એક જાગૃત દલિત યુવકને સરપંચ બનતો રોકવા કેવા કાવાદાવા થયા?

વીંછિયાના ફૂલઝરમાં પહેલીવાર અનુ.જાતિના સરપંચ બિનહરીફ ચૂંટાયા છે. પરંતુ તેમને આ પદ સુધી પહોંચતા રોકવા માટે કેવા કાવાદાવા થયા તે ખબર છે?
dalit news

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ફૂલઝર ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પહેલીવાર અનુસૂચિત જાતિની વ્યક્તિ બિનહરીફ સરપંચ પદે ચૂંટાઈ છે. મીડિયામાં આ ઘટનાનું સાવ જુદી રીતે રિપોર્ટિંગ કરીને સ્ટોરી પબ્લિશ કરાઈ છે. લગભગ દરેક મીડિયામાં એકસરખા દ્રષ્ટિકોણથી આખી ઘટનાને ‘સમરસ’ માં ખપાવી દેવામાં આવી છે. પરંતુ હકીકત તેનાથી તદ્દન ઉલટી છે. વાસ્તવમાં જાગૃત દલિત યુવક ગામનો સરપંચ ન બની જાય તે માટે ગામની બહુમતી વસ્તીએ મળીને અનેક કાવાદાઓ કર્યા હતા. પણ માત્ર 12 ધોરણ પાસ અનુ.જાતિના યુવકે બહુમતી લોકોને રાજકારણમાં ભૂ પાઈ દીધું હતું અને સરપંચપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યો હતો.

dalit news

રાજકોટના વીંછિયા તાલુકાના ફૂલઝર ગામની ઘટના

વાત છે ફૂલઝર ગામમાં નવા ચૂંટાયેલા સરપંચ અમૃતભાઈ પરમારની. તેમને સરપંચ પદે ન ચૂંટાવા દેવા માટે ગામના બહુમતી વસ્તી ધરાવતા સમાજે મળીને અનેક કાવતરાઓ રચ્યા હતા. તેમની સામે પ્યાદાઓ ઉભા કરવામાં આવ્યા, તલાટીને ધાકધમકીઓ મળી, તાલુકા અધિકારીઓને દબાણ કરાયું, પણ અમૃતભાઈએ એવા તો મજબૂત પુરાવાઓ ઉભા કર્યા હતા કે કોઈપણ અધિકારી તેને અવગણીને તેમની વિરુદ્ધ જઈ શકે તેમ ન હતા. આખરે અમૃતભાઈ આઝાદીના 75 વર્ષ પછી પહેલીવાર ફૂલઝરના અનુ.જાતિ સમાજના સરપંચ પદે બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે જ અમૃતભાઈએ રાજકારણ કેવી રીતે રમવું તેનું પણ એક મજબૂત ઉદાહરણ પુરું પાડ્યું છે.

દલિત યુવકના એક જ માસ્ટરસ્ટ્રોકે વિરોધીઓને ચિત્ત કરી દીધાં

મીડિયામાં ફૂલઝર ગામમાં સરપંચ બિનહરીફ થયા તેને લઈને સાવ ઉપરછલ્લી અને અધૂરી માહિતી સાથેની સ્ટોરી રજૂ કરવામાં આવી રહી છે. તેમાં ગામલોકોએ સૌએ સાથે મળીને અમૃતભાઈને સરપંચપદે બિનહરીફ ચૂંટ્યા અને સૌએ રાજીખુશીથી તેમને ટેકો જાહેર કર્યો છે તેવી ખોટી માહિતી આપવામાં આવી છે. હકીકત એ છે કે, ગામના બહુમતી વસ્તી અમૃતભાઈ જેવો જાગૃત અનુસૂચિત જાતિ સમાજનો યુવાન સરપંચપદે ચૂંટાય તેની વિરુદ્ધમાં હતા. તેમણે અમૃતભાઈ સરપંચ ન બની જાય તે માટે સામ-દામ-દંડ-ભેદ સહિતના તમામ દાવ અજમાવી જોયા હતા. પણ અમૃતભાઈએ એક જ માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો અને વિરોધીઓને ચારોખાને ચિત્ત કરી નાખ્યા હતા. તેમની એક જ ચાલને કારણે આખી બાજી તેમની તરફેણમાં આવી ગઈ અને તેઓ બિનહરીફ સરપંચ ચૂંટાયા હતા.

આ પણ વાંચો: સવર્ણોએ 6 કલાક સુધી દલિત યુવકની અંતિમવિધિ ન થવા દીધી

dalit news

ગામલોકોએ અભણ સફાઈકર્મીને પ્યાદું બનાવ્યા?

ગામલોકોએ અમૃતભાઈને સરપંચ બનતા અટકાવવા માટે દલિત-વાલ્મિકી સમાજમાંથી આવતા 75 વર્ષના અભણ ચનાભાઈ વાળોદરાને ઉભા કર્યા હતા. તેમના પરિવારજનોએ તેમને ખૂબ સમજાવ્યા હતા કે, આ રીતે ગામલોકોના હાથનું પ્યાદું ન બનો. પણ તેઓ માન્યા નહોતા. જો કે અમૃતભાઈને તેઓ સ્વતંત્ર નિર્ણય લઈને ચૂંટણી લડે તેની સામે કોઈ વાંધો નહોતો, પરંતુ તેઓ કોઈના કહેવાથી આ કરી રહ્યા હતા તેનું દુઃખ હતું.  જો કે, એ પછી તેમણે તેનો પણ તોડ શોધી કાઢ્યો.

શૌચાલય ન હોવાને મુદ્દો બનાવ્યો

નિયમ મુજબ સરપંચની ચૂંટણી લડતી વ્યક્તિના ઘરે શૌચાલય હોવું ફરજિયાત છે. જો ન હોય તો તેની ઉમેદવારી રદ થઈ જાય. અમૃતભાઈએ ગામલોકોએ ઉભા કરેલા ઉમેદવાર ચનાભાઈના ઘરે શૌચાલય ન હોવાને મુદ્દો બનાવ્યો અને ચૂંટણી અધિકારીને અરજી કરી. ગામલોકોને ખ્યાલ નહોતો કે અમૃતભાઈ શૌચાલય ને મુદ્દો બનાવશે. આથી તેમણે તાત્કાલિક ચનાભાઈના ઘરે શૌચાલયનું નિર્માણ કરવાનું શરૂ કરી દીધું. પણ અમૃતભાઈએ તેનો વીડિયો ઉતારી, ફોટાં પાડી પુરાવા ઉભા કરી દીધાં. એ પછી તલાટીથી લઈને ઉપરી અધિકારીઓ સુધીના સૌ કોઈએ સ્વીકારવું પડ્યું કે સરપંચપદના ઉમેદવાર ચનાભાઈ વાળોદરાના ઘરે શૌચાલયની સગવડ નથી. તેથી તેમની ઉમેદવારી રદ કરવામાં આવી અને એ રીતે અમૃતભાઈ પરમાર બિનહરીફ સરપંચ પદે ચૂંટાયા.

અમૃતભાઈની રાજકીય કુનેહની દાદ દેવી પડે

આ આખા ઘટનાક્રમની વિગતે વાત કરતા અમૃતભાઈ પરમારે ખબરઅંતર.ઈન સાથે વાત કરતા કહ્યું, “સરપંચ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડ્યું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આઝાદીના 75 વર્ષ પછી પહેલીવાર ગામમાં અનુ.જાતિના સરપંચ માટેની અનામત સીટ આવી છે. અમે ઈચ્છતા હતા કે કોઈ જાગૃત વ્યક્તિ સરપંચ બને. અમારા ગામની વસ્તી અંદાજે 5 હજાર આસપાસ હશે. તેમાં કોળી સમાજની વસ્તી અંદાજે 3000, ભરવાડ સમાજની 2000 આસપાસ, અનસૂચિત જાતિ અને દેવીપૂજક સમાજની 100-100 આસપાસ અને વાળંદ તથા કુંભાર સમાજની વસ્તી અનુક્રમે 60 અને 30 આસપાસ છે. અમે પહેલા અનુસૂચિત જાતિ સમાજમાંથી બે નામ નક્કી કરીને ગામલોકોને જણાવ્યા હતા. પરંતુ તેમને તે પસંદ આવ્યા નહોતા અને તેમણે પોતાનો અલગ ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: ભાજપના દલિત નેતાના પુત્રને સવર્ણોએ મુર્ગા બનાવી પેશાબ પીવડાવ્યો

dalit news

એ પછી તેમણે અનુ.જાતિના 75 વર્ષના સફાઈકર્મી ચનાભાઈ વાળોદરાને ઉભા કર્યા. એ પછી મારે ગામના ભલા માટે થઈને નાછુટકે ચૂંટણીના મેદાનમાં ઉતરવું પડ્યું. કેમ કે, બહુમતીના જોરે અમુક લોકો પોતાની મરજી પ્રમાણે કામ કરે તેવા સરપંચ ઈચ્છતા હતા. જે કોઈપણ લોકશાહી દેશ માટે ઘાતક ગણાય. આથી મેં ચૂંટણી લડવાનું મન બનાવી લીધું અને કોઈને ખ્યાલ ન આવે એ રીતે જઈને સરપંદ પદ માટેનું ફોર્મ ભરી આવ્યો હતો. એ પછી જાણે કશું બન્યું જ નથી તેમ ફોર્મ ભરવાના છેલ્લાં દિવસની રાહ જોવા લાગ્યો.

સજ્જડ પુરાવા ઉભા કર્યા, ચૂંટણી અધિકારીઓનું પણ કશું ન ચાલ્યું

સરપંદ પદ માટે ફોર્મ ભરવા માટે ગામલોકો છેલ્લાં દિવસે ચનાભાઈને લઈને ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અમૃતભાઈએ ઓલરેડી સરપંચ પદ માટે ફોર્મ ભરી દીધું છે. અભણ ચનાભાઈને જ્યારે ગામલોકોએ પોતાનો ટેકો જાહેર કરીને ઉમેદવાર બનાવ્યા ત્યારે જ અમૃતભાઈએ એક વાત નોંધી લીધી હતી કે ચનાભાઈના ઘરે શૌચાલય નથી એટલે નિયમ મુજબ તેમની ઉમેદવારી ટકી શકશે નહીં. તેમણે છેલ્લાં દિવસ સુધી આ મુદ્દાને દબાવીને રાખ્યો અને જેવી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ કે તરત આ મુદ્દે વાંધો રજૂ કરી દીધો. જેના કારણે તેમના વિરોધીઓ ફિક્સમાં મૂકાઈ ગયા. તેમને ખ્યાલ આવી ગયો કે ચનાભાઈ ઉમેદવારી ટકી શકશે નહીં. આથી તેમણે તલાટી અને ચૂંટણી અધિકારીઓ પર અલગ અલગ રીતે દબાણ લાવવાનું શરૂ કર્યું. પણ અમૃતભાઈ પાસે જે દસ્તાવેજી અને વીડિયો ફૂટેજ હતા તે જોઈને અધિકારીઓ પાસે પણ નમતું જોખવા સિવાય કોઈ ઉપાય નહોતો.

આમ વિરોધીઓના તમામ કાવાદાવાઓ છતાં અમૃતભાઈ પરમાર સરપંચ બન્યાં. એટલું જ નહીં, તેમની સાથે 8 વોર્ડ સભ્ય પણ બિનહરીફ ચૂંટાયા. હવે તેઓ ગામને વધુ સારું બનાવવા કામ કરવા માંગે છે. અમૃતભાઈ જેવી રાજકીય સમજણ અનુસૂચિત જાતિની દરેક વ્યક્તિ કેળવે તો પરિણામ શું આવે તે વિચારો.

(વિશેષ માહિતીઃ ડૉ. સમ્યક બૌદ્ધ)

આ પણ વાંચો: મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x