અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ ગઈ છે. આ હતભાગીઓમાં એક હિંમતનગરની 22 વર્ષીય દલિત યુવતી પાયલ ખટીક પણ સામેલ હતી, જે પહેલીવાર વિમાનમાં બેઠી હતી, પણ તેની એ પહેલી મુસાફરી જ તેના માટે આખરી બની ગઈ.
પાયલના પિતા સુરેશભાઈ ખટીક હિંમતનગરમાં રિક્ષા ચલાવે છે અને તેમણે મજૂરી કરીને દીકરીને ભણાવી હતી. પાયલ પણ પોતાની જવાબદારી બરાબર સમજતી હતી એટલે તે ઉદયપુરમાં બી.ટેકનો અભ્યાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે લંડનના વીઝા માટે અરજી કરી હતી. વર્ષો પછી તેને સ્ટુડન્ટ વીઝા મળ્યા હતા અને તે 12 જૂન 2025ના રોજ લંડન જઈ રહી હતી. પણ દુર્ભાગ્ય કે ફ્લાઈટ ટેકઓફ થયાની બે મિનિટમાં જ ક્રેશ થયુ અને પરિવારે એક આશાસ્પદ દીકરીને ગુમાવી. વિદેશ જઈને પોતાના ભાવિનું ઘડતર કરવાનું પાયલનું સપનું પળવારમાં જ આગમાં ભસ્મીભૂત થઈ ગયું.
પરિવાર એરપોર્ટથી બહાર નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું
પાયલના પરિવારજનો હજુ પોતાની દીકરીને વળાવીને એરપોર્ટથી નીકળ્યાં જ હતા અને આ આઘાતજનક સમાચાર આવ્યા. વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળી પાયલના પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાની વ્હાલસોઈ લાડલી દીકરીને ગુમાવવાથી પરિજનોની આંખો સુકાતી નથી. ખટીક પરિવારની દીકરી પાયલ ખટીક પોતાના સપનાઓ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું.
આ પણ વાંચો: Ahmedabad plane crash: જાણો અત્યાર સુધીમાં શું બન્યું
લંડન જવા માટેની તમામ વ્યવસ્થા જાતે કરી હતી
સુરેશભાઈ ખટીક પોતે લોડીંગ રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમણે પાયલને ધોરણ 12 સુધી હિંમતનગર ખાતે ભણાવી અને ત્યારબાદ બીટેક સુધીનો અભ્યાસ રાજસ્થાનમાં કરાવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે પાયલ લંડન જવા ઇચ્છતી હતી અને તેના પિતાએ તેને તેના માટે મંજૂરી આપી હતી. પાયલે પોતાની જાતે જ કન્સલ્ટન્સીઓ સાથે વાટાઘાટો કરીને પ્રોસેસ કરી હતી અને બે દિવસ પહેલા સવારે 7:00 વાગ્યે હિંમતનગર ખાતેથી એરપોર્ટ જવા નીકળી હતી. તેના પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે અમદાવાદ એરપોર્ટની બહાર સુધી પહોંચાડીને શુભેચ્છાઓ આપી હતી.
પરંતુ અમદાવાદ શહેરની બહાર નીકળતા પહેલા જ પરિવારને સમાચાર મળ્યા કે પાયલ જે પ્લેનમાં બેઠી હતી તે એર ઈન્ડિયાની અમદાવાદ-લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ છે અને તેમાં સવાર તમામ લોકોના મોત થયા છે. પાયલ ખટીકના મૃત્યુના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છે. તેમણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમની પુત્રી સાથે આવું બનશે.
પાયલ નોકરીની સાથે બાળકોને ટ્યુશન કરાવતી હતી
પાયલનો પરિવાર હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલા મીનાક્ષી વિલા ફ્લેટમાં ચોથે 408 નંબરના મકાનમાં માતાપિતા, ભાઈબહેન સાથે છેલ્લાં 8 વર્ષથી રહે છે. 22 વર્ષીય પાયલે ધોરણ 1 થી 12 સુધી હિંમતનગરમાં અભ્યાસ કર્યા બાદ રાજસ્થાનના ઉદેપુરમાં બીટેકનો અભ્યાસ કર્યો હતો અને હિંમતનગર પરત આવી નોકરી કરવાની સાથે બાળકોને ટ્યુશન કરાવતી હતી.
પહેલીવાર પ્લેનમાં બેઠી અને બે જ મિનિટમાં મોત થયું
પાયલ એમટેકના અભ્યાસ કરવા માટે લંડન જવા માટેની ફાઈલ મૂકી હતી, જે પાસ થયા બાદ લંડન જવાની છેલ્લા એક મહિનાથી તૈયારી કરતી હતી. ગુરુવારે સવારે સુરેશભાઈ ખટીક પરિવાર સાથે પાયલને લંડન જવા માટે મૂકવા અમદાવાદ એરપોટ ગયા હતા. જયારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બેસાડીને પરત હિંમતનગર આવ્યા હતા. જ્યાં ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર આવ્યા હતા. જેને લઈને પિતા સુરેશભાઈ પરત અમદાવાદ ગયા હતા. જ્યાં તેમનું DNA ટેસ્ટ માટેની પ્રક્રિયા કરી હતી. 22 વર્ષીય પાયલ એર ઇન્ડિયાની 171 અમદાવાદ-લંડન ફ્લાઈટમાં એરપોર્ટ પર ગેટ નંબર 2 થી વિમાન સુધી પહોચી હતી અને સીટ નંબર 33J હતો.જ્યાં તે બેસી હતી.ત્યારબાદ પરિવાર ઘરે આવ્યો હતો.
પિતાએ ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરી
આ અંગે પાયલના પિતા સુરેશભાઈ ખટીકે જણાવ્યું હતું કે, પાયલને ગઈ કાલે સવારે 7.30 એ અમદાવાદ પ્લેનમાં મુકવા ગયા હતા જ્યાંથી મૂકીને બપોરે 12 વાગ્યે પરત આવ્યો હતો અને સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થયું છે. એટલે તરત હું પરત ગયો હતો. જો કે ત્યાં એટલી બધી અફરાતફરી હતી કે કોને મળવું અને શું પૂછવું તે પણ ખબર નહોતી પડી. અંતે DNA ટેસ્ટ માટેની કાર્યવાહી કર્યા બાદ પરત આવ્યો છે. તંત્ર દ્વારા ફોન કરીને જાણ કરવાની વાત કહી છે.
આ પણ વાંચો: પ્લેન ક્રેશના મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનોને વળતર માટે સુપ્રીમમાં અરજી
Uparwala ne gamyu e kharu. Aani purti koi na kari sake.