કચ્છમાં દલિતોને ગાળો ભાંડનાર શખ્સનું જૂતાં પહેરાવી સરઘસ કઢાયું!

કચ્છમાં દલિત સમાજ વિશે અપશબ્દો બોલનાર બ્રાહ્મણ શખ્સને દલિતોએ માર મારી, કપડાં ફાડી જૂતાંનો હાર પહેરાવી ફેરવ્યાનો વીડિયો વાયરલ.
ai Image

ભારતમાં દલિત સમાજના અપમાન અને તેમના પર અત્યાચારની અનેક ઘટનાઓ દરરોજ બને છે. દલિત સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક રીતે નબળો હોવાથી જાતિવાદી તત્વો તેમના પર અત્યાચાર ગુજારતા જરાય ખચકાટ નથી અનુભવતા. પણ જ્યારે દલિતોની સહનશક્તિની હદ આવી જાય ત્યારે જાતિવાદી તત્વોની શું સ્થિતિ થાય તેનું એક ચોંકાવનારું ઉદાહરણ કચ્છમાંથી સામે આવ્યું છે.

અહીં એક બ્રાહ્મણ શખ્સ વગર વાંકે દલિત સમાજ વિશે અત્યંત ગંદી ભાષામાં અપશબ્દો બોલતો હતો. જે ફોન પર રહેલો દલિત સમાજનો યુવક સાંભળી ગયો હતો. તેનાથી આ અપમાન સહન ન થતા તેણે બ્રાહ્મણ શખ્સને પોતાના ગામે બોલાવ્યો હતો. એ પછી જે થયું તે ચોંકાવનારું હતું.

મળતી માહિતી મુજબ દલિતો વિશે અપશબ્દો બોલનાર એ જાતિવાદી શખ્સને દલિત સમાજના લોકોએ માર મારીને, ગળામાં ખાસડાંનો હાર પહેરાવીને ગામમાં સરઘસ કાઢ્યું હતું. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે સામે આવી હતી. આ મામલે બ્રાહ્મણ શખ્સે 21 જેટલા દલિતો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: તીજન બાઈ: આદિવાસી સમાજની દીકરી, જેની કળાને દુનિયાએ સલામ કરી

મામલો શું હતો?

આ ઘટનાની મળતી માહિતી મુજબ, અંજારના ચાંદ્રાણી (કોટડા) ગામે રહેતા 62 વર્ષના દેવજીભાઈ નારણભાઈ બાલાસરા (બ્રાહ્મણ) દુધઈમાં ગરમ મસાલાની કંપનીમાં નોકરી કરે છે. તે ગામડાંઓમાં ફરીને કંપની માટે મસાલાની ખરીદી કરવાનું કામ છે. 23 જુલાઈના રોજ તે અંજારના લાખાપર ગામના ખેડૂત મંગાભાઈ રબારીનું જીરું જોવા ગયો હતો. મંગાભાઈએ તેના પરિચિત કપિલ બાબુભાઈ વાઘેલાને પણ જીરું વેચવાનું હોવાનું જણાવતાં દેવજી બાલાસરા કપિલના ઘેર જઈ જીરાનું સેમ્પલ લઈને કંપનીની બોલેરો ગાડીમાં પરત રવાના થયો હતો.

રસ્તામાં દેવજીભાઈને કપિલનો ફોન આવ્યો હતો અને ફોન તેની જાણ બહાર ઉપડી ગયો હતો. જેના કારણે દેવજી બાલાસરાની જાતિવાદી માનસિકતાનો ભાંડો ફૂટી ગયો હતો. એ વખતે ગાડીના ડ્રાઈવર જગા રબારીએ કપિલ વાઘેલા કયા સમાજનો છે તેવું પૂછતાં જાતિવાદી દેવજી બાલાસરાએ કપિલ અનુસૂચિત જાતિનો હોવાનું જણાવીને તેના સમાજ વિશે અત્યંત હલકી ભાષામાં અપશબ્દો બોલ્યો હતો. આ વાતચીતને ફોનમાં કપિલ વાઘેલા સાંભળી ગયા હતા.

બીજા દિવસે સવારે કપિલ વાઘેલાએ દેવજીને ફોન કરીને ગાડીમાં તમે અને તમારો ડ્રાઈવર મારી જાતિ વિશે જે અપશબ્દો બોલતાં હતા તેનું મેં રેકોર્ડીંગ કરી લીધું છે તેમ જણાવી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવાની ચીમકી આપી ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ બાદ કપિલભાઈએ ફરી ફોન કરીને કેસ કરીશ તો આપણાં બેઉનું ખરાબ લાગશે તેમ કહીને સમાધાન માટે તેને પોતાના ઘરે બોલાવ્યો હતો.

આ પણ વાંચો: પેપર લીકઃ વંચિત વર્ગના વિદ્યાર્થીઓની તકો છીનવવાનું ષડયંત્ર

એ પછી દેવજી બાલાસરા ગાડીમાં મંગા રબારી સાથે લાખાપર ગયો ત્યારે કપિલે તેમને ટપ્પર ગામ તરફ જતા ત્રણ રસ્તે બોલાવ્યા હતા. ત્યાં ઘણાં લોકો હાજર હતા. દેવજી બાલાસરાએ માફી માંગી હતી. પરંતુ તેનાથી કપિલ વાઘેલા સહિતના દલિત સમાજના લોકોના દિલમાં પડેલો ઘાર રૂઝાય તેમ નહોતો. આથી કપિલે તમારે અમારા ગામમાં આવીને ગામની વચ્ચે માફી માગવી પડશે તેમ જણાવ્યું હતું. એ પછી દેવજી બાલાસરા ગાડી લઈને પરત કંપનીમાં જતો રહ્યો હતો.

સાંજે કપિલે ફોન કરીને તેને ગામ વચ્ચે માફી માગવા જણાવતાં દેવજી બાલાસરા ફરી લાખાપર ગામે કપિલના ઘેર પહોંચ્યો હતો. જ્યાં કપિલ સાથે 20 જેટલા લોકો હાજર હતા. તેમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. દેવજી બાલાસરાની કારણ વિના પોતાના વિશે કહેવાયેલી ગંદી ગાળોથી રોષે ભરાયેલા દલિત સમાજના લોકોએ તેને ઘેરી લઈ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જેમાં તેના કપડાં ફાટી ગયા હતા. ત્યારબાદ તેના ગળામાં ખાંસડાનો હાર પહેરાવીને કપિલના ઘરથી ગામના એક મંદિર સુધી સરઘસ કાઢ્યું હતું. ઘટનાના પગલે દેવજી બલાસરાનો ડ્રાઈવર જગા રબારી ડરીને ગાડી લઈને ગામમાંથી નાસી ગયો હતો.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?

ત્યારબાદ દેવજીએ તેના પુત્રને ફોન કરીને જાણ કરી બોલાવ્યો હતો અને તેની સાથે ઘરે પરત ફર્યો હતો. મૂંઢ મારના લીધે તેને ઈજા પહોંચી હોવાનું કહેવાય છે. તેણે ભૂજની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જૂતાંનો હાર પહેરેલા દેવજીભાઈ બલાસરાની સરઘસની ઘટનાનો કોઈકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ મામલે દેવજી બલાસરાએ કપિલ વાઘેલા અને અન્ય 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જો કે, કપિલ વાઘેલા સહિતના દલિતોએ તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે કે નહીં તે વિશે કોઈ માહિતી નથી.

સામાન્ય રીતે દલિત સમાજના લોકો એટ્રોસિટી જેવી ગંભીર ઘટનામાં પણ કાયદાની મર્યાદામાં રહીને ન્યાયની અપેક્ષા રાખે છે. પરંતુ જ્યારે કોઈ મનુવાદી શખ્સ કશાં જ કારણ વિના તેમને હેરાન કરે, જાતિસૂચક અપશબ્દો બોલે અને તેની સહનશક્તિની મર્યાદા આવી જાય ત્યારે જાતિવાદી તત્વોની શું વલે થઈ શકે છે તેનું આ ઘટના એક ઉદાહરણ છે. જો મનુવાદી માનસિકતાના દેવજી બલાસરાએ કપિલ વાઘેલાની જાતિ વિશે અપશબ્દો ન કહ્યાં હોત તો આ પરિણામ ન આવત. હવે દેવજી બલાસરાને પણ જાહેરમાં અપમાન થાય ત્યારે કેવી લાગણી થતી હોય છે તે સમજાઈ રહ્યું હશે. અહીં આપણે હિંસાની કે કાયદો હાથમાં લેવાની તરફેણ નથી કરતા પરંતુ જાતિવાદી તત્વોએ સુધરવું રહ્યું.

આ પણ વાંચો: સગીર દલિત વિદ્યાર્થીને નિર્વસ્ત્ર કરી 6 છોકરાએ માર્યો, ઘા પર મીઠું ભભરાવ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x