સંગીતકાર વિશાલ દદલાણીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને પડકાર ફેંક્યો છે. તેમનું કહેવું છે કે જો યોગી દાવો કરી રહ્યા છે કે મહાકુંભનું પાણી પીવાલાયક છે તો તેમણે તે જાતે કેમેરાની સામે બધાં વચ્ચે તે પીવું જોઈએ. તમને જણાવી દઈએ કે સંગમના પાણીમાં મોટી માત્રામાં મળના બેક્ટેરિયા હોવાના સમાચાર આપ્યા હતા. આ રિપોર્ટ કોઈ ખાનગી લેબે નહીં પરંતુ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્ર બોર્ડનો હોવાનું કહેવાય છે. આ અંગે યોગી આદિત્યનાથે કહ્યું કે લોકો દ્વેષના કારણે આવી વાતો ફેલાવી રહ્યા છે. આ પાણી નહાવા અને પીવા માટે યોગ્ય છે.
વિશાલ દદલાણીએ કહ્યું – કેમેરા સામે પીને બતાવો
યોગી આદિત્યનાથના આ બચાવ બાદ હવે પોતાના આખાબોલા સ્વભાવને કારણે જાણીતા ગાયક-સંગીતકાર વિશાલ દદલાણીએ આવા જ એક સમાચારનો સ્ક્રીનશોટ લગાવીને યોગી આદિત્યનાથને એક મેસેજ લખ્યો છે. વિશાલ લખ્યું હતું કે, ‘સાહેબ, નફરત કરનારાઓની ચિંતા ના કરો. અમને તમારા પર વિશ્વાસ છે. કૃપા કરીને કેમેરાની સામે નદીના પાણીનો એક સરસ ઘૂંટડો પીને બતાવો.’
આ પણ વાંચો: કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે
વિશાલ દદલાણીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જબરજસ્ત રીતે વાયરલ થઈ રહી છે. જો કે હજુ સુધી ભાજપ કે યોગી સરકાર તરફથી આ મામલે કશું કહેવાયું નથી. ઉલ્લેખનીય છે કે, મહાકુંભના પાણીમાં મળના બેક્ટેરિયા હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ પાણી નહાવા માટે લાયક ન હોવાનું તેમાં કહેવાયું છે. એ પછી પાણીની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા હતા. યોગી આદિત્યનાથે ગૃહમાં આનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઘણા લોકો મહાકુંભ અંગે ખોટો પ્રચાર કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે પાણીને ટ્રીટ કર્યા પછી જ છોડવામાં આવી રહ્યું છે. યુપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ત્યાં પાણીની ગુણવત્તા જાળવવા માટે સતત કાર્યરત છે.
જો કે, યોગી સરકારના આ દાવાઓમાં મહાકુંભના પાણીમાં તરતા ચપ્પલ સહિતની વસ્તુઓ જોતા તથ્ય જણાતું નથી. એવામાં જોવાનું એ રહે છે કે યુપીના મુખ્યમંત્રી વિશાલ દદલાણીના પડકારને કેટલો ગંભીરતાથી લે છે.
આ પણ વાંચો: મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટા-વિડિયો ઓનલાઈન વેચાય છે?