સૌથી વધુ વસ્તી છતાં પંજાબમાં દલિતો રાજકીય રીતે નબળાં કેમ?

દેશમાં સૌથી વધુ 32% દલિત વસ્તી ધરાવતા પંજાબમાં દલિતો રાજકીય અને સામાજિક રીતે કેમ હાંશિયામાં છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો.
Dalits politically weak in Punjab
Dalits politically weak in Punjab

ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના રાજકારણ તરફ નજર કરીએ તો ત્યાં દલિત રાજકારણનો એક અલગ જ દબદબો અને વર્ચસ્વ જોવા મળે છે. ભૂતકાળમાં કાંશીરામ, માયાવતી અને રામવિલાસ પાસવાન જેવા દુરંદેશી નેતાઓથી લઈને વર્તમાન સમયના ચિરાગ પાસવાન અને ચંદ્રશેખર આઝાદ જેવા નવી પેઢીના નેતાઓએ દલિત વોટબેંકના જોરે સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે.

બિહાર અને યુપીમાં દલિત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પરંતુ આનાથી સાવ ઉલટું ચિત્ર પંજાબમાં જોવા મળે છે. ટકાવારી અને વસ્તીના ગુણોત્તરની દ્રષ્ટિએ પંજાબ સમગ્ર દેશમાં સૌથી વધુ એટલે કે 32% દલિત વસ્તી ધરાવતું રાજ્ય છે. તેમ છતાં, પંજાબના રાજકારણના કેન્દ્રમાં ક્યારેય દલિત સમાજ મુખ્ય ભૂમિકામાં આવી શક્યો નથી. આ બાબત સમગ્ર દેશ માટે હંમેશા આશ્ચર્ય અને કૌતુકનો વિષય રહી છે. માત્ર રાજકારણ જ નહીં, પરંતુ શિક્ષણ, સામાજિક પ્રભાવ અને આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ પણ પંજાબના દલિતો આજે પણ અત્યંત મજબૂર અને નબળી સ્થિતિમાં જીવી રહ્યા છે.

જમીન વિહોણો સમાજ અને આર્થિક પછાતપણું

પંજાબમાં દલિતોના રાજકીય અને સામાજિક રીતે નબળા હોવાનું સૌથી મોટું અને પ્રાથમિક કારણ તેમની પાસે જમીનની માલિકી ન હોવી તે છે. પંજાબ સરકારના આંકડા મુજબ રાજ્યના 96.6% દલિતો પાસે પોતાની કોઈ ખેતીલાયક જમીન નથી. કાયદાકીય જોગવાઈઓની વાત કરીએ તો પંજાબ વિલેજ કોમન લેન્ડ એક્ટ, 1964 મુજબ ગ્રામ સમાજની સામૂહિક જમીનમાંથી 1/3 હિસ્સો દલિતો માટે અનામત રાખવાનો સ્પષ્ટ નિયમ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જોગવાઈ માત્ર સરકારી કાગળો પર જ સીમિત રહી છે અને જમીન પર તેનો અમલ થઈ શક્યો નથી.

આ પણ વાંચો: દલિત સમાજમાંથી આવતા પદ્મશ્રી દર્શન મોગુલૈયાને જમીન નથી મળી

ગામડાઓમાં વસતા આશરે 73% દલિતો સંપૂર્ણપણે જમીન વિહોણા છે. પંજાબ જેવા કૃષિપ્રધાન રાજ્યમાં ખેતીની મોટાભાગની જમીનો પર જટ સિખ સમાજનું સાર્વભૌમત્વ અને નિયંત્રણ છે. જમીન ન હોવાને કારણે દલિતોની આવક મર્યાદિત રહે છે. પંજાબના અન્ય ઉચ્ચ વર્ગોની સરખામણીએ આર્થિક સંસાધનોના અભાવે દલિત પરિવારના બાળકો કે યુવાનો રોજગારી કે અભ્યાસ અર્થે વિદેશ (ગલ્ફ કે પશ્ચિમી દેશો) જઈ શકતા નથી, જેના કારણે તેમનો સામાજિક-આર્થિક વિકાસ રુંધાઈ ગયો છે.

રાજકીય વિભાજન અને સત્તામાં અપર્યાપ્ત પ્રતિનિધિત્વ

પંજાબ વિધાનસભાની કુલ 117 બેઠકોમાંથી 34 બેઠકો દલિત સમાજ માટે અનામત રાખવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં અનામત બેઠકો અને ધારાસભ્યો હોવા છતાં, દલિતો ક્યારેય પંજાબની સત્તા પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શક્યો નથી.

પંજાબના દલિતો એકજૂથ નથી પરંતુ વિવિધ જ્ઞાતિઓ અને ધર્મોમાં વહેંચાયેલા છે. રાજ્યના કુલ દલિતોમાંથી આશરે 60% લોકો સિખ પંથને માને છે, જ્યારે બાકીના હિન્દુ ધર્મ અને અન્ય પંથો સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો: ‘ચંપત રાયના બોયફ્રેન્ડ હોય છે, છોકરાઓ વિના ઉંઘ નથી આવતી!’

રાજ્યમાં જટ સિખ સમાજની વસ્તી માત્ર 20% થી 22% ની વચ્ચે છે. છતાં પણ જમીન, ગામડાઓની સામાજિક વ્યવસ્થા અને ગુરુદ્વારાઓ સહિતની સંસ્થાઓ પર તેમનું મજબૂત નિયંત્રણ હોવાથી રાજકીય પક્ષો તેમને જ પ્રાધાન્ય આપે છે.

રસપ્રદ વાત એ છે કે બહુજન સમાજ પાર્ટી (BSP) ના સ્થાપક કાંશીરામ મૂળ પંજાબના જ વતની હતા અને બસપાની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. છતાં પણ પંજાબમાં બસપા ક્યારેય એક મજબૂત રાજકીય તાકાત બની શકી નથી. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં બસપાને 2% કરતાં પણ ઓછા વોટ મળ્યા હતા.

દલિત સમાજના મત મુખ્યત્વે કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે વિભાજિત થતા આવ્યા છે. 2022 ની ચૂંટણીમાં AAP ને 38% અને કોંગ્રેસને 31% દલિત વોટ મળ્યા હતા.

સામાજિક સમાનતાના દાવા વચ્ચે જાતિવાદની કડવી વાસ્તવિકતા

સિખ પંથમાં જાતિગત ભેદભાવ વિના સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો છે, પરંતુ વ્યવહારિક જીવનમાં જ્ઞાતિવાદ પંજાબની એક મોટી વાસ્તવિકતા છે. સિખ બનેલા દલિતોને પણ અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. જટ સિખો અને અન્ય ઉચ્ચ જ્ઞાતિઓ દ્વારા સંચાલિત ગુરુદ્વારાઓમાં દલિતોને સમાન દરજ્જો કે પ્રવેશ મળતો નથી.

આ પણ વાંચો: રાજીનામાની માંગ વચ્ચે પહેલીવાર ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું

એક અભ્યાસ મુજબ, આ સામાજિક બહિષ્કાર સામે પોતાની ધાર્મિક અને સામાજિક સ્વાયત્તતા જાળવી રાખવા માટે દલિતોએ પંજાબમાં પોતાના અલગ 10000 થી વધુ ગુરુદ્વારાઓ અને રવિદાસ ડેરાઓની સ્થાપના કરી છે. આ સિવાય, ભેદભાવથી કંટાળીને મોટી સંખ્યામાં દલિતો ખ્રિસ્તી ધર્મ તરફ પણ વળી રહ્યા છે.

ચરણજીત સિંહ ચન્ની દાવ અને મંત્રીમંડળનું ચિત્ર

કોંગ્રેસ સરકારે 2021 માં એક મોટો રાજકીય દાવ રમીને ચરણજીત સિંહ ચન્નીને પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી (CM) બનાવ્યા હતા. જોકે, 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ ચન્નીના ચહેરા પર દલિત વોટબેંકને એકજૂથ કરી શકી નહીં અને પાર્ટીનો ભારે પરાજય થયો. વર્તમાન ભગવંત માન સરકારના કેબિનેટમાં કુલ 18 મંત્રીઓમાંથી 5 દલિત નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કુલ મંત્રીમંડળના 27% જેટલો હિસ્સો થાય છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર મધરાતે કોની યાદમાં વાયોલિન વગાડતા હતા?

આ મંત્રીઓમાં હરપાલ સિંહ ચીમા, ડૉ. બલજીત કૌર, લાલચંદ કટારુચક, રવજોત સિંહ અને મોહિંદર ભગતનો સમાવેશ થાય છે. આ અગાઉની અકાલી-ભાજપ અને કોંગ્રેસ સરકારોમાં દલિત મંત્રીઓની સંખ્યા માત્ર 3 જ રહેતી હતી.

દોઆબા પ્રદેશનું અલગ સામાજિક-આર્થિક સમીકરણ

પંજાબના મોટાભાગના વિસ્તારોમાં દલિતો આર્થિક અને રાજકીય રીતે નબળા છે, પરંતુ દોઆબા પ્રદેશનું વાતાવરણ તેનાથી થોડું અલગ છે. દોઆબા વિસ્તારના કેટલાક ગામોમાં દલિતોની વસ્તી 40% થી લઈને 65% સુધીની છે. શહેરી વાતાવરણ, રોજગારીની તકો અને વેપાર-ધંધાના કારણે અહીંનો દલિત સમુદાય આર્થિક રીતે વધુ સક્ષમ છે. આ ઉપરાંત, આ વિસ્તારમાંથી વિદેશ જનારા દલિત યુવાનોની સંખ્યા પણ સારી એવી છે, જેના કારણે ખેતીની જમીન ન હોવા છતાં તેઓ મજબૂત સ્થિતિમાં છે. આમ છતાં, આંતરિક જ્ઞાતિગત અને ધાર્મિક વિભાજનના કારણે આ વિસ્તારમાંથી પણ એકહથ્થુ દલિત રાજકીય નેતૃત્વ ઊભરી શક્યું નથી.

આ પણ વાંચો: આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x