જાતિવાદી તત્વોના મનમાં માત્ર દલિત પુરૂષ કે સ્ત્રી જ નહીં, તેમના બાળકો પ્રત્યે પણ હળાહળ ઝેર અને નફરત ભર્યા હોય છે. આ કાળોતરા સાપ છે, જે નિર્દોષ બાળકને પણ જાતિવાદનો ડંખ મારતા જરાય ખચકાતા નથી. નાનપણમાં તમે પણ આવા જ કોઈ જાતિવાદી શિક્ષકનો શાળામાં માર ખાધો હશે. પણ અહીં જે ઘટનાની વાત કરવી છે તેમાં તો શિક્ષકે તમામ હદો પાર કરી નાખી.
મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં હરદોઈ જિલ્લામાં એક શિક્ષક પર ત્રીજા ધોરણના એક દલિત વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારવાનો આરોપ લાગ્યો છે. શિક્ષકે દલિત વિદ્યાર્થી પર એ હદે ક્રૂરતા દાખવી કે, માર માર્યા પછી તે બાળકનો પગ ભાંગી ગયો અને તેને સાંભળવામાં પણ તકલીફ પડી રહી છે. એવો આરોપ છે કે શિક્ષકે વિદ્યાર્થીને જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ વિદ્યાર્થીને ઘર સુધી મૂકી ગયા હતા. હવે વિદ્યાર્થીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ શાળામાં સરસ્વતી પૂજાને લઈને બબાલ, દલિતોના બાઈક સળગાવ્યા
ઘટના બિલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બિરૌરી ગામમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દલિત વિદ્યાર્થી શિક્ષક દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો સાચો જવાબ આપી શક્યો નહોતો. એટલે ખાનગી શાળાના આ શિક્ષકે તેને ‘મુર્ગા’ બનવા આદેશ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થી મુર્ગા બન્યો કે તરત શિક્ષક કૂદીને તેની ઉપર ચઢી ગયો હતો. ત્રીજા ધોરણમાં ભણતો દલિત વિદ્યાર્થી શિક્ષકનું વજન ખમી શક્યો નહોતો, પરિણામે તેનો પગ ભાંગી ગયો હતો.
Hardoi: तीसरी के छात्र को ‘मुर्गा’ बनाकर पीठ पर बैठ गया टीचर, क्लास में दर्द से कराहता रहा बच्चा, पैर फ्रैक्चर pic.twitter.com/cIrami1rRO
— Anku Chahar (@anku_chahar) February 24, 2025
આ દરમિયાન વિદ્યાર્થી રડતો અને ચીસો પાડતો રહ્યો. પણ નિષ્ઠુર શિક્ષક 10 વર્ષના આ નાનકડા વિદ્યાર્થીને વર્ગમાં રડતો મૂકીને ચાલ્યા ગયા હતા. એ પછી તેના સાથી વિદ્યાર્થીઓ તેને ઘર સુધી મૂકી ગયા હતા. ત્યારબાદ બાળકની માતા તેને બિલગ્રામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) લઈ ગઈ. પરંતુ ત્યાંના ડોક્ટરોએ બાળકને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યું. હાલમાં તેમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.
બાળકની માતાના આરોપ મુજબ જ્યારે તે આ મામલે ફરિયાદ કરવા શાળામાં પહોંચી ત્યારે શિક્ષકે શરૂઆતમાં બાળકને માર મારવાનો ઇનકાર કર્યો હતો. પણ પછી તેણે કહ્યું, ‘૨૦૦ રૂપિયા લઈ લો અને તેનો ઈલાજ કરાવો.’
આ પણ વાંચોઃ પાણી પીવા જતા આદિવાસી વિદ્યાર્થીને શિક્ષકે પછાડીને માર્યો
વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું હતું કે, હર્ષિત નામના શિક્ષકે તેને સાચો જવાબ ન આપવા બદલ ખૂબ માર માર્યો અને જાતિવાદી અપશબ્દો પણ કહ્યા. હવે શિક્ષક કથિત રીતે તેમના પર સમાધાન કરવા દબાણ કરી રહ્યા છે.
આ કેસમાં ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ ઉમાકાંત દીપકે જણાવ્યું હતું કે બાળકને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે. અગાઉ, તેમને બિલગ્રામ સીએચસીથી હરદોઈ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે રિપોર્ટ દાખલ થયા પછી આરોપી શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ SC-ST વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે આ સરકારી યોજનાઓ
*જ્યાં સુધી સમગ્ર દેશમાં મનુવાદી બ્રાહ્મણવાદી અનીતિ અભદ્રતા અસંસ્કાર અને અવિદ્યા ચાલુ રહેશે ત્યાં સુધી દેશનું ભલું થાય તેમ નથી કે કોઈનું કલ્યાણ થાય તેમ નથી.