કાવડયાત્રા કેવી રીતે ધાર્મિકમાંથી રાજકીય કાર્યક્રમ બની ગયો?

કેવી રીતે કાવડયાત્રાને BJP-RSS દ્વારા એક ધાર્મિક કાર્યક્રમમાંથી આયોજનબદ્ધ રીતે રાજકીય કાર્યક્રમમાં ફેરવી દેવામાં આવી છે તે સમજો.
kavad yatra

ઉત્તર ભારતમાં કાવડીયાઓ દ્વારા તોફાન મચાવવાના કિસ્સા હવે દિન પ્રતિદિન સામાન્ય બનતા જઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર રોજેરોજ કાવડીયાઓની લડાઈ અને હિંસાના બનાવો વાયરલ થાય છે. ક્યાંક કાવડીઓનું એક જૂથ ઢાબામાં તોડફોડ કરી રહ્યું છે, તો ક્યાંક દુકાનને નિશાન બનાવે છે. ક્યાંક કોઈની ગાડી તોડે છે, તો ક્યાંક સરકારી બસ પર હુમલો કરી દે છે. તમે દરરોજ સોશિયલ મીડિયામાં આવો કોઈને કોઈ વીડિયો જોતા હશો.

ચોંકાવનારી વાત એ છે કે, કાવડીયાઓ આતંક મચાવતા હોવા છતાં ન તો તેમના પર કોઈ લાઠીચાર્જ કરવામાં આવે છે, ન તો કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલટું ઘણી જગ્યાએ પોલીસ અધિકારીઓ તેમનું સ્વાગત ફૂલો અને માળાથી કરતા જોવા મળે છે. બહુ બહુ તો ગુસ્સે ભરાયેલા કાવડીઓને સમજાવીને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. પોલીસ-પ્રશાસનની ભૂમિકા આનાથી આગળ ક્યાંય દેખાતી નથી. હરિદ્વાર જતા માર્ગ પરનો આખો રસ્તો ભગવા પોશાક પહેરેલા આવા તોફાનીઓને હવાલે કરી દેવામાં આવ્યો છે.

kavad yatra

રસ્તા પર મુસાફરી કરતા સામાન્ય લોકો આ કાવડીયાઓથી બચીને ચાલવા માટે મજબૂર બન્યાં છે. જો કોઈ કારચાલકનું વાહન કાવડીયાને સ્પર્શ ગયું, તો તેને માર મારવામાં આવશે તે નક્કી છે. જો કોઈ રાહદારી ભૂલથી પણ કાવડીયાઓ સાથે દલીલમાં ઉતર્યો તો તેનું લોહીલુહાણ થવું નક્કી છે. આવા સંજોગોમાં સરકારનું વલણ શું હોવું જોઈએ? આ બધી ઘટનાઓ બન્યાને ઘણા દિવસો થઈ ગયા છે, શું તમે રાજ્યના મુખ્યમંત્રી તરફથી કોઈ નિવેદન સાંભળ્યું છે? શું કોઈ વરિષ્ઠ અધિકારી કે અમલદાર કોઈ સૂચના આપતા જોવા મળ્યા છે? શું રાજ્યના કોઈ મંત્રી કે પ્રભારી અધિકારીએ આ ઘટનાઓ સામે વાંધો ઉઠાવ્યો છે?

આ પણ વાંચો: RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?

કાયદો અને વ્યવસ્થાનું ખુલ્લેઆમ આ રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે પણ કોઈ તેની વિરુદ્ધ કંઈ કહી રહ્યું નથી? ચાલો એકવાર માની લઈએ, કે રાજ્ય સરકાર તેની જવાબદારી નિભાવવામાં અસમર્થ સાબિત થઈ રહી છે, તો કેન્દ્ર સરકાર શું કરી રહી છે? શું તે પણ પોતાની જવાબદારી ભૂલી ગઈ છે? આપણે એ ન ભૂલવું જોઈએ કે જો કોઈ રાજ્ય કાયદો અને વ્યવસ્થા સંબંધિત કોઈપણ મુદ્દે નિષ્ફળ જાય છે, તો કેન્દ્ર સરકારનું કામ નોટિસ મોકલીને જવાબ માંગવાનું છે. પરંતુ શું તમે કેન્દ્ર તરફથી આવી કોઈ પહેલ જોઈ છે? ખરેખર, આ મુદ્દા પર ભાજપ અને તેની સરકાર વચ્ચે ઉપરથી નીચે સુધી એક પ્રકારની સર્વસંમતિ છે. અને તેઓ તેને બિલકુલ ખોટું માનતા નથી. અને પોતાની રીતે આ ઘટનાઓને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.

જો તમે આની પાછળની રાજનીતિ અને હેતુને સમજી શકતા નથી, તો કાં તો તમે ખૂબ જ ભોળા છો અથવા ભાજપ-આરએસએસના ગેમ પ્લાનથી સંપૂર્ણપણે અજાણ છો. વાસ્તવમાં, ભાજપ-સંઘનો એકમાત્ર ઉદ્દેશ્ય આખા દેશને ધર્મની ચાસણીમાં ડૂબાડવાનો છે. અને કાવડયાત્રા તેમના માટે શ્રેષ્ઠ તક છે. ભાજપ અને આરએસએસ સવારથી સાંજ સુધી લોકોને ધર્મના વ્યસની બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ કાવડીયાઓની આ ખાસ જમાત દ્વારા ભાજપ કેટલીક નક્કર બાબતો પ્રાપ્ત કરવા માંગે છે અને તેને સમજવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે.

સૌથી મહત્વની વાત એ છે કે આના દ્વારા તેઓ દેશમાં હિન્દુઓની સર્વોપરિતા સ્થાપિત કરવાનો સંદેશ આપવા માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ કહેવા માંગે છે કે હિન્દુ ધર્મ અને તેના ભગવા વસ્ત્રધારી લોકો કાયદા અને વ્યવસ્થાથી ઉપર છે. કોઈપણ પ્રકારના ઉલ્લંઘન માટે તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. આ રીતે, સમાજમાં હિન્દુ ધર્મના અનુયાયીઓનું વિશેષાધિકૃત સ્થાન બનાવવાનો અને તેને બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અન્ય ધર્મો, પછી ભલે તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ, તેમનું સ્થાન ગૌણ રહેશે.

આપણા દેશમાં મુસ્લિમોને 15 મિનિટ માટે રસ્તા પર નમાઝ પણ અદા કરવાની પણ મંજૂરી નથી. ગુડગાંવથી લઈને દેશના વિવિધ ભાગોમાં આ અંગે કેવી રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે કોઈથી છુપાયેલું નથી. ખ્રિસ્તીઓ માટે આવું વિચારવું પણ ગુનો છે. તમે મુંબઈમાં જૈન અનુયાયીઓના સરઘસ પર પોલીસની લાઠીઓ વરસતી હોય તે દ્રશ્ય જોયું હશે. અને બૌદ્ધધર્મીઓ માટે બોધિગયાને બચાવવું પણ મુશ્કેલ બની ગયું છે. હિન્દુ ધર્મના પૂજારીઓ તેને કબજે કરવા માટે ઉત્સુક છે. આ રીતે, આ કાવડીયાઓ દ્વારા, સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે આ દેશ પહેલા હિન્દુઓનો છે અને બાકીના તેના પછી આવે છે. અને આ જ માર્ગે  RSS-BJP તેમના હિન્દુ રાષ્ટ્રના નિર્માણની પ્રક્રિયાને આગળ ધપાવી રહ્યા છે.

kavad yatra

આના દ્વારા બીજો જે સંદેશ આપવામાં આવી રહ્યો છે તે વધુ મહત્વપૂર્ણ છે. અને તે છે દેશમાંથી લોકશાહી અને તેની સંસ્થાઓનો ખાત્મો. જે રીતે સમગ્ર રાજ્ય મશીનરી તોફાની કાવડીયાઓ સામે ઝૂકી ગઈ છે, શું તે તેની જૂની વિશ્વસનીયતા જાળવી શકશે? એવું કહેવાય છે કે શાસન ઇકબાલ પર ચાલે છે. જો પોલીસ-પ્રશાસન તે જ ખોઈ નાખે, તો તેની પાસે શાસન ચલાવવા માટે શું બચશે? વાસ્તવમાં, RSSનો એકમાત્ર ઉદ્દેશ્ય દેશમાંથી લોકશાહીને ખતમ કરવાનો છે. તેની જગ્યાએ, તે એ જ જૂની મનુસ્મૃતિ આધારિત વર્ણવ્યવસ્થા આધારિત વ્યવસ્થા લાવવા માંગે છે. જેમાં કહેવાતી મોટી જાતિઓ કહેવાતી નાની જાતિઓ પર પ્રભુત્વ ધરાવે છે.

આ પણ વાંચો: ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?

કેમ કે, લોકશાહી સંસ્થાઓના આધારે ચાલે છે, તેથી તેનો પહેલો પ્રયાસ આ સંસ્થાઓને ખતમ કરવાનો છે. તોફાની કાવડીયાઓ સામે પોલીસ-વહીવટીતંત્રની શરણાગતિ એનો એક ભાગ છે. ગમે તે હોય, આપણે જાણીએ છીએ કે મનુવાદી વર્ણવ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરવાની પહેલી શરત હાલની વ્યવસ્થાનો અંત લાવવાની છે. RSS-BJP આવું જ કરી રહી છે. રાજસ્થાનના ધારાસભ્ય પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરે છે અને સ્ટેશન ઇન્ચાર્જની ખુરશી પર બેસે છે અને સ્ટેશન ઇન્ચાર્જ સહિત તમામ પોલીસકર્મીઓને તેમના પોતાના પોલીસ સ્ટેશનમાં તેમની સામે બેસવાની ફરજ પાડવામાં આવે છે તે કારણ વગર નથી. આ હાલની વ્યવસ્થાને તોડી પાડવાના પ્રયાસનો એક ભાગ છે.

આ તેમના માટે પોતાની રીતે કેડર ભરતી કરવાની પણ એક તક છે. જેમાં તેઓ ન માત્ર સહજ અને સરળ રીતે તાલીમ મેળવી રહ્યાં છે, પરંતુ તેમને ધર્મ દ્વારા તેમની અંદરના અન્ય તમામ તત્વોને બદલવાની તક પણ મળી રહી છે. આની અસર એ થશે કે જે પણ કાવડીયો જળ ચઢાવીને પાછો ફરે છે તે બીજા કોઈ પક્ષ કરતા ભાજપ-RSSનો કેડર બનવાની શક્યતા વધારે છે. આ ઉપરાંત, કાવડયાત્રા એવા યુવાનો માટે પોતાનો ગુસ્સો ઠાલવવાની તક સાબિત થઈ રહી છે જેઓ ફક્ત બેરોજગાર અને હતાશ જ નથી, પરંતુ દરેક રીતે દયનીય પરિસ્થિતિમાં જીવવા માટે પણ મજબૂર છે. કાવડ યાત્રા તેમના માટે સેફ્ટી વાલ્વનું કામ કરી રહી છે. પરિણામે, કાવડયાત્રાનું પાણી જેટલું શિવલિંગ પર નથી પડી રહ્યું, તેનાથી વધુ યુવાનોની મગજને શાંત કરતું દેખાઈ રહ્યું છે.

એવું કહેવાય છે કે મોટાભાગે દલિત અને પછાત સમાજના યુવાનો આ કાવડ યાત્રાઓમાં ભાગ લે છે. ગમે તે હોય, શંકરના મોટાભાગના ભક્તો આ વર્ગમાંથી આવે છે. તેથી, તેમની સંખ્યામાં હંમેશા વધુ હોવાની શક્યતા રહે છે. ભાજપ-આરએસએસ માટે તે પછાત અને દલિતોમાં પ્રવેશ કરવાની શ્રેષ્ઠ તક સાબિત થાય છે. અને તે પણ કોઈ જાતિ કે સામાજિક મુદ્દા પર નહીં પરંતુ તેમના પોતાના મનપસંદ ધાર્મિક એજન્ડાના આધારે. આ રીતે તેને દલિત-પછાત સમાજના તે યુવાનો, જે અન્ય સામાજિક ન્યાય માટે કામ કરતા પક્ષોના પ્રભાવ હેઠળ છે તેમને તેમનાથી તોડવાની તક મળી જાય છે.

આ પણ વાંચો: બિહારની 38 SC અનામત સીટ પર કોણ ફાવશે?

જાતિ વ્યવસ્થાના નીચલા સ્તરે હોવાને કારણે આ વર્ગમાં ઉભી થયેલી હતાશાને ઠાલવવાની આ એક સારી તક સાબિત થાય છે. આ ધાર્મિક કાર્યક્રમ દ્વારા તેઓ, ભલે થોડા દિવસો માટે, પણ પોતાને સૌની સમાન રીતે જુએ છે. માત્ર સમાન જ નહીં પરંતુ તેઓ દરેક રીતે પોતાને શ્રેષ્ઠ જુએ છે. આ સમય દરમિયાન સરકાર પણ તેમના આગળ નતમસ્તક હોય છે. આમ દરેક રીતે તેમની છાતી ગજ ગજ ફૂલેલી હોય છે. એકંદરે, આને દલિત-પછાત વર્ગના બાળકોનું સંસ્કૃતીકરણ અથવા ડીમંડલીકરણ કહી શકાય.

અને અંતે, એટલું જ કહી શકાય કે આ એક ખુલ્લું ઉદાહરણ છે કે છેલ્લા 70 વર્ષથી ચાલતા એક સંસ્કારી સમાજને કેવી રીતે બર્બર બનાવવામાં આવી રહ્યો છે. બરેલીમાં કાવડને લઈને બાળકોની સામે પોતાની કવિતા વાંચનાર શિક્ષક સામે FIR નોંધવામાં આવી છે તે અકારણ નથી. આ દેશમાં, વિજ્ઞાન અને તર્ક વિશે વાત કરવી પણ ગુનો બની ગયો છે. અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવો એ સૌથી મોટો ગુનો છે.

હકીકતે, નાગરિક બનવાની આવશ્યક શરત એ છે કે વ્યક્તિ વિજ્ઞાનમાં વિશ્વાસ કરતી હોય, તાર્કિક હોય અને સમાનતા અને ભાઈચારામાં માનતી હોય. પરંતુ ભાજપ-આરએસએસના શબ્દકોશમાં, આ ન માત્ર ઉપેક્ષિત શબ્દો છે, પરંતુ તેમને ધૃણાની નજરે જોવામાં આવે છે. બંધારણની પ્રસ્તાવનામાંથી ધર્મનિરપેક્ષતા અને સમાજવાદ જેવા શબ્દો દૂર કરવા માટે સમગ્ર RSS અને BJP એ તેમના તમામ પ્રયાસો કર્યા છે. તે કોઈ કારણ વગર નથી. આખરે, તેમનો ઉદ્દેશ નાગરિકતાની ભાવનાનો નાશ કરવાનો અને દેશને ટોળામાં ફેરવવાનો છે. જે કહેવા માટે તો હિંદુ હશે, પરંતુ હકીકતમાં અજ્ઞાનતા તેમની મુખ્ય અને સર્વોચ્ચ ઓળખ હશે.

આ પણ વાંચો: શ્રાવણના પહેલા જ દિવસે કાવડીયાઓએ અનેક શહેરોમાં તોફાન મચાવ્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x