ધર્મના નામે ચોક્કસ જાતિના લોકો રીતસરનો ધંધો ચલાવે છે તે હવે ધીરેધીરે સૌ જાણતા થઈ રહ્યા છે. ઈશ્વરી શક્તિના દૂત તરીકે સદીઓથી સમગ્ર સમાજ વ્યવસ્થામાં વર્ચસ્વ જમાવીને બેઠેલા લોકો જો પોતાનો સ્વાર્થ ન સધાય તો ભગવાનને પણ ભૂખ્યા રાખે તેમ છે. આવી જ એક ઘટના વૃંદાવનના વિખ્યાત બાંકે બિહારી મંદિરમાંથી સામે આવી છે.
અહીં એક રસોઈયાને પગાર આપવામાં ન આવતા તેણે ઠાકુરજીને ચઢાવવામાં આવતો પ્રસાદ બનાવ્યો નહીં. આમ, મંદિરના ઈતિહાસમાં પહેલીવાર ઠાકુરજીને ભોગ ચઢાવાયો નહોતો. આનાથી મંદિરમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તૂટી ગઈ હતી. જેને લઈને મંદિરના ગોસ્વામીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ,15મી ડિસેમ્બરના રોજ બાંકે બિહારી મંદિરમાં ઠાકુરજીને પ્રસાદ ચઢાવવામાં આવ્યો નહોતો, અને ન તો ભક્તોને કોઈ પ્રસાદ આપવામાં આવ્યો હતો. હંમેશા અહીં પરંપરા રહી છે કે, દરરોજ સવારે ઠાકુરજીને બાળ ભોગ અને સાંજે શયન ભોગ ચઢાવવામાં આવે. પણ આ દિવસે એવું થઈ શક્યું નહોતું.
આ પણ વાંચો: જૂનાગઢમાં મહંત ગૌશાળામાંથી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતો ઝડપાયો?

પ્રસાદ કેમ ચઢાવવામાં ન આવ્યો?
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે બાંકે બિહારી મંદિરના સંચાલન અને જાળવણીની દેખરેખ માટે એક હાઈ પાવર કમિટીની રચના કરી હતી. આ કમિટી હેઠળ, પ્રસાદ અને ભોગ તૈયાર કરવા માટે એક રસોઈયાની પણ નિમણૂક કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે રસોઈયાને માસિક 80,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેને પગાર મળ્યો નથી. જેના કારણે તેણે સોમવારે પ્રસાદ અને ભોગ તૈયાર કર્યો ન હતો. જેના કારણે ઠાકુરજી ભૂખ્યા રહી ગયા હતા.
મંદિરના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું
મંદિરના એક ગોસ્વામી (પુજારી)ના જણાવ્યા મુજબ, મયંક ગુપ્તા નામના વ્યક્તિને બાંકે બિહારી મંદિરમાં ઠાકુરજી માટે પ્રસાદ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેના દ્વારા તૈયાર કરાયેલ પ્રસાદ ઠાકુરજીને ચઢાવવામાં આવે છે, પરંતુ સોમવારે કોઈ પ્રસાદ ઉપલબ્ધ નહોતો. જેના કારણે ઠાકુરજીને મંદિરના ઈતિહાસમાં પહેલીવાર ભોગ ચઢી શક્યો નહોતો.
આ પણ વાંચો: હું દલિત છું એટલે રામમંદિરના ધજારોહણમાં ન બોલાવ્યો’
મંદિર કમિટીના સભ્યે શું કહ્યું?
મંદિરની હાઈ પાવર કમિટીના સભ્ય દિનેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તેમને માહિતી મળી હતી કે સોમવારે ઠાકુરજીને પ્રસાદ ચઢાવવામાં આવ્યો નથી. જ્યારે મયંક ગુપ્તાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે, તેને પગાર ચૂકવવામાં આવતો ન હોવાથી તેણે પ્રસાદ તૈયાર કર્યો નહોતો. આવું ફરી ન થાય તે માટે ગુપ્તાજીનો પગાર વહેલીતકે કરી દેવાની સૂચના આપવામાં આવી છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સમિતિ આદેશો જારી કરી રહી છે.
સવાલ એ છે કે, મંદિરમાં બેસીને શ્રદ્ધાળુઓને ભગવાનની સેવા કરવાની સલાહો આપતા લોકો રૂપિયા ન મળતા ભગવાનને ભોગ પણ ચઢાવતા નથી, તેઓ ક્યા મોંએ લોકોને ઈશ્વરની સેવા કરવાની સલાહ આપતા હશે? આ ઘટના એ વાતની સાબિતી છે કે, ભારતમાં મંદિરો ચોક્કસ જાતિના લોકો માટે મફતમાં કમાણી કરવાની એક તક જ છે. જો તેમને પૈસા ન મળે તો તેઓ કહેવાતા ભગવાનને પણ ભૂખ્યા રાખવામાં જરાય લાજશરમ અનુભવતા નથી. આખો ખેલ માત્ર પૈસાનો છે, એ ભોળાં ભક્તોને ક્યારે સમજાશે?
આ પણ વાંચો: તિરુપતિ મંદિરમાં લાડુ બાદ હવે 54 કરોડનું દુપટ્ટા કૌભાંડ ઝડપાયું










