રેફ્યૂજી ફિલ્મનું જાવેદ અખ્તરનું લખેલું ગીત છે – પંછી નદિયા, પવન કે ઝોંકે, કોઈ સરહદના ઈન્હેં રોકે. આ શબ્દોને સાકાર કરતી એક ઘટના હાલ અમદાવાદના ખોખરા વિસ્તારમાં બની છે. જ્યાં એક સફાઈકર્મી પિતાની દીકરીની જાન કેનેડાથી આવી હતી. વિદેશી વરરાજાએ સફાઈકર્મી પિતાની ફિઝિયોથેરાપિસ્ટ દીકરી સાથે ભારતીય રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
મળતી માહિતી મુજબ યુવતીના પિતા સુનિલભાઈએ નબળી આર્થિક પરિસ્થિતિ છતાં તેમની દીકરી શ્રદ્ધા ભણવામાં હોંશિયાર હોવાથી તેના શ્રેષ્ઠ શિક્ષણની વ્યવસ્થા કરી હતી. સમાજ દ્વારા મળતી સ્કોલરશીપથી શ્રદ્ધાએ ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વધુ અભ્યાસ માટે કેનેડા ગઇ હતી. ત્યાં અભ્યાસ દરમિયાન તેની મુલાકાત જીન સાથે થઈ હતી અને બંને પ્રેમમાં પડ્યાં બાદ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું.
વરરાજા જીન 9 ફેબ્રુઆરી, 2025ના રોજ તેના પરિવાર સાથે ભારતમાં આવ્યો હતો અને 12 ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધા અને જીને લગ્ન કર્યા હતા. આ લગ્નમાં કેનેડાના 18-20 પરિવારજનો પણ જોડાયા હતા. આ દરમિયાન વિદેશી જાનૈયાઓએ પણ ગુજરાતી પોશાક પહેર્યો હતો. કન્યા શ્રદ્ધા એક સફળ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કેનેડામાં પ્રેક્ટિસ કરી રહી છે અને જીન સાથે તેનું નવું જીવન શરૂ કરી રહી છે. પરિવાર અને સમાજે આ લગ્નને રાજીખુશીથી સ્વીકાર્યા છે.
સફાઈકર્મીની દીકરી મનુવાદી હિંદુ રીતિરિવાજો કેમ ન છોડી શકી?
સામાન્ય રીતે બહુજન સમાજની કોઈપણ વ્યક્તિ ભણીગણીને સમજદાર બને એટલે તરત તેને હિંદુ ધર્મમાં રહેતો જાતિવાદ, અસ્પૃશ્યતા સહિતનો સડો ખટકવા માંડતો હોય છે. હિંદુ ધર્મમાં તેની સાથે દાખવવામાં આવતા ભેદભાવો સામે તે બંડ પોકારીને ડો.બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલવાનું પસંદ કરતી હોય છે. પણ આ મામલામાં સફાઈકર્મી પિતાની દીકરી, જે કેનેડામાં ફિઝિયોથેરાપિસ્ટ જેવી ઉચ્ચ કક્ષાની નોકરી કરતી હોવા છતાં તેણે ગુલામીના પ્રતિકસમા મનુવાદી રીતિરિવાજો મુજબ લગ્ન કરતા શિક્ષિત બહુજન સમાજને ચોક્કસ આંચકો લાગ્યો હશે.
આ પણ વાંચો: કન્યાદાન નહીં, કન્યાએ સમાજને રૂ. 2 લાખનું દાન કર્યું
જો આટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ મનુવાદી રીતિરિવાજો ત્યજી ન શકાતા હોય તો એ શિક્ષણ માત્ર વ્યવસાયલક્ષી હોય શકે, પરંતુ તમારી ચેતનાને જાગૃત કરે તેવું નહીં હોય એવું ચોક્કસ લાગે. ઉચ્ચ શિક્ષણ મેળવી, વિદેશમાં જઈ ઉચ્ચ કક્ષાની નોકરી મેળવ્યા પછી પણ જો મનુવાદી રીતિરિવાજો ત્યજી ન શકાતા હોય તો બહુજન સમાજે આવા શિક્ષણને લઈને નવેસરથી વિચાર કરવાની જરૂર છે.
સફાઈકર્મી પિતાની કેનેડામાં રહેતી ફિઝિયોથેરાપિસ્ટ દીકરીને મનુવાદી હિંદુ રીતિરિવાજો મુજબ લગ્ન કરતી વખતે એકવાર પણ એ વિચાર મનમાં નહીં આવ્યો હોય કે વર્ણવ્યવસ્થાના મોડેલ પર ઉભેલા આ ધર્મે સદીઓ સુધી તેના પિતા જેવા સેંકડો સફાઈકર્મીઓ સાથે આભડછેટ પાળી છે, તેમને માથે મેલું ઉપડાવ્યું છે, ગટરોમાં ઉતાર્યા છે. સેંકડો સફાઈકર્મીઓએ આ રીતે જીવ ખોયા છે, તો હું શા માટે આટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ આ ધર્મના રીતિરિવાજો મુજબ લગ્ન કરું છું? જો એ વિચાર આવ્યો હોત અને ડો.આંબેડકર કે તથાગત બુદ્ધના રસ્તે ચાલવાનું નક્કી કર્યું હોય તો દીકરીનું ઉચ્ચ શિક્ષણ અને કેનેડામાં રહીને ફિઝિયોથેરાપિસ્ટ બન્યું સાર્થક થયું ગણાત.
આ પણ વાંચો: બ્રાહ્મણ શખ્સે દલિતોના સ્મશાન પર કબ્જો જમાવી ઘઉં વાવી દીધાં