જાતિવાદ અને ગુંડાગર્દી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત યુવક પર અત્યાચારની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગામમાં એક દલિત યુવકને ચાર શખ્સો રાત્રે ઘરેથી બોલાવીને તેમની સાથે યમુના નદીના કાંઠે લઈ ગયા હતા. જ્યાં તેમણે દલિત યુવકને લાકડીઓથી માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ તેના ગુપ્તાંગમાં દંડો ખોસી અમાનવીય અત્યાચાર કર્યો હતો. યુવક જિતેન્દ્ર આ દર્દ સહન ન કરી શકતા બેભાન થઈ ગયો હતો.
એ પછી આરોપીઓ તેને નદીની રેતીમાં અડધો દાટીને ફરાર થઈ ગયા હતા. આ મામલે હવે પીડિત યુવકની પત્નીએ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસ આખા મામલાને સામાન્ય અત્યાચારની ઘટનામાં ખપાવી રહી હોવાના આક્ષેપો લાગ્યા છે અને ગામના દલિતો ઘર છોડીને પલાયન કરી રહ્યાં છે.
ગુપ્તાંગમાં દંડો ખોસી દેતા દલિત યુવક બેભાન થઈ ગયો
ઘટના શામલી જિલ્લાના ઝીંઝાણા પોલીસ સ્ટેશનના બલ્હેડા ગામની છે. અહીં ચાર યુવકો અનુસૂચિત જાતિ સમાજના 30 વર્ષના યુવક જીતેન્દ્રને રાત્રે તેના ઘરેથી બોલાવીને લઈ ગયા અને યમુના નદીમાં પાણીમાં ડૂબાડી, ગુપ્તાંગમાં દંડો ખોસી, લાકડીઓથી માર માર્યો હતો. આરોપીઓએ જિતેન્દ્રને જાતિસૂચક અપશબ્દો કહી તેનું અપમાન કર્યું અને તેને અધમૂઓ કરીને તેને યમુના કિનારે રેતીમાં અડધો દાટી દીધો અને દોરડાથી બાંધીને ભાગી ગયા. એસપીના આદેશ પર પીડિત યુવકની પત્ની દ્વારા બે આરોપીઓ સામે નામજોગ સહિત 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: સવર્ણોની ધમકી બાદ પોલીસ સુરક્ષા વચ્ચે દલિતનો વરઘોડો નીકળ્યો
યુવકને દોરડાથી બાંધી, રેતીમાં અડધો દાટી આરોપીઓ ફરાર
પીડિત યુવકની પત્ની પિંકીએ જણાવ્યું હતું કે, તેના પતિ જીતેન્દ્ર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 11 જૂનની રાત્રે, લગભગ 9 વાગ્યે, ગામના સદ્દામ અને મંગાએ તેના પતિને ઘરેથી બહાર બોલાવ્યો અને તેને પોતાની સાથે લઈ ગયા હતા. આગળ જતા, બે અજાણ્યા વ્યક્તિઓ પણ તેમની સાથે જોડાયા હતા. આ ચારેય આરોપીઓએ જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરીને તેના પતિનું અપમાન કર્યું હતું અને તેના પતિને યમુના નદીમાં લઈ ગયા. જ્યાં આરોપીઓએ તેના પતિને યમુના નદીમાં ડૂબાડી-ડૂબાડીને લાકડીઓ અને દંડાથી માર મારી પિસ્તોલની બીક બતાવી ધમકાવ્યો હતો. આરોપીએ તેના પતિને અધમૂઓ કરી નાખ્યો અને પછી તેને યમુના નદીના કિનારે રેતીમાં લઈ જઈને અડધું શરીર અને અડધું શરીર રેતીમાં રહે તે રીતે દાટી, દોરડાથી બાંધીને ફરાર થઈ ગયા હતા.
પરિવારે શોધખોળ કરતા યુવક મળી આવ્યો
જ્યારે જીતેન્દ્ર રાત્રે ઘરે ન પહોંચ્યો ત્યારે પરિવાર ચિંતિત થઈ ગયો. ગુરુવારે સવારે, પરિવારે પોલીસના નંબર પર જાણ કરી. માહિતી મળતાં પોલીસ પહોંચી અને પરિવાર પાસેથી આ બાબતની પૂછપરછ કરી. એ પછી પરિવારે જિતેન્દ્રની શોધખોળ શરૂ કરી. શોધખોળ દરમિયાન, જિતેન્દ્ર યમુના નદીની રેતીમાં અડધો દટાયેલી હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. પરિવારે તેને રેતીમાંથી બહાર કાઢ્યો અને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
જિતેન્દ્રના પરિવારનો આરોપ છે કે તેમણે પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી હતી, પરંતુ પોલીસે તેને સામાન્ય મારામારીની ઘટના ગણાવી દઈને કેસ નોંધ્યો નહોતો. ત્યારબાદ જિતેન્દ્રને ઘાયલ હાલતમાં એસપી ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એસપી રામસેવક ગૌતમે પીડિત પરિવારને કાર્યવાહીની ખાતરી આપતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
શુક્રવારે એક્ટિવિસ્ટો ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓ સામે રિપોર્ટ દાખલ કરવા અને તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. જિતેન્દ્રની પત્ની પિંકીની ફરિયાદના આધારે પોલીસે સદ્દામ, મંગા અને ગામના બે અજાણ્યા વ્યક્તિઓ સામે એસસી/એસટી એક્ટ અને હુમલાની કલમો હેઠળ રિપોર્ટ દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.
આ પણ વાંચો: 34 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 36 આરોપીઓને સજા થશે