હિન્દી સિનેમા આજે એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યા સેન્સર બોર્ડની સરમુખત્યારશાહીની છે. ખાસ કરીને જાતિવાદ અથવા જાતિગત ભેદભાવને ઉજાગર કરતી ફિલ્મો પર સેન્સર બોર્ડ તરત કાતર ફેરવવા તૈયાર થઈ જાય છે તે સમસ્યા ચિંતાજનક છે. તાજેતરમાં, ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપે આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો, જ્યારે સેન્સર બોર્ડે મહાત્મા જ્યોતિબા ફૂલે પર બનેલી ફિલ્મ ‘ફૂલે’ને સેન્સર કરી હતી. અનુરાગનો ગુસ્સો ફક્ત આ એક ફિલ્મ પૂરતો મર્યાદિત નહોતો; તેણે ‘સંતોષ’ અને ‘ધડક-2’ જેવી ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો, જે સેન્સર બોર્ડની તાનાશાહીનો ભોગ બની હતી. જો કે, સોશિયલ મીડિયા પર અનુરાગને ટ્રોલ કરનારા લોકો અને તેના કારણે ઉભા થયેલા વિવાદને લીધે આ મહત્વપૂર્ણ મુદ્દો દબાઈ ગયો હતો.
સેન્સર બોર્ડની કાતર: સત્યને કાપવા માટેનું એક સાધન
સેન્સર બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) નું કામ ફિલ્મોને પ્રમાણપત્ર આપવાનું છે, નહીં કે ફિલ્મના આત્માને કાપવાનું. સિનેમેટોગ્રાફ એક્ટ, 1952 ની કલમ 5બી હેઠળ, સીબીએફસીએ ખાતરી કરવી પડશે કે ફિલ્મો જાહેર વ્યવસ્થા, શિષ્ટાચાર અથવા નૈતિકતાની વિરુદ્ધ ન હોય. પરંતુ બોર્ડ ઘણીવાર તેના અધિકારક્ષેત્રની બહાર જાય છે અને કાપ થોપે છે, ખાસ કરીને એવી ફિલ્મો પર, જે જાતિ ભેદભાવ અથવા સામાજિક અન્યાયને ઉજાગર કરે છે.
આ પણ વાંચો: દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી
ઉદાહરણ તરીકે, ફિલ્મ ‘સંતોષ’, જે 2024 માં રિલીઝ થવાની હતી, તેને CBFC દ્વારા ભારતમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બ્રિટિશ-ઈન્ડિયન સંધ્યા સૂરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જાતિ ભેદભાવ, પોલીસ હિંસા અને લિંગ અસમાનતા જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. તેને 2025ના ઓસ્કાર માટે યુનાઇટેડ કિંગડમની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું પ્રીમિયર થયું હતું. જોકે, સેન્સર બોર્ડ આ ફિલ્મમાં પોલીસના નકારાત્મક ચિત્રણ અને સામાજિક મુદ્દાઓના ચિત્રણથી નાખુશ હતું. સેન્સર બોર્ડ દ્વારા સૂચવેલા કાપ ફિલ્મની મૂળ ભાવનાની વિરુદ્ધ હોવાનું કહીને નિર્માતાઓએ ભારતમાં ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો.
તેવી જ રીતે, ધડક 2, જે તમિલ ફિલ્મ પેરિયેરમ પેરુમલની હિન્દી રિમેક છે, તેમાં આંતર-જાતીય યુવક યુવતી વચ્ચેની પ્રેમ કહાની દર્શાવવામાં આવી છે. મૂળ તમિલ ફિલ્મને કોઈ મોટી અડચણ વિના પ્રમાણપત્ર મળ્યું હતું, પરંતુ હિન્દી રિમેક સેન્સર બોર્ડ તરફથી કડક ચકાસણીનો સામનો કરી રહી છે. અનુરાગ કશ્યપે આ બેવડા ધોરણ પર સવાલ ઉઠાવતા કહ્યું,
“સીબીએફસી અધિકારીઓએ સ્ક્રીનિંગ દરમિયાન દાવો કર્યો હતો કે ‘મોદીજીએ ભારતમાં જાતિ વ્યવસ્થા નાબૂદ કરી દીધી છે,’ અને તેના આધારે આવી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.” જો આ સાચું હોય તો પ્રશ્ન એ ઊભો થાય છે કે બ્રાહ્મણ સંગઠનો ‘ફૂલે’ જેવી ફિલ્મોનો વિરોધ કેમ કરી રહ્યા છે?
આ પણ વાંચો: મારી માં મને કહેતી, “તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો..”
જાતિ પૂછીને થતા અત્યાચારના આંકડા અને વાસ્તવિકતા
સેન્સર બોર્ડ ભલે દાવો કરે કે જાતિવાદનો અંત આવ્યો છે, પરંતુ તેને પણ ખબર છે કે વાસ્તવિકતા તેનાથી તદ્દન જુદી છે. જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી દેશમાં દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજના લોકો પર સવર્ણ હિંદુઓ દ્વારા થતા અત્યાચારોમાં વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર, 2022 માં અનુસૂચિત જાતિ (SC) વિરુદ્ધ 57,582 ગુના નોંધાયા હતા, જે 2021 કરતા 13% વધુ છે. એપ્રિલ 2025માં જ એવી અનેક ઘટનાઓમાં બની છે જેમાં સ્પષ્ટ રીતે જાતિવાદનો મુદ્દો ઉજાગર થાય છે. બે દિવસ પહેલા જ સવર્ણોએ દલિત યુવકની અંતિમવિધિ નહોતી થવા દીધી અને તેની નનામી 6 કલાક સુધી રસ્તા વચ્ચે પડી રહી હતી.
એક ગામમાં એક સવર્ણ બાઈએ દલિત વરરાજા ઘોડી પર બેસીને તેના ઘર પાસેથી નીકળતા પથ્થર ઉપાડીને વરરાજાને માર્યો હતો. એક દલિત યુવકને ઠાકુર જાતિના ગુંડાઓએ જય ભીમ બોલવા બદલ નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો. આ ઘટનાઓ દર્શાવે છે કે આઝાદીના 77 વર્ષ પછી પણ દલિત અત્યાચારની વાસ્તવિકતા એવી જ છે. પરંતુ જ્યારે સિનેમા આ સત્યને પડદા પર લાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે સેન્સર બોર્ડની કાતર હરકતમાં આવે છે.
હિન્દી સિનેમા અને સામાજિક પ્રશ્નો
હિન્દી સિનેમાના શરૂઆતના વર્ષોમાં, સામાજિક મુદ્દાઓને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું. ૧૯૩૬માં રિલીઝ થયેલી ‘અછૂત કન્યા’માં અસ્પૃશ્યતા અને જાતિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરવામાં આવી હતી. હિમાંશુ રાય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એક બ્રાહ્મણ યુવક અને દલિત છોકરીની પ્રેમકથાનો દુ:ખદ અંત દર્શાવવામાં આવ્યો હતો. જે તે સમયની સામાજિક વાસ્તવિકતાને ઉજાગર કરે છે. પરંતુ આઝાદી પછી આવી ફિલ્મોની સંખ્યા ઓછી થવા લાગી.
આ પણ વાંચો: Kaala – સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના
કેટલાક અપવાદો છે, જેમ કે શ્યામ બેનેગલની અંકુર (૧૯૭૪) અને સદગતિ (૧૯૮૧), શેખર કપૂરની બેન્ડિટ ક્વીન (૧૯૯૪), જે જાતિગત અને લૈંગિક અત્યાચારને મજબૂતીથી રજૂ કરે છે. તાજેતરના વર્ષોમાં, મસાન (૨૦૧૫), આર્ટિકલ ૧૫ (૨૦૧૯) અને વેદા (૨૦૨૪) જેવી ફિલ્મોએ આ દિશામાં સવાલો ઉઠાવ્યા છે. પરંતુ એકંદરે, હિન્દી સિનેમાએ સામાજિક ન્યાયના પ્રશ્નોથી અંતર જાળવી રાખ્યું છે.
બોલિવૂડથી વિપરીત, દક્ષિણ ભારતીય સિનેમામાં, ‘અસુરન’, ‘કર્ણન’ અને ‘જય ભીમ’ જેવી ફિલ્મો આ મુદ્દાઓ ન માત્ર ખૂલીને વાત કરે છે, પરંતુ બોક્સ ઓફિસ પર પણ સફળ થાય છે.
સેન્સર બોર્ડ અને સત્તા વચ્ચેની મિલીભગત?
સેન્સર બોર્ડમાં નિમણૂકો સરકાર દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક રીતે જ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું બોર્ડનું વલણ સરકારની ઇચ્છાઓને પ્રતિબિંબિત કરે છે? સેન્સર બોર્ડનું આ વલણ વર્તમાન સત્તા સંસ્થાનના દૃષ્ટિકોણને અનુરૂપ છે, જે જાતિગત અત્યાચારોની વાતને ‘હિંદુ એકતા’માં અવરોધ માને છે. જોકે, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “જાતિ એક સામાજિક સરમુખત્યારશાહી છે, જેને શાસ્ત્રો અને પુરોહિત વર્ગ દ્વારા કાયદેસર ઠેરવવામાં આવી છે.” જ્યારે ડૉ. બી.આર. આંબેડકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જ્યાં સુધી જાતિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી ભારત સાચા અર્થમાં રાષ્ટ્ર નહીં બની શકે.” એનો અર્થ એ થયો કે, જાતિવાદ અને જાતિગત અત્યાચારો વિશે વાત કરવી, તેનાથી થતા નુકસાન વિશે દેશને શિક્ષિત કરવો એ એક ઐતિહાસિક જવાબદારી છે, પરંતુ ‘નવ-રાષ્ટ્રવાદીઓ’ને સ્વામી વિવેકાનંદ કે ડૉ. આંબેડકરમાંથી એકેયમાં વિચારોમાં કોઈ રસ નથી.
સિનેમાના અરીસામાં સમાજ ક્યાં છે?
હિન્દી સિનેમા ફક્ત મનોરંજનનું માધ્યમ નથી; તે સમાજનો પણ અરીસો છે. જો આ અરીસામાં સમાજની ગંદકી દેખાતી નથી તો તેનો અર્થ એ છે કે સિનેમાએ વાસ્તવિકતાથી મોં ફેરવી લીધું છે. સેન્સર બોર્ડનું વલણ માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર જ હુમલો નથી પરંતુ તે ડૉ. આંબેડકરના સપનાના ભારતની પણ વિરુદ્ધ છે. જાતિગત અત્યાચારોની ઘટનાઓને છુપાવવાથી ઘા રૂઝાશે નહીં; તેને ઉજાગર કરવાની જરૂર છે, અને સિનેમા તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પરંતુ તેના માટે હિન્દી સિનેમાએ પોતાનું મૌન તોડવું પડશે અને સેન્સર બોર્ડની કાતરને પણ પડકારવી પડશે.
આ પણ વાંચો: બોલીવૂડની ફિલ્મોમાં હીરો દલિત કે OBC કેમ નથી હોતો?