ફતેવાડીમાં સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકતા બે દલિત સગીરના મોત

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રીલ્સ બનાવતી વખતે સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકતા ત્રણ યુવકોના મોત થયા છે. ત્રણેય તેમના માતાપિતાના એકમાત્ર પુત્ર હતા. જેમાં બે અનુસૂચિત જાતિ સમાજના છે.
Death of a minor

અમદાવાદના વાસણા નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલમાં પરમ દિવસે એક સ્કોર્પિયો કાર ખાબકી હતી. આ દુર્ઘટનામાં યશ સોલંકી, યક્ષ ભકોડિયા અને ક્રિશ દવે નામના ત્રણ યુવકોના મોત થયા હતા. આ ત્રણ પૈકી યશ સોલંકી અને યક્ષ ભકોડિયા અનુસૂચિત જાતિ સમાજના હતા. બંને શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા હતા અને હાલમાં જ ધોરણ 10ની પરીક્ષા આપી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન બાદ બંનેની લાશ શોધી કાઢી હતી. જ્યારે અન્ય યુવકની લાશ આજે સવારે મળી આવી છે.

મળતી માહિતી મુજબ ત્રણેય યુવક તેના અન્ય મિત્રો સાથે ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે ગયા હોવાનું અને રીલ બનાવતી સમયે જ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. 6થી 7 સગીર અને યુવકોએ રીલ બનાવવા માટે 3500 રૂપિયાના ભાડે ચાર કલાક માટે સ્કોર્પિયો મેળવી હતી. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી અલગ અલગ લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા સગીરો અને પુખ્ય વયના મિત્રો વાસણા નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવવા માટે પહોંચ્યા હતા. આ તમામ લોકો રીલ બનાવતા હતા એ સમયનો પણ વીડિયો સામે આવ્યો છે. એમાં છથી સાત લોકો અને સ્કોર્પિયો કાર જોવા મળી રહી છે. ત્યાર બાદ સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી. આ મામલે અમદાવાદ પોલીસને બુધવારે સાંજે સાડાછ વાગ્યે જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્કોર્પિયોમાં સવાર લોકોની શોધખોળ હાથ ધરી હતી.

બુધવારે સાંજે જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થઈ એ પછી સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસના જવાનો કેનાલમાં કૂદ્યાં હતા. જ્યારે તરવૈયા સ્કોર્પિયો પાસે પહોંચ્યાં ત્યારે તેની ઉપરથી પાણી જતું હતું અને કારના કાચ તોડીને તપાસ કરતા અંદર કોઈ નહોતું. તેથી તેમણે આગળ કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. અકસ્માત સર્જાયો ત્યારે કેનાલમાં પાણીનો ફ્લો ભરપૂર હોવાના કારણે શોધખોળ મુશ્કેલ હતી, જેથી તાત્કાલિક પાણી બંધ કરવામાં આવ્યું હતું. મોડીરાત્રિ સુધી ફાયરના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ ચાલુ રાખી હતી. ત્યાર બાદ વહેલી સવારથી જ ટીમો કેનાલમાં આગળ શોધખોળમાં જોડાઈ હતી.

સવારે શોધખોળ દરમિયાન બનાવ સ્થળેથી અડધો કિમી દૂર યક્ષની લાશ મળી આવી હતી, જ્યારે દોઢ કિલોમીટર દૂરથી યશની પણ લાશ મળી હતી, જોકે આ બંને સગીર સાથે ત્રીજો ક્રિશ નામનો યુવક પણ હતો, તેનો કોઈ પત્તો નહોતો મળ્યો.. ફાયરની ટીમને આજે સવારે તેની લાશ મળી આવી છે.

સોશિયલ મીડિયામાં રીલ મૂકી ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં યુવાનો અને સગીરો પોતાના જીવની પણ ચિંતા કરતા હોતા નથી અને જોખમી રીતે રીલ બનાવતા હોય છે. આ ઘટનામાં પણ આ જ કારણ સામે આવ્યું છે. મૃતકો સાથે જે મિત્રો ત્યાં રીલ બનાવવા ગયા હતા તેઓ અકસ્માત બાદ બચાવ કામગીરી માટે હિંમત કરી શક્યા નહોતા. જ્યારે સ્થાનિક તરવૈયાઓ અને પોલીસકર્મીએ જીવના જોખમે પ્રયાસો કર્યા હતા.

વાસણા બેરેજ રોડ પર કેનાલ નજીક 10થી વધુ મિત્રો રીલ બનાવવા માટે ગયા હોવાનું સામે આવ્યું છે. જે પૈકીના ત્રણ યુવકો સ્કોર્પિયો સાથે કેનાલમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાયો તે પહેલાનો તમામ મિત્રો અને સ્કોર્પિયો કાર સાથેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો:સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, જજે તે ચૂકાદામાં લખ્યું છે?

scorpio car falls into canal

પોલીસના જણાવ્યા મુજબ, સ્કોર્પિયો કાર હિમાલયા મોલ પાસે આવેલી એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાંથી ભાડા પર લેવામાં આવી હતી. પોલીસે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અને મૃતકોના મિત્રના નિવેદન પણ લેવાની તજવીજ હાથ ધરી છે.

આ મામલે ઝોન-7 ડીસીપી શિવમ વર્માના જણાવ્યા મુજબ, જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે આશંકા છે કે ચાલકે ડ્રાઈવિંગ સમયે બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કારનો માત્ર વીડિયો જ બનાવવાનો હતો પણ કાર હેવી હોવાથી કંટ્રોલ થઈ શકી નહીં અને કેનાલમાં ઉતરી ગઈ હતી. કાર જ્યારે કેનાલમાં ઉતરી ત્યારે બે લોકો આગળ અને એક પાછળ બેઠો હતો. કારના પાછળના કાચ ખુલ્લા હતા જેમાંથી તેઓ બહાર નીકળ્યા પણ વહેણ વધારે હોવાથી તેઓ તણાયા હતા.

એ દરમિયાન કોઈએ કેનાલમાં પાણી રોકવા માટે પોલીસને કહ્યું હતું. જેથી પીઆઇ આર.એન પટેલે નર્મદા ઓથોરિટીને ફોન કર્યો કારણ કે, પાણી અચાનક રોકાય તો બેરેજને નુકસાન થાય અને જો છોડી દેવામાં આવે તો આગળ ગામમાં રેતીનું કામ કરતા લોકો તણાઈ જવાનો ડર હતો. તેમ છતાં પીઆઇએ પાણી રોકવા માટે વાત કરી હતી કેમ કે, પહેલાં લોકોને રેસ્ક્યૂ કરવાની પ્રાથમિકતા હતી.

કેનાલમાંથી જે બે મૃતદેહો મળી આવ્યા છે તેમાં એક મૃતદેહ યક્ષ ભંકોડિયાનો છે. જે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતો હતો. યક્ષે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તેની અન્ય મિત્રો સાથે ગરબા ક્લાસીસમાં મુલાકાત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

કેનાલમાં લાપતા બનેલા યક્ષના પરિવારજને જણાવ્યું હતું કે, સાંજના સમયે નિયમિત સમય મુજબ તેના મિત્રોને મળવા માટે અને બહાર આંટો મારવા માટે ગયો હતો. મને ખબર નથી કે તેના મિત્રો સાથે તે અહીંયા આવ્યો હતો. મારા દીકરાને ગાડી ચલાવતા આવડતું નથી, મારો દીકરો 17 વર્ષનો છે અને ભણતો હતો. વાસણા બેરેજ પાસે કેનાલ નજીક કેવી રીતે આવ્યા તેની અમને ખબર નથી. રીલ બનાવવા આવ્યા હતા કે કેમ એની પણ અમને ખબર નથી. મને સાંજે 7 વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો હતો કે આવી ઘટના બની છે. તેની સાથે બીજા કોણ મિત્ર હતા તેની પણ મને ખબર નથી.

વાસણા બેરેજથી થોડે દૂર યક્ષ ભંકોડીયાએ થોડે દૂર ગાડી ચાલવી હતી બાદમાં યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી સાથે ગાડીમાં ક્રિશ દવે પણ બેઠો હતો. ત્રણેય મિત્રો ગાડીને યુ-ટર્ન મારી અને પાછી લાવતા હતા, પરંતુ કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો નહોતો અને ગાડી સીધી કેનાલમાં ઘસી ગઈ હતી. તેથી મિત્ર વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રોએ દોરડું નાખી અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રણમાંથી એકપણ વ્યક્તિ દોરડું પકડી શક્યો નહોતો અને વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.

સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન કોઈ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવતું નથી, પરંતુ ત્રણ યુવકો પાણીમાં તણાઈ ગયા હોવાના કારણે રાતે 1 વાગ્યા સુધી ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા સુરક્ષાના સાધનો વડે કેનાલમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી હતી. બીજી તરફ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, જેથી પાણી ઓછું થઈ જતા ત્રણેય મૃતદેહો શોધી શકાયા હતા.
આ ઘટના માતાપિતા અને યુવક-યુવતીઓ સૌ માટે લાલબત્તી સમાન છે. રિલ્સ કરતા જિંદગી ઘણી કિંમતી છે, સ્ટંટ કરીને જોખમી રીતે રીલ્સ બનાવવામાં દરરોજ દુનિયાભરમાં અનેક લોકો મોતને ભેટે છે. એ કામમાં આપણી માસ્ટરી ન હોય, આવડતું ન હોય તે કરવામાં ભારોભાર જોખમ રહેલું હોય છે.

ખાસ કરીને વાહન ચલાવતા ન આવડતું હોય છતાં તેના પર હાથ અજમાવી છાકો પાડી દેવાની, રિલ્સમાં વધારે વ્યૂઝ લાવવાના ચક્કરમાં લોકો સામાન્ય સમજણને પણ ગિરવે મૂકી દેતા હોય છે. આશા રાખીએ કે આ ઘટનામાંથી યુવાવર્ગ ચોક્કસ કંઈક બોધપાઠ લેશે.

આ પણ વાંચો: શું મોદી Dr. Ambedkar કરતા મોટા છે? : AAP

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Aarush
Aarush
3 months ago

ગેરકાયદસર ગાડીઓ ભાડે વેચાય છે એના પર ગુજરાત પોલીસ ધ્યાન દોરવું જોઈએ
વગર પરમીટ વગર લાઇસન્સ

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x