આસ્થાના નામે ભક્તોએ 11,000 લીટર દૂધ નર્મદા નદીમાં વહાવી દીધું!

એકબાજુ દેશમાં લાખો બાળકોને પુરતું ભોજન મળતું નથી, કરોડો લોકો કુપોષણનો સામનો કરી રહ્યાં છે ત્યારે આસ્થાના નામે નર્મદામાં 11,000 લીટર દૂધ વહાવી દેવાયું.
milk were consecrated in Narmada

આપણા દેશમાં આસ્થાના નામે લોકો સામાન્ય સમજણને પણ નેવે મૂકી દે છે. આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ભક્તોનું ટોળું નર્મદા નદીમાં 11,000 લીટર દૂધનો અભિષેક કરતું જોવા મળે છે.

મામલો મધ્યપ્રદેશના સીહોર જિલ્લાનો છે. અહીંના ભૈરુંદા તાલુકાનું સાતદેવ ગામ અત્યારે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીંના પ્રાચીન સ્વયંભૂ પાતાલેશ્વર મહાદેવ મંદિરમાં ચૈત્ર નવરાત્રીના અવસરે 21 દિવસીય ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા સંત શ્રી શ્રી 1008 શ્રી ધૂનીવાલે દાદાજી (શિવાનંદ દાદાજી) કરી રહ્યા હતા. જોકે, આ આયોજન તેની ધાર્મિક વિધિઓ કરતા વધુ તેમાં થયેલા દૂધના અધધ બગાડને કારણે વિવાદોના વમળમાં ફસાયું છે.

11,000 લીટર દૂધ નર્મદામાં વહાવી દીધું

આ અનુષ્ઠાન 29 માર્ચથી શરૂ થઈને 7 એપ્રિલ 2026 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન 41 ટન જેટલી હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. કાર્યક્રમના દરેક દિવસે 151 લીટર દૂધથી મા નર્મદાનો અભિષેક કરવામાં આવતો હતો, પરંતુ પૂર્ણાહુતિના દિવસે તો આસ્થાએ માઝા મૂકી હતી. સમાપન પ્રસંગે 151 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે આખેઆખા ટેન્કર ભરીને 11,000 લીટર દૂધ નર્મદા નદીના પ્રવાહમાં વહાવી દેવામાં આવ્યું હતું. આ દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ બુદ્ધિજીવીઓ અને સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: હવે ગંગોત્રી ધામના દર્શન કરવા હશે તો ભક્તોએ ‘ગૌમૂત્ર’ પીવું પડશે!

ગરીબ બાળકોના મોઢાનો કોળિયો છીનવાયો

આ આખી ઘટનાને બૌદ્ધિક વર્ગ ગરીબોની ક્રૂર મજાક માની રહ્યો છે. ભારત માટે કુપોષણ એક રાષ્ટ્રીય શરમ સમાન છે. આજે પણ દેશમાં લાખો બાળકો એવા છે જેમને દિવસમાં એકવાર પૌષ્ટિક દૂધ પીવા મળતું નથી. અનેક પરિવારો આર્થિક તંગીને કારણે પોતાના નવજાત બાળકોને દૂધ આપવા સક્ષમ નથી. આવા સમયે, ધર્મના નામે હજારો લીટર દૂધ પાણીમાં ઢોળી દેવું એ ગરીબી અને ભૂખમરાની ક્રૂર મજાક નથી તો બીજું શું છે? જે દૂધથી હજારો બાળકોની ભૂખ સંતોષી શકાતી હતી, તેને પરંપરાના નામે નદીમાં પધરાવી દેવું એ માનવતા વિરુદ્ધનો ગુનો ગણાય. આયોજકોએ વિચારવાની જરૂર હતી કે શું ભગવાન મૂર્તિ કે નદી પર દૂધ ચઢાવવાથી પ્રસન્ન થશે, કે કોઈ ભૂખ્યા બાળકના જઠરની અગ્નિ ઠારવાથી?

દૂધ પાણીમાં વહાવવાથી ઓક્સિજનનું સ્તર ઘટી જાય

માત્ર સામાજિક જ નહીં, પરંતુ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ આ પગલું અત્યંત ઘાતક છે. વિજ્ઞાન અનુસાર, જ્યારે દૂધ જેવી જૈવિક વસ્તુ મોટી માત્રામાં નદીના સ્થિર કે વહેતા પાણીમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તેના વિઘટન માટે પાણીમાં ઓગળેલા ઓક્સિજન (Dissolved Oxygen) નો ઉપયોગ થાય છે. 11,000 લીટર દૂધ પાણીમાં ભળવાથી તે વિસ્તારમાં ઓક્સિજનનું સ્તર અચાનક ઘટી જાય છે, જેના પરિણામે માછલીઓ અને અન્ય જળચર જીવો ગૂંગળાઈને મૃત્યુ પામી શકે છે. વધુમાં, દૂધ સડવાથી હાનિકારક બેક્ટેરિયા પેદા થાય છે જે નદીના શુદ્ધ પાણીને પ્રદૂષિત કરે છે. જે નર્મદાને આપણે ‘મા’ કહીએ છીએ, તેને જ આ પ્રકારે નુકસાન પહોંચાડવું એ કેવી ભક્તિ?

આ પણ વાંચો: નેતાઓનું ભવિષ્ય જોનાર જ્યોતિષની રેપમાં ધરપકડ, 58 વાંધાજનક વીડિયો મળ્યાં

કથિત બાબાઓના રવાડે ચઢતા લોકો ચેતી જાય

પાતાલેશ્વર મહાદેવ મંદિરની આ ઘટનાએ દેશમાં ફરી એકવાર ‘આસ્થા વિરુદ્ધ તર્ક’ની ચર્ચાને વેગ આપ્યો છે. ધૂનીવાલે દાદાજીના શ્રદ્ધાળુઓ તેને પરંપરા અને સમૃદ્ધિનું પ્રતીક માને છે, પરંતુ બદલાતા સમય સાથે ધાર્મિક પરંપરાઓમાં સુધારા લાવવા અનિવાર્ય છે. શ્રદ્ધા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તે સમાજનું ભલું કરે. જો આ દૂધ ગરીબ વસાહતો, અનાથાશ્રમો કે સરકારી શાળાઓમાં વિતરીત કરવામાં આવ્યું હોત, તો તે સાચી પૂજા ગણાત. હવે સમય પાકી ગયો છે કે ધાર્મિક સંસ્થાઓ અને સંતો ‘સેવા હી ધર્મ’ના સૂત્રને ખરા અર્થમાં અમલમાં મૂકે અને આવા વેડફાટ અટકાવે.

આ પણ વાંચો: બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x