સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગની વસ્તી દલિત અને ઓબીસી સમાજની છે. અહીં આવેલા નાનામોટા મંદિરોમાં સૌથી વધુ દર્શનાર્થીઓ આ બે સમાજમાંથી આવતા હોય છે. વઢવાણના વસ્તડીમાં આવેલું સામા કાંઠાની મેલડી માતાનું મંદિર દલિતો, ઓબીસી સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જો કે, હવે એ જ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને માતાજીની સામે મૂકેલી દાનપેટી ઉપાડીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આખી ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
તસ્કરો મૂર્તિ સામેથી જ દાનપેટી ચોરી ગયા
વસ્તડી સામાકાંઠાના મેલડી માતાજીનું મંદિર દલિતો, ઓબીસી સમાજના ભક્તોમાં આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. માત્ર સુરેન્દ્રનગર નહીં પરંતુ જિલ્લા બહારથી પણ મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરે દર્શનાર્થે આવે છે. ગઈ મોડી રાત્રે આ મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કુટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો: સવર્ણોની દાદાગીરી છતાં પોલીસે દલિતોને મંદિર પ્રવેશ કરાવ્યો
જેમાં બે બુકાનીધારી તસ્કરો અંદાજે રાત્રે ૧૨.૩૫ની આસપાસ મંદિરમાં પ્રવેશતા નજરે પડે છે અને મેલડી માતાજીની મૂર્તિની સામે લોખંડની ગ્રીલ પાસે રાખેલી દાનપેટીને ઉપાડીને મંદિરની બહાર નાસતા દેખાય છે.
પૂજારી, સરપંચે પોલીસને ચોરીની જાણ કરી
મંદિરમાં ચોરી થયાની જાણ થતા પૂજારી અને ગામના સરપંચ સહિત આગેવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને જોરાવરનગર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી કુટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
તસ્કરો મંદિરમાં ચોરી કરતા લોકોમાં રોષ
દાનપેટીમાં કેટલી રકમ હતી અને છેલ્લે દાનપેટી ક્યારે ખોલવામાં આવી હતી તે અંગે વધુ તપાસ બાદ જ સાચી હકિકત બહાર આવશે. પોલીસ દ્વારા તાત્કાલીક તસ્કરોને ઝડપી પાડવામાં આવે અને નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ તેમજ વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે હવે તસ્કરોએ મંદિરોને પણ ટાર્ગેટ બનાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: 50 ડ્રાઈવરોની હત્યા કરી મગરને ખવડાવી દેનાર ડોક્ટર ઝડપાયો