બોટાદ: ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચારોની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આધુનિક યુગમાં ડિજિટલ ઇન્ડિયા અને સામાજિક સમરસતાની વાતો વચ્ચે પણ ગ્રામીણ સ્તરે જ્ઞાતિવાદનું ઝેર હજુ કેટલું ઊંડું ઉતરેલું છે, તેનો જીવતો જાગતો પુરાવો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે જોવા મળ્યો છે. અહીં મોટરસાયકલ અથડાવા જેવી નજીવી બાબતે એક દલિત યુવક પર જાતિવાદી તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો.
મામલો શું હતો
ધારપીપળા ગામના રહીશ હરેશભાઈ દેવજીભાઈ ભીટોરા ગત રોજ ગ્રામ પંચાયતની રેશનકાર્ડની દુકાનેથી જીવનજરૂરી ચીજવસ્તુઓ લઈને પગપાળા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તેઓ જ્યારે રેશનકાર્ડની દુકાન પાછળના માર્ગ પર પહોંચ્યા, ત્યારે અચાનક સામેથી પૂરપાટ ઝડપે આવતી એક મોટરસાયકલે તેમને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે હરેશભાઈ રસ્તા પર ફંગોળાયા હતા અને તેમને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કોઈપણ સામાન્ય નાગરિકની જેમ, હરેશભાઈએ પણ પોતાની સુરક્ષા માટે મોટરસાયકલ ચાલકને ઠપકો આપ્યો હતો અને ધ્યાનથી વાહન ચલાવવા બાબતે ટકોર કરી હતી.

આ પણ વાંચો: વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી દલિત વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું
બાઈક સાચવીને ચલાવવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાયા
સામાન્ય રીતે આવી ઘટનામાં વાહન ચાલકે માફી માંગવી જોઈએ અથવા મદદ કરવી જોઈએ, પરંતુ અહીં દ્રશ્ય સાવ અલગ જ સર્જાયું હતું. હરેશભાઈએ ઠપકો આપતાની સાથે જ મોટરસાયકલ પર બેઠેલા ઈશા પમા ધરજીયા, કાળુ ઈશા ધરજીયા અને ભલા પમા ધરજીયા નામના શખ્સો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેયે હરેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી.
જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો
ફરિયાદમાં નોંધાવ્યા મુજબ, આ શખ્સોએ હરેશભાઈને જાતિસૂચક ગાળો ભાંડીને સામાજિક રીતે નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓ હિંસક બન્યા હતા અને આજુબાજુ પડેલા પથ્થરો તથા ઈંટોના છૂટા ઘા હરેશભાઈ પર કર્યા હતા. જાહેરમાં રસ્તા પર આચરવામાં આવેલી આ હિંસા દરમિયાન આરોપીઓએ હરેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો: દલિત સગીરાએ રેપ બાદ બાળકને જન્મ આપ્યો, નરાધમ ઝબ્બે

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ હુમલા બાદ ઈજાગ્રસ્ત હરેશભાઈ ભીટોરાએ હિંમત દાખવીને રાણપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી છે. રાણપુર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો (Atrocity Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓની અટકાયત માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
દલિતો પરના હુમલા સામાજિક ચિંતાનો વિષય
ધારપીપળાની આ ઘટના કોઈ એકલ-દોકલ કિસ્સો નથી, પરંતુ દલિતો પર સતત થતા અન્યાયની પરંપરાનો એક ભાગ છે. મૂછ રાખવા બાબતે, ઘોડે ચડવા બાબતે કે પછી આ કિસ્સામાં બન્યું તેમ રસ્તા પર વાહન અથડાવા બાબતે દલિતોને નિશાન બનાવવામાં આવે છે. શું આઝાદીના આટલા વર્ષો પછી પણ દલિતોએ ડરના ઓથાર હેઠળ જીવવું પડશે? શું કાયદો આ ગુનેગારોને એવો પાઠ ભણાવશે કે ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે? આ સવાલો આજે દરેક દલિત સંગઠનો અને જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે.
આ પણ વાંચો: 70 વર્ષથી વસેલા 40 દલિત પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરવા આદેશ












