સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હૃષિકેશ રોયે (Justice Hrishikesh Roy) ગયા વર્ષે ગણપતિ પૂજા નિમિત્તે ભૂતપૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ (Former CJI DY Chandrachud) ના ઘરે પીએમ મોદી (PM Modi) ની મુલાકાત પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ ટાળી શકાયું હોત. જસ્ટિસ રોય હજુ ચાર દિવસ પહેલા એટલે કે ૧ ફેબ્રુઆરી 2025 ના રોજ જ નિવૃત્ત થયા છે. એ પછી મીડિયા ઇન્ટરવ્યુમાં તેમણે તપાસ એજન્સીઓના દુરુપયોગથી લઈને કોલેજિયમ સિસ્ટમ સુધીના ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
મીડિયા સાથેની વાતચીતમાં જસ્ટિસ ઋષિકેશ રોયે કહ્યું, “ન્યાયાધીશો સત્તાવાર કાર્યો સિવાય ક્યારેય સત્તામાં રહેલા લોકો સાથે વાતચીત કરતા નથી.” વાતચીત દરમિયાન, તેમને પીએમ મોદીની ભૂતપૂર્વ સીજેઆઈ ચંદ્રચુડના ઘરની મુલાકાત અંગે પણ અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. આ અંગે તેમણે કહ્યું, “તે એક ખાનગી કાર્યક્રમ હતો, પરંતુ મને લાગે છે કે આ ટાળી શકાયું હોત.”
આ પણ વાંચો: ડી.વાય. ચંદ્રચૂડનું નામ ઈતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે, કોર્ટો ICU માં છે…
તેમણે ઉમેર્યું, ” આ એટલા માટે એક મુદ્દો બન્યો કારણ કે ઘટના પૂજાઘરમાંથી નીકળીને લોકોની નજરમાં આવી ગઈ, જેનાથી બિનજરૂરી અટકળો પેદા થઈ.” જસ્ટિસ રોયે કહ્યું કે જો આ મીડિયાની નજરથી દૂર એક ખાનગી કાર્યક્રમ હોત તો બધું બરાબર હોત.
અલાહાબાદ હાઈકોર્ટના જજ શેખર યાદવ વિશે શું કહ્યું?
તેમણે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવની વિવાદાસ્પદ ટિપ્પણી, કોલેજિયમ સિસ્ટમ, યુસીસી વગેરે સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. જસ્ટિસ રોયે કહ્યું, “જસ્ટિસ યાદવ કોલેજિયમના સભ્યોને મળ્યા અને અંગત રીતે માફી માંગી. પરંતુ એ વાત ભાર મૂકવામાં આવ્યો હતો કે, તેમની માફી જાહેરમાં હોવી જોઈએ. જ્યારે આ ન થયું, ત્યારે તપાસ શરૂ કરવામાં આવી. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.”
કોલેજિયમ સિસ્ટમ વિશે શું કહ્યું?
જસ્ટિસ રોયે કોલેજિયમ સિસ્ટમની થઈ રહેલી ટીકાનો બચાવ કરતા કહ્યું કે, “આપણી પાસે વર્તમાન કૉલેજિયમ સિસ્ટમ કરતાં સારો કોઈ વિકલ્પ નથી.” તેમણે એમ પણ કહ્યું કે વર્તમાન CJI સંજીવ ખન્નાએ તાજેતરમાં જ ન્યાયાધીશોના ઇન્ટરવ્યુ અથવા તેમની સાથે વાતચીત કરવાની પ્રક્રિયા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રથા લગભગ છ વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી.
આ પણ વાંચો:એકલપંડે ન્યાયની લડત લડનાર Zakia Jafri નું 86 વર્ષની વયે નિધન
આ ઉપરાંત, જ્યારે ન્યાયતંત્રમાં કરવામાં આવનારા ફેરફારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ વધુમાં વધુ મહિલાઓને ન્યાયાધીશ તરીકે જોવા માંગશે. તેમણે કહ્યું, “આપણે તે દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. જોકે પરિણામો તાત્કાલિક ન પણ હોય શકે. ઘણી મહિલાઓ કાયદાના વ્યવસાયમાં પ્રવેશ કરી રહી છે અને જિલ્લા સ્તરના ન્યાયતંત્રમાં ચૂંટાઈ રહી છે.”
UCC પર શું કહ્યું?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ના અમલીકરણ અંગે જસ્ટિસ રોયે કહ્યું, “કાયદો લાગુ કરવો કે નહીં તે વિધાનસભાનો નિર્ણય છે. પરંતુ તે બંધારણ અનુસાર છે કે નહીં તે કોર્ટનો નિર્ણય છે.”
સરકાર પર સરકારી મશીનરીના દુરૂપયોગનો આક્ષેપ
જસ્ટિસ રોયે સરકારી મશીનરીના દુરુપયોગ પર આકરું નિવેદન કરતા કહ્યું, “સત્તામાં રહેલી સરકારો વિપક્ષને નિશાન બનાવવા માટે કાનૂની વ્યવસ્થાનો ઉપયોગ કરી રહી છે. લોકશાહીમાં કોઈ પણ સરકાર એવું ન કહી શકે કે તે હંમેશા સત્તામાં રહેશે. જો તમને લાગે છે કે આજે વિપક્ષના લોકોએ કોર્ટનો દરવાજો ખખડાવવો પડે છે, તો કાલે જો વર્તમાન સરકાર સત્તામાં ન હોય, તો તેમને પણ કોર્ટ જવાની જરૂર પડી શકે છે. સત્તામાં બેઠેલા લોકો પાસેથી પરિપક્વતા અને શાણપણની અપેક્ષા રાખવામાં આવે છે.”
ન્યાયાધીશોના નિવૃત્તિ પછી પદ સંભાળવા પર શું કહ્યું?
નિવૃત્તિ પછી સરકારી હોદ્દા સંભાળતા ન્યાયાધીશો ચર્ચાનો વિષય રહ્યા છે. જસ્ટિસ રોયે કહ્યું કે આમ કરવાથી તે જજ દ્વારા અગાઉ લેવામાં આવેલા નિર્ણયોને શંકાની નજરે જોવામાં આવે છે. તેમણે ખુલાસો કર્યો કે ભૂતપૂર્વ CJI ચંદ્રચુડે એકવાર તેમને પૂછ્યું હતું કે શું તેમને નિવૃત્તિ પછી કોઈ પદમાં રસ છે? તેમણે નમ્રતાપૂર્વક આનો ઇનકાર કર્યો હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર દ્વારા તેમને એક પ્રતિષ્ઠિત સરકારી પદની ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ તેમણે તેને પણ નકારી કાઢી હતી. જસ્ટિસ રોયે કહ્યું કે તેઓ કોઈપણ સરકારી પદ સાથે જોડાયેલા રહેવા માંગતા નથી.
આ પણ વાંચો: ગણપતિ પૂજા પર PM મારા ઘરે આવે એમાં કંઈ ખોટું નથી: ડી.વાય. ચંદ્રચૂડ
👍