Dalit News: ગુજરાતમાં જાતિવાદી તત્વોના મનમાં દલિતો પ્રત્યે કેટલું બધું ઝેર ભર્યું છે તેના પુરાવા એક શોધવા જાઓ તો સો મળી આવે તેમ છે. ગામેગામ જાતિવાદી લુખ્ખાઓ દલિતોની શેરીઓના નાકા દવાબીને બેઠા છે, જેઓ દલિતો સાથે કોઈપણ કારણ વિના મારામારી કરવા પર ઉતરી આવે છે. રાજ્યમાં દરરોજ કોઈને કોઈ ગામમાં આવા લુખ્ખા તત્વો દ્વારા દલિતો સાથે મારામારી, ખૂની હુમલાની ઘટનાઓ બને છે. પરંતુ આવા જાતિવાદી તત્વોના વર્ચસ્વને કારણે આવી દરેક ઘટના પોલીસ ચોપડે નોંધાતી નથી, જેના કારણે આવા લુખ્ખા તત્વો એટ્રોસિટી જેવા મજબૂત કાયદાના સકંજામાંથી છટકી જાય છે અને તેમને સજા થતી નથી. પરિણામે તેઓ વધુ છાકટા થઈને દલિતો પર અત્યાચાર કરવા પ્રેરાય છે. આ લુખ્ખા તત્વોને દલિતો વરઘોડો કાઢે ત્યાંથી લઈને સારું શિક્ષણ મેળવે, સારા કપડાં પહેરે, સારો મોબાઈલ ફોન ખરીદે એ દરેક બાબતે વાંધો હોય છે. સીધી રીતે આ બધી બાબતોનો જ્યારે તેઓ વિરોધ નથી કરી શકતા ત્યારે તેઓ લુખ્ખાઈ પર ઉતરી આવે છે અને દલિતોને તેમની જાતિના આધારે અપમાનિત કરી નીચું દેખાડવા પ્રયત્ન કરે છે. આવી જ એક ઘટના હાલ સાબરકાંઠા જિલ્લામાં સામે આવી છે.
હિંમતનગરના ઢુંઢર ગામની ઘટના
મામલો હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામનો છે. અહીં બે દલિત કિશોરને જાતિવાદી દરબારોએ કોઈ જ કારણ વિના “સાલા ઢે# ભાં#, તમે બહુ ફાટી ગયા છો” કહીને જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં એક દલિત કિશોરને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ મામલે કિશોરના પિતાએ ગામના 9 દરબારો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ આને પૈસાનો બહુ પાવર છે કહી દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો
મામલો શું હતો?
દલિત કિશોરના પિતા કુલદીપભાઈ સોલંકીએ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના પરિવાર સાથે ઢુંઢર ગામે રહે છે અને મજૂરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. મોટો દીકરો કેવલ 20 વર્ષનો છે અને નાનો દીકરો મૃણાલ 14 વર્ષનો છે. મૃણાલ ગામની હાઈસ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરે છે.
હિંમતનગરના ઢુંઢરમાં દલિત યુવક પર 9 દરબારોએ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો. યુવકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. આરોપીઓ યુવકના ભાઈને કારણ વિના “ઢે# ભાં#” કહી અપમાન કરતા હતા.#Dalit #himmatnagar #gujarat #Dhundhar #dalitlivesmatter #dalitattack pic.twitter.com/Ic28hBt9l3
— khabar Antar (@Khabarantar01) July 17, 2025
તા. 14 જુલાઈ 2025, સોમવારના રોજ નાનો દીકરો મૃણાલ સ્કૂલમાંથી ભણીને ઘેર આવતો હતો એ દરમિયાન સ્કૂલના ગેટ પાસે ગામનો અર્જુનસિંહ પરમાર નામનો યુવક ઉભો હતો. તે મૃણાલને કોઈ જ કારણ વિના “સાલા ઢે# ભાં#” કહીને ખીજવતો હતો. મૃણાલે તેને આવા જાતિસૂચક અપશબ્દો ન બોલવા કહેતા અર્જુનસિંહે તેને ગાલ પર લાફો મારી દીધો હતો અને “તારાથી કંઈ થશે નહીં, તારા જેને બોલાવવા હોય તેને બોલાવી લે” કહીને ફરી જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાનિત કર્યો હતો. આથી મૃણાલે ઘરે આવીને તેના મોટાભાઈ કેવલને વાત કરી હતી. એ પછી કેવલ અને મૃણાલ બંને અર્જુનસિંહને સમજાવવા માટે તે જ્યાં બેઠો હતો તે ગામના જોગણી માતાના મંદિર પાસે ગયા હતા. અને મૃણાલને માર મારવા બાબતે પૂછપરછ કરતા અર્જુનસિંહ અને તેના સાગરિતો સ્વપ્નિલસિંહ પરમાર, મહિપાલસિંહ પરમાર, અરજનસિંહનો ભાણેજ, હિતેશસિંહ વગેરેએ એકસંપ થઈને બંને ભાઈઓને ગડદાપાટુનો માર માર્યો હતો. હોબાળો થતા બંને ભાઈઓના કાકી વીણાબેન, દાદા વાલાભાઈ, ચંપાબેન, વજીબેન તથા ફળિયાના અન્ય લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે કેવલ અને મૃણાલને છોડાવીને સમજાવીને ઘરે લઈ આવ્યા હતા.
આ પણ વાંચોઃ ગળામાં વાદળી ગમછો પહેરવા બદલ 6 દલિત યુવકો પર હુમલો
આરોપીઓએ હથિયારો સાથે ઘરમાં ઘૂસીને માર માર્યો
સમજાવટ કરીને મામલો પતાવ્યા પછી થોડી જ વારમાં આરોપીઓ દલિત ફળિયામાં ઘૂસી આવ્યા હતા. ગામના ઉગમણા વાસમાં રહેતા મહેશસિંહ પરમાર, રાજુસિંહ પરમાર, નવલસિંહ પરમાર લાકડીઓ સાથે અને તેમની સાથે અર્જુનસિંહ અને રાજવીરસિંહ હાથમાં પહેરવાની લોખંડની મૂઠ સાથે કેવલ અને મૃણાલના ઘરે આવ્યા હતા. તેમને આવતા જોઈને કેવલ તેના ઘરેથી દોડીને કાકા બાલાભાઈના ઘરમાં ઘૂસી ગયો હતો. પરંતુ આ તમામ લુખ્ખા તત્વોએ ત્યાં આવી પહોંચ્યા હતા અને “સાલા ઢેઢા ભાંભી તમે બહુ ફાટી ગયા છો, આજે તમને જીવતા છોડવાના નથી” કહીને કેવલની કાકી, દાદા અને બે બાળકોને ધક્કો મારી પાડી દઈને ઘરમાં ઘૂસી ગયા હતા અને અંદરથી દરવાજાને સ્ટોપર મારીને બધાં લાકડીઓ અને લોખંડની મૂઠથી કેવલ પર હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચોઃ ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી
કેવલના મોં, છાતી, પેટ પર લોખંડની મૂઠથી ઘા કર્યા
અર્જુનસિંહ અને રાજવીરસિંહે તેમના હાથમાં પહેરેલી લોખંડની મૂઠથી કેવલના મોં, છાતી અને પેટના ભાગે ઘા કર્યા હતા. આરોપીઓ તેને ઘરમાંથી માર મારતા-મારતા બહાર ખેંચી ગયા હતા અને ત્યાં મહેશસિંહની પત્નીએ કેવલને ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ કેવલના કાકાના ઘરમાં અનેક સામાનમાં તોડફોડ કરી હતી. તેમણે ઘરના વાસણ, ખાટલો, કાચનો અરીસો અને બાળકો માટેનું ઘોડિયું પણ તોડી નાખ્યું હતું. જતા જતા આરોપીઓએ ફરીથી હુમલો કરવાની અને જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કરવાનું પણ ચાલું રાખ્યું હતું.
આ પણ વાંચોઃ અમરેલીમાં ભરવાડોએ કરેલા હુમલામાં જરખીયાના દલિત યુવકનું મોત
કેવલના સારવાર માટે હિંમતનગર ખસેડાયો
આ જીવલેણ હુમલામાં કેવલને માથા તથા શરીરના અનેક ભાગમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ હિંમતનગર સરકારી દવાખાનામાં તેની સારવાર ચાલી રહી છે. આ હુમલા બાદ કેવલના પિતા કુલદીપભાઈ સોલંકીએ અર્જુનસિંહ પરમાર, સ્વપ્નિલસિંહ પરમાર, અરજનસિંહના ભાણેજ મહીપાલસિંહ, મહેશસિંહ પરમાર, રાજસિંહ પરમાર, નવલસિંહ પરમાર, રાજવીરસિંહ પરમાર અને મહેશસિંહ પરમારની પત્ની એમ કુલ 9 આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ પાલનપુરના દલિત પોલીસકર્મીએ SP-PIના ત્રાસથી આપઘાત કર્યો?