અમદાવાદની દાણીલીમડા વિસ્તારમાં એક જીન્સ બનાવતી કંપનીની ટાંકીમાં ડૂબાઈ જવાથી ત્રણ શ્રમિક યુવકોના મોત થયાની ઘટના બની છે. જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણેય યુવકના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે, દાણીલીમડાના ખોડિયારનગર પાસે જીન્સ બનાવતી કંપનીમાં ત્રણ યુવકોના ટાંકીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ યુવકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે ત્રણેય યુવકો આખી રાત ટાંકીમાં પડ્યાં રહ્યા હોવાના કારણે તેમના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો: ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી અને મૃતકોના મૃતદેહોને મણિનગરની એલ. જી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે. ત્રણેય યુવકોની ઉંમર 25-30 વયની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેય મૃતક નાઇટ શિફ્ટ દરમિયાન કામ કરી રહ્યા હતાં, સફાઇ માટે તેઓ વૉશિંગ ટાંકીમાં પડ્યા હતાં, પરંતુ બહાર આવવામાં નિષ્ફળ ગયા હતા અને રાતભર ટાંકીમાં જ રહ્યા હતાં. દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો એલ.જી હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંપની પર ફેક્ટરી મેનેજમેન્ટ તરફથી બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
પરિવારજનોનો દાવો છે કે, કંપનીએ કામદારોને જોખમી રીતે ટાંકીમાં જ છોડી દેવાયા હતા. જો કે ત્રણેયના મોતની અસલી હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે. હાલ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું