંતુ તેના ફળ માત્ર ચોક્કસ લોકો ભોગવી રહ્યાં છે અને દલિતો-આદિવાસીઓ તેનાથી જોજનો દૂર છે. ગરીબો વધુને વધુ ગરીબ બની રહ્યાં છે અને અમીરો વધુ અમીર બનીને જલસા કરે છે.
ભાજપના નેતાઓ આદિવાસીઓના વિકાસની વાત કરે છે પરંતુ જમીની વાસ્તવિકતા તેનાથી તદ્દન જુદી છે. જેની પ્રતીતિ કરાવતી એક ઘટના સુરત સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી છે. જ્યાં એક આદિવાસી પરિવાર 22 વર્ષની દીકરીનું મોત થઈ ગયા બાદ અંતિમક્રિયા માટે રૂપિયા ન હોવાથી મૃતદેહને હોસ્પિટલમાં છોડી જતો રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, ભરૂચના અંકલેશ્વરની એક 22 વર્ષીય આદિવાસી યુવતીનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પરિવાર પાસે યુવતીના મૃતદેહને વતન લઈ જઈ અંતિમવિધિ કરવા માટે પૈસા ન હોવાથી તેઓ મૃતદેહને સિવિલ હોસ્પિટલના વોર્ડમાં જ તરછોડીને જતા રહ્યા હતા. જોકે, આ સમયે સિવિલ પોલીસ ચોકીના જવાનો શ્રમિક પરિવારની મદદે આવ્યા હતા અને તેમને મદદ કરી હતી.
આ પણ વાંચો: ‘એટલે બાબાસાહેબે ગળું આપ્યું એમ?’ કહેનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?
અંકલેશ્વરના આદિવાસી પોલીસ જવાનોએ મદદ કરી
અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે રહેતી 22 વર્ષીય કાજલ વસાવા એક મહિના પહેલાં અકસ્માતનો ભોગ બની હતી અને તેને વધુ સારવાર માટે 18મી નવેમ્બરે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 26મી નવેમ્બરે કાજલનું અવસાન થયું હતું. મૃત્યુ બાદ પરિવારના સભ્યો તેને વોર્ડમાં જ તરછોડીને જતા રહેતા હોસ્પિટલના ડોક્ટરોએ સિવિલ ચોકીના પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર પોલીસને જાણ થતાં તેઓએ શ્રમિક પરિવારને શોધી કાઢી સિવિલ આવવા માટે ભાડું પણ આપ્યું હતું.
આદિવાસી સમાજના પોલીસ જવાનોએ રૂ.35 હજાર એકઠા કર્યા
જ્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ આવ્યા, ત્યારે પોલીસે તેમને મૃતદેહ તરછોડીને જવાનું કારણ પૂછ્યું. ત્યારે પરિવારના સભ્યોએ હૃદય કંપાવી દેતી વાત કરી કે, ‘અમારી પાસે મૃતક દીકરીના મૃતદેહને ઘરે લઈ જઈ તેની અંતિમવિધિ કરવા માટે પૈસા નથી.’ સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષમણ વસાવા આ સાંભળીને પીગળી ગયા હતા. તેમણે આ શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું અને આદિવાસી સમાજના પોલીસના વૉટ્સએપ ગ્રુપમાં મેસેજ પહોંચાડ્યો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા
આદિવાસી દીકરીને માત્ર આદિવાસી પોલીસ જવાનોએ જ મદદ કરી!
મેસેજ વાંચીને પોલીસ જવાનોનું હૃદય પીગળી ગયું અને તેમણે તુરંત ફાળો એકઠો કર્યો. કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે 35,000 રૂપિયાથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. આ રકમ ઉપરાંત સમાજના સેવાભાવી પ્રદીપ વસાવા અને તેમના મિત્રો તેમજ ગોડદારા પોલીસ મથકના રાકેશ વસાવા સહિતના લોકોએ સ્વૈચ્છિક સેવા આપીને યુવતીનો મૃતદેહ અંકલેશ્વર પહોંચાડ્યો હતો.
એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ તો ભાડું લીધા વગર જ મૃતદેહ ઘરે પહોંચાડ્યો હતો. આદિવાસી પોલીસની આ સેવા જોઈને યુવતીના પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે ગદગદિત થઈને કહ્યું, ‘મેં આશા છોડી દીધી હતી, પરંતુ આ પોલીસ જવાનોએ મારી પુત્રીની અંતિમવિધિ માટે જરૂરી મદદ કરી હતી.’
આ પણ વાંચો: આદિવાસી મહિલા ખાતર માટે બે દિવસ લાઇનમાં ઉભી રહેતા મોત










