બિહારના ગયા સ્થિત બોધિગયા બૌદ્ધ વિહારમાં મનુવાદી તત્વો અડિંગો જમાવીને બેસી ગયા છે. ધીરે ધીરે તેઓ તથાગત ગૌતમ બુદ્ધના વારસાને હિંદુ ઈશ્વરોમાં પરિવર્તિત કરવા માટે જાતભાતના પેંતરાઓ રચી રહ્યાં છે. જેના કારણે હવે બૌદ્ધ ધર્મીઓ દ્વારા બોધિગયાને મનુવાદીઓની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે છેલ્લાં એક મહિના કરતા વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં વસતા બૌદ્ધો દ્વારા સમર્થન મળી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ બહુજન સમાજ તેના સમર્થનમાં બહાર આવ્યો છે અને ઠેર ઠેર રેલીઓ અને આવેદનપત્રો આપવાનો સિલસિલો યથાવત છે.
બોધિગયા મુક્તિ આંદોલનના સમર્થનમાં આવી જ એક શાંતિ યાત્રા ત્રણ દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લામાં યોજાઈ ગઈ. જ્યાં હિંમતનગરમાં મોટી સંખ્યામાં બહુજન સમાજે બોધિગયા મુક્તિ આંદોલનને ટેકો પુરો પાડ્યો હતો.
આ પણ વાંચોઃ બોધગયા મુક્તિ આંદોલન તીવ્ર બન્યું, ભિક્ષુઓ રસ્તા પર ઉતર્યા
મહાબોધિ બોધગયા મુક્તિ આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં તારીખ.16/03/2025 ના રોજ બૌદ્ધ સંઘ સાબરકાંઠા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી શાંતિ યાત્રા નીકળી હતી. ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે સ્થળ બિહાર રાજ્યમાં બોધગયા ખાતે આવેલ છે જે સમગ્ર વિશ્વના બુદ્ધિસ્ટ લોકોના પવિત્ર સ્થળ તરીકે પ્રખ્યાત છે. આ મહાબોધિ બોધગયાની ગણના વિશ્વ ધરોહર તરીકે થાય છે. ત્યારે બી.ટી. એક્ટ ૧૯૪૯.રદ કરીને મહાવિહારનો કબ્જો બૌદ્ધોંને સોંપવા હિંમતનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને બૌદ્ધ સંઘ સાબરકાંઠા દ્વારા માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Mahabodhi Mukti Andolan ના સમર્થનમાં બોટાદમાં રેલી નીકળી
જિલ્લા કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિ. વડાપ્રધાન. મુખ્યમંત્રી. રાજ્યપાલ. આયોગના અધ્યક્ષ વગેરેને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રસંગે સાબરકાંઠા બૌદ્ધ સંઘના પ્રમૂખ રાહુલ બૌદ્ધ, ડૉ. પી. કે ગોહિલ, કરશનભાઇ પરમાર, ધીરજ લેઉઆ, અનિલ પરમાર, મેહુલ પરમાર, મનીષ પરમાર, પ્રિન્સ રેહાન, એડવોકેટ મહેન્દ્ર શર્મા સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક, ઉપાસિકાઓને અને બહુજન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલઃ રાહુલ બૌદ્ધ, હિંમતનગર)
આ પણ વાંચોઃ મહાબોધિ મુક્તિ આંદોલન ગુજરાતમાં તીવ્ર બન્યું