આવતીકાલે રવિદાસ જયંતિ નિમિત્તે ઉત્તર પ્રદેશમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે બુધવારે આ સંદર્ભમાં એક સરકારી આદેશ જારી કર્યો. એ મુજબ અગાઉ રવિદાસ જયંતિ પર મરજિયાત રજા હતી, પણ હવે તેને જાહેર રજામાં પરિવર્તિત કરવામાં આવી છે. નવા આદેશ બાદ હવે શાળાઓ, કોલેજો અને તમામ સરકારી કચેરીઓ પણ બંધ રહેશે. રાજ્ય સરકારે ગયા વર્ષે 17 ડિસેમ્બરે જાહેર કરાયેલી રજાઓની યાદીમાં રવિદાસ જયંતિ નિમિત્તે રજા જાહેર કરી હતી. જોકે, તે સમયે તેનો સમાવેશ મરજિયાત રજાઓની યાદીમાં કરવામાં આવ્યો હતો. એ મુજબ, દરેક કર્મચારી મરજિયાત રજાઓમાંથી કોઈપણ બે રજાઓ લેવા માટે સ્વતંત્ર છે. હવે તેને જાહેર રજા જાહેર કરી દેવામાં આવી હોવાથી તે હોળી-દિવાળી જેવી રજા બની ગઈ છે.
આ પણ વાંચો: શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?
ઉલ્લેખનીય છે કે, બહુજન સંત રવિદાસનો જન્મ માઘી પૂર્ણિમાના દિવસે ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયો હતો. દર વર્ષે અહીં એક મોટો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. સંત રવિદાસને સંત શિરોમણી સંત ગુરુનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે રવિદાસિયા સંપ્રદાયની સ્થાપના કરી હતી અને તેમના કેટલાક ભજનો શીખોના પવિત્ર ગ્રંથ, ગુરુ ગ્રંથ સાહિબમાં પણ સમાવિષ્ટ છે. બહુજન સમાજના રત્ન સંત રવિદાસે જાતિવાદનો સખત વિરોધ કર્યો હતો અને આત્મજ્ઞાનનો માર્ગ બતાવ્યો હતો. ઘણા લોકો માને છે કે સંત રવિદાસજીના કોઈ ગુરુ નહોતા.
સંત રવિદાસે લોકોને કુરિવાજો, અજ્ઞાનતા તેમજ ધાર્મિક અંધશ્રદ્ધા અને દેખાડાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. ગંગા કિનારે જન્મેલા સંત રવિદાસજીની એક કહેવત ખૂબ જ પ્રચલિત છે. તેઓ કહેતા હતા કે, મન ચંગા તો કઠૌતી મેં ગંગા. અર્થાત, જો મન શુદ્ધ હોય તો ગંગામાં સ્નાન કરીને પવિત્ર થવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચો: હૂલ વિદ્રોહ : જેણે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાખ્યા હતા