અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પંચાલ સમાજની પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. દવા પીધા બાદ સારવાર માટે ચારેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે હાલ બે બાળકીઓ સારવાર હેઠળ છે. પરિણીતાએ બાળકોને કોલ્ડ્રિંક્સમાં ઘઉંમાં નાખવાની દવા આપી અને પોતે પણ પી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલાં પરિણીતાએ સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં ઘણી વિગતો સામે આવી છે. જો કે પરિણીતાના પરિવારે સ્યુસાઈડ નોટ સામે શંકા વ્યક્ત કરી છે.
ઓઢવની પંચવટી પાર્ક સોયાટીમાં કૃપા પંચાલ તેના પતિ, એક પુત્ર વ્રજ અને બે પુત્રીઓ મેશ્વા અને દિવ્યા સાથે રહે છે. આજે સવારે પરિણીતાએ તેનાં ત્રણેય બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોલ્ડ્રિંક્સમાં ઘઉંમાં નાખવાની દવા નાખી અને ત્રણેય બાળકોને પીવડાવી દીધી હતી ત્યાર બાદ પોતે પણ પી લીધું હતું. ત્રણેયને ઊલટીઓ થવા લાગતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં પરિણીતા કૃપા અને તેના બે વર્ષના પુત્ર વ્રજનું મોત થયું છે જ્યારે બે બાળકીઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી.
પરિણીતાના ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળી
ઓઢવ પોલીસ દ્વારા પરિણીતાના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. પરિણીતાએ સુસાઇડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી. પરિણીતાએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “મમ્મી-પપ્પા હું બહુ થાકી ગઈ છું. મારે અને મારા છોકરાને નથી જીવવું. મારા ગયાં પછી તમે રડતા નહીં અને મને અને મારા છોકરાને અગ્નિદાહ તમે જ આપજો. તમારી દીકરી તરીકે મને વિદાય આપજો તમારી વહુ તરીકે વિદાય ન આપતા. એના હાથે સિંદૂર પણ ન પુરાવતા. મારે તમારા ઘરે પાછું નથી આવવું, હું કોઈના પર બોજો બનવા નથી માંગતી કે મારા છોકરાઓને નથી બનાવવા માંગતી એટલે હવે હું હવે આ પગલું ભરી રહી છું. આ ઘરમાં હવે મારું અને મારા છોકરાઓનું કંઈ જ નામોનિશાન ન રહેવું જોઈએ, હું કે મારા છોકરાઓ હોઈએ કે ના હોઈએ કશો જ ફરક નથી પડતો. બસ હવે હું જઉં, પપ્પા-મમ્મી, ભાઈ તમે અમને લોકોને યાદ કરીને રડતાં નહીં. હંમેશાં ખુશ રહેજો તમે લોકો.”
આ પણ વાંચો: દલિત સગીરા પર ગૌશાળામાં બળાત્કાર, સરપંચે ગર્ભાપાતની ગોળી પીવડાવી
હાલ ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે અને હાલ પરિણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પડોશીઓને જાણ થતા હોસ્પિટલ લઈ ગયા
આ ઘટના ગઈકાલે બની છે. 12 ફેબ્રુઆરીના રોજ ઠંડાપીણામાં ઝેરી દવા ભેળવીને પોતે તથા ત્રણ સંતાનો પીવડાવી દીધી હતી.પરણીતાને ઉલટીઓ થતા ઘરની બહાર દોડી આવતા પાડોશીને મામલની જાણ થતા પરિણીતા અને તેના ત્રણ બાળકોને તાત્કાલિક સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન પરણીતા અને બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બંને બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ મામલે ઓઢવ પોલીસે મૃતક પરણીતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પડોશીએ લગ્નજીવનમાં વિવાદ ન હોવાનું જણાવ્યું
ઓઢવ પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઈટ નોટ મળી છે. પોલીસે તેને કબજે કરીને સાયન્ટીફીક તપાસ અર્થે મોકલી આપી છે. બીજી બાજુ આપઘાત કરનાર મહિલાના પતિ તથા પાડોશીના નિવેદન નોંધતા પોલીસને પ્રાથમિક તબ્બકે જાણવા મળ્યું કે દંપતીનું લગ્ન જીવન નિર્વિવાદિત ચાલતું હતું. ઉપરાંત બે દીકરીના જન્મ બાદ દંપતીએ માનતા માની હતી. ત્યારબાદ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો.
પરિણીતાના પરિવારે સ્યુસાઈડ નોટના લખાણ સામે શંકા વ્યક્ત કરી
મૃતક પરણીતાના માતાપિતાનું પોલીસ સમક્ષ કહેવું છે કે ચીઠ્ઠીમાં જે લખાણ લખ્યું છે. તેમાં રહેલા અક્ષરો તેમની દીકરીના નથી. હાલ પોલીસ આ તમામ બાબતોને રેકોર્ડ પર લીધી છે. બે દીકરીઓના આપઘાતના પ્રયાસ અને બાળકનું મૃત્યુ નીપજ્યું છે. તેના બદલ મૃતક માતા સામે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: હું દલિત છું…ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે