વિકાસના નામે ભાજપશાસિત રાજ્યોમાં મોટાભાગે દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને ઓબીસી સમાજના લોકોની જમીનો, વસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવતી હોય છે. ગુજરાત સહિત દેશના જે પણ રાજ્યોમાં ભાજપનું સાશન છે, ત્યાં આ જ પરિસ્થિતિ આકાર લઈ રહી હોય તેમ સ્પષ્ટ દેખાય છે. આવું જ કંઈક રાજસ્થાનના સિકરમાં થઈ રહ્યું છે. અહીંના ચંદપુરા ગામમાં છેલ્લા સાત દાયકાથી વસેલા ગરીબ દલિત પરિવારો પર આજે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
નગર વિકાસ ન્યાસ (UIT) દ્વારા ચંદપુરા ગામમાં નવી રહેણાંક કોલોની વસાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ યોજનાના ભાગરૂપે ગૌચર ભૂમિનું સીમાંકન અને માર્કિંગ શરૂ કરવામાં આવતા, ત્યાં પેઢીઓથી વસતા 40 થી વધુ પરિવારોને ફાળ પડી છે. યુઆઈટીના કર્મચારીઓએ આ મકાનોને ગેરકાયદેસર ગણાવીને માત્ર 7 દિવસમાં જગ્યા ખાલી કરવાનું ફરમાન સંભળાવ્યું છે.

આ પણ વાંચો: કાકોરીમાં દલિત પરિવારને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવા પ્રયાસ
146 વીઘામાં નવી કોલોની બનાવવાનું આયોજન
યુઆઈટી દ્વારા ચંદપુરામાં કુલ 146 વીઘા જમીન પર અત્યાધુનિક કોલોની વસાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ માટે જે ગૌચર ભૂમિની પસંદગી કરવામાં આવી છે, ત્યાં હાલમાં પોલિટેકનિક કોલેજ કાર્યરત છે અને સંસ્કૃત કોલેજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. યુઆઈટી આ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસની જમીન વિકસાવવા માંગે છે. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી માર્કિંગની કામગીરી દરમિયાન 40 થી વધુ દલિત પરિવારોના મકાનો અતિક્રમણની કેટેગરીમાં મૂકી દેવાયા છે. આ પરિવારો ગામમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને હવે તેમની પાસે રહેવા માટે બીજું કોઈ ઠેકાણું નથી.

પરિવારોની હૃદયદ્રાવક વ્યથા
યુઆઈટીની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિકોમાં ભારે રોષ અને ડર જોવા મળી રહ્યો છે. 70 વર્ષથી અહીં વસતા પરિવારો પ્રશાસન પાસે માનવતાની માંગ કરી રહ્યા છે.
ખેતરમાં ભાગીદારીમાં કામ કરીને પરિવારનું પેટ ભરતા શંકરલાલ છેલ્લા ત્રણ દિવસથી રાત્રે ઊંઘી શક્યા નથી. તેમને સાત દિવસમાં ઘર ખાલી કરવા કહેવામાં આવ્યું છે. તેઓ કહે છે, “સરકારે અમારા જેવા ગરીબો પર દયા બતાવવી જોઈએ, આ ઉંમરે અમે ક્યાં જઈશું?”
પોલિટેકનિક કોલેજની દક્ષિણ દિશામાં રહેતા બક્ષારામ જણાવે છે કે તેઓ 60 વર્ષથી અહીં રહે છે. અત્યાર સુધી ક્યારેય કોઈએ તેમના મકાનને ગેરકાયદેસર કહ્યું નથી. તેમને યુઆઈટીના સીમાંકન સામે પણ શંકા છે અને પ્રશાસનને ગરીબોને હેરાન ન કરવાની વિનંતી કરી છે.
આ પણ વાંચો: DJ પર પ્રતિબંધ મૂકાતા સંચાલકોએ કહ્યું, ‘તો પછી અમારે દારૂ ગાળવો પડશે!’
સોહન નાયકનો પરિવાર 70 વર્ષથી આ જોહડીમાં વસેલો છે. તેમના પિતા પણ અહીં જ રહ્યા હતા. અત્યંત આક્રોશ સાથે તેઓ જણાવે છે કે, “ભલે મરી જઈએ, પણ મકાન તોડવા નહીં દઈએ. પ્રશાસને પહેલા અમારા પુનઃવસવાટની વ્યવસ્થા કરવી જોઈએ.”
60 વર્ષથી વસતા વિકલાંગ રાજેન્દ્ર નાયકની સ્થિતિ વધુ દયનીય છે. તેઓ પત્ની સાથે મજૂરી કરીને ઘર ચલાવે છે. પંચાયતે તેમને અહીં વસાવ્યા હતા, પરંતુ હવે અચાનક યુઆઈટી તેમને અતિક્રમણકારી માની રહી છે.
આ પણ વાંચો: મેવાણીએ કહ્યું, ‘હિતેન્દ્ર પીઠડિયાને મારવાનો ફાંકો હોય તે કાઢી નાખે!’
માત્ર દલિતો જ નહીં ખેડૂતો પણ પરેશાન
માત્ર રહેણાંક મકાનો જ નહીં, પરંતુ આસપાસના ખેડૂતો પણ આ યોજનાથી ચિંતિત છે. ગૌચર ભૂમિમાંથી પસાર થતા રસ્તાઓ ખેડૂતોના ખેતરો સુધી પહોંચવાનો મુખ્ય સ્ત્રોત છે. જો અહીં કોલોની વસી જશે, તો ખેતરોમાં જવાના રસ્તાઓ બંધ થઈ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ગ્રામીણોની માંગ છે કે કોલોની વસાવતા પહેલા ખેતરોમાં જવાના રસ્તાઓનું સ્પષ્ટ સીમાંકન કરવામાં આવે.
યુઆઈટીની કામગીરીને લઈને લોકોમાં આશંકા
ઉલ્લેખનીય છે કે, નગરીય વિકાસ વિભાગે આ કોલોની માટે 30 મે 2025 ના રોજ જ અધિસૂચના બહાર પાડી હતી. તેમ છતાં યુઆઈટીએ 8 મહિના સુધી કોઈ કામગીરી કરી નહોતી. હવે અચાનક નવા વર્ષમાં યુઆઈટી સક્રિય થઈ છે અને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર ગરીબોના આશિયાના પર બુલડોઝર ફેરવવાની તૈયારી કરી રહી છે. પીડિત પરિવારોની એક જ માંગ છે કે કાં તો તેમના મકાનો બચાવવામાં આવે અથવા તેમને વસવાટ માટે યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં દબાણો હટાવાતા સેંકડો ગરીબો ઘરવિહોણાં થયા










