તેલંગાણામાં SC પેટાવર્ગીકરણ લાગુ, કોંગ્રેસે 14મી એપ્રિલે જ દલિતોની પીઠમાં ઘા કર્યો?

તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે ડો.આંબેડકરની જન્મજયંતીના દિવસે જ SC પેટાવર્ગીકરણ કાયદો લાગુ કરી કરોડો દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે?
sc sub categorisation

SC પેટાવર્ગીકરણ : તેલંગાણામાં કોંગ્રેસની રેવંત રેડ્ડી સરકારે બરાબર ડૉ.આંબેડકરની જન્મ જયંતીના દિવસે જ રાજ્યમાં અનુસૂચિત જાતિમાં પેટા વર્ગીકરણ કાયદો લાગુ કરીને દલિતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. કોગ્રેસ નેતા રાહુલ ગાંધી આખા દેશમાં બંધારણ લઈને ફરતા છે અને દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના બંધારણીય અધિકારોની વાત કરે છે. જો રાહુલે બંધારણ વાંચ્યું હોય તો તેમને ખબર હશે કે એ બંધારણમાં અનામતનો આધાર સામાજિક અસમાનતા છે. નહીં કે આર્થિક અસમાનતા. અર્થાત અનુસૂચિત જાતિ સમાજની વ્યક્તિ ગમે તેટલા ઉંચા હોદ્દા પર પહોંચી જાય, ગમે તેટલી આર્થિક રીતે સદ્ધર થઈ જાય તો પણ તેની જાતિના કારણે તેની સાથે દાખવવામાં ભેદભાવમાં કોઈ સુધારો આવતો નથી.

અનામત કોઈ ગરીબી દૂર કરવાની યોજના નથી પરંતુ સામાજિક ભેદભાવ ખતમ કરવા માટેનું મિશન છે અને જ્યાં સુધી દેશમાંથી એસસી સમાજ સાથેનો સામાજિક ભેદભાવ દૂર ન થાય ત્યાં સુધી તેમાં સમાવિષ્ટ દરેક વ્યક્તિને ફરજિયાત અનામતનો લાભ મળવો જોઈએ.

આટલી સ્પષ્ટ વાત ભારતનું બંધારણ કરતું હોવા છતાં તેલંગાણામાં કોંગ્રેસની રેવંત રેડ્ડી સરકારે બરાબર 14મી એપ્રિલના દિવસે જ રાજ્યમાં અનુસૂચિત જાતિ પેટાવર્ગીકરણ કાયદો લાગુ કરીને સાબિત કરી દીધું છે કે તે દલિત હિતોની માત્ર વાતો કરે છે, અસલમાં તે અન્ય સવર્ણ પાર્ટીઓની જેમ ઘોર દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. ભારતીય બંધારણમાં અનામતની જોગવાઈ સામાજિક આધાર પર કરવામાં આવેલી છે તે જાણતી હોવા છતાં કોંગ્રેસે તેલંગાણામાં આર્થિક આધાર પરના આ ગેરબંધારણીય એવા એસટી પેટા વર્ગીકરણ કાયદાને સૌથી પહેલા લાગુ કરીને દેશના કરોડો દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે.

આ પણ વાંચો:  SC, ST માં વર્ગીકરણ બાબતે કોલેજીયમ જજોની દાનત શું છે?

sc sub categorisation

રેવંત રેડ્ડીના આ નિર્ણયથી કોંગ્રેસનનું દલિતોના હામી હોવાનું મહોરું પણ ઉતરી ગયું છે અને સાબિત થઈ ગયું છે કે, તે પણ દલિતોના હિતોની માત્ર વાતો કરે છે પરંતુ અંદરખાને તો દલિતોમાં અંદરોઅંદર ભાગલા પડાવી તેમના હકોને ખતમ કરવાનું જ કામ કરી રહ્યાં છે.

ડૉ.આંબેડકરની જન્મ જયંતીએ જ એસસી પેટા વર્ગીકરણ લાગુ કર્યું

તેલંગાણા સરકારે બરાબર 14મી એપ્રિલે, ડૉ.આંબેડકર જયંતીના દિવસથી એસસી પેટા વર્ગીકરણનો આ કાયદો લાગુ કર્યો છે, જે દલિતોના ઘા પર મીઠું ભભરાવવા જેવું છે. દેશભરમાં કોંગ્રેસશાસિત તેલંગાણા પહેલું એવું રાજ્ય છે જેણે એસસી પેટાવર્ગીકરણનો ભાજપે ઘડેલો કાયદો પોતાના રાજ્યમાં સૌથી પહેલા લાગુ કર્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ક્યા આધાર પર પોતે દલિતોના હિતોની વાત કરતી હશે? સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ તેનો અમલ કરવામાં આવ્યો છે. તેલંગાણા વિધાનસભાના કાયદાને 8 એપ્રિલ, 2025 ના રોજ રાજ્યપાલની મંજૂરી મળી હતી અને આ સંમતિ સામાન્ય માહિતી માટે 14 એપ્રિલ, 2025 ના રોજ તેલંગાણા ગેઝેટમાં પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવી છે.

SC વર્ગીકરણ કાયદો શું છે?

તેલંગાણામાં કોંગ્રેસની રેવંત રેડ્ડી સરકારે અનુસૂચિત જાતિ માટેની 15% અનામતને ત્રણ ભાગમાં વહેંચી નાખી છે. મતલબ કે અત્યાર સુધી અનુસૂચિત જાતિ સમાજમાં જન્મેલી દરેક વ્યક્તિને જે સમાનતાથી તેનો લાભ મળતો હતો તે બંધ થઈ જશે. રેવંત રેડ્ડીની સરકારે તેને ત્રણ ભાગમાં વહેંચી નાખી છે જે આ મુજબ છે,

ગ્રુપ 1 – જેમાં ૧૫ સૌથી પછાત સમાજો, જે અનુસૂચિત જાતિની વસ્તીના ૩.૨૮૮% છે, તેમને 1 ટકા અનામત મળશે.
ગ્રુપ 2 – જેમાં ૧૮ મધ્યમ લાભ મેળવનાર અનુસૂચિત જાતિઓ, જે ૬૨.૭૪% છે – તેમને 9 ટકા અનામત મળશે.
ગ્રુપ 3 – તેમાં 26 અનુસૂચિત જાતિઓ સામેલ છે, જે 33.963% છે – તેમને 5 ટકા અનામત મળશે.

આ વર્ગીકરણ કયા આધારે કરવામાં આવ્યું?

આ વર્ગીકરણ માટે ઓક્ટોબર 2024 માં જસ્ટિસ શમીમ અખ્તર કમિશનની રચના કરવામાં આવી હતી. આયોગને વિવિધ એસી પેટા-જાતિઓની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિનો અભ્યાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કમિશને ભલામણ કરી હતી કે 59 અનુસૂચિત જાતિ (SC) સમાજોને કુલ 15 ટકા અનામત માટે ત્રણ જૂથો, I, II અને III માં વિભાજીત કરવા જોઈએ. સર્વે દરમિયાન, કમિશને ૮૬૦૦ થી વધુ લોકો તરફથી સૂચનો અને મંતવ્યો મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં વસ્તી વિતરણ, સાક્ષરતા દર, ઉચ્ચ શિક્ષણમાં ભાગીદારી, રોજગાર, સરકારી યોજનાઓના લાભો અને રાજકીય ભાગીદારી જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. રેવંત રેડ્ડી સરકારનું કહેવું છે કે, બધાં સમાજોને સાંભળ્યા પછી એક વિગતવાર અહેવાલ આપવામાં આવ્યો હતો.

કેબિનેટ સબ-કમિટીની અંતિમ બેઠક

કાયદાનો અમલ કરતા પહેલા, રવિવારે સચિવાલય ખાતે કેબિનેટ પેટા સમિતિની અંતિમ બેઠક યોજાઈ હતી. મંત્રી દામોદર રાજા નરસિમ્હા, સીતાક્કા, પોનમ પ્રભાકર, જસ્ટિસ શમીમ અખ્તર, વેલફેર સચિવ શ્રીધર, કાયદા સચિવ તિરુપતિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. આ બેઠકમાં માર્ગદર્શિકા અને આદેશોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:  અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?

આ કાયદો 18 માર્ચે તેલંગાણા વિધાનસભા દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજ્યપાલ વિષ્ણુ દેવ વર્મા દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.

એસસી કેટેગરીમાં પણ ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની ભલામણ હતી

ન્યાયાધીશ અખ્તર કમિશને એસસી કેટેગરીમાં પણ આર્થિક ધોરણે ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની ભલામણ કરી હતી, પરંતુ સરકારે આ દરખાસ્તને નકારી કાઢી હતી. જેની પાછળ બૌદ્ધિક દલિત વોટબેંક છીનવાઈ જવાનો ભય હતો. મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય બધા સમૂહોને ન્યાય આપવાનો છે અને કોઈને પણ બાકાત રાખવાનો નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે હાલના કોઈપણ લાભોમાં ઘટાડો કરવામાં આવશે નહીં, તેના બદલે આ વર્ગીકરણ સમાન વિતરણને પ્રોત્સાહન આપશે. જો કે એસસીમાં પેટા વર્ગીકરણ લાગુ કરીને તેમણે ઓલરેડી દલિતોના લાભમાં કાપ મૂકી દીધો છે. હાલમાં તેલંગાણામાં 2011 ની વસ્તી ગણતરી મુજબ SC અનામત 15% છે, પરંતુ SC વસ્તી હવે લગભગ 20 ટકા આસપાસ છે.

તેથી એક રીતે તો સરકારે એસસી અનામતમાં વધારો કરવો જોઈએ, તેના બદલે પેટા વર્ગીકરણ દાખલ કરીને દલિતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો: ગોડસેના વખાણ કરનાર પ્રોફેસરને પ્રમોશન આપી સીધા ડીન બનાવાયા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*સગી માં ને ત્યજીને માસીને ધાવા જાય છે! તેવાં નેતાઓ દલિત સમાજના દુશ્મન બની બેઠા છે! જેઓ હિન્દુ કટ્ટરવાદીઓના ખોળામાં બેસીને સામાજિક ન્યાયની ઘોર ખોદવામાં લાગી ગયાં છે! તેઓને માટે આવું કહેવું જરાયે અજુગતું લાગશે નહિ!
જયભીમ નમો બુદ્ધાય!

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x