Ahmedabad Plane Crash update: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે. જાણો ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં શું શું બની ગયું.
પીએમ મોદી ઘટનાસ્થળે પહોંચ્યા
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પછી તેઓ સિવિલ હૉસ્પિટલમાં દુર્ઘટના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા. વડાપ્રધાને દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર જીવીત યુવકની પણ મુલાકાત લીધી હતી.
અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઈટની મુલાકાત લીધી બાદ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે દુર્ઘટનાથી બધાને આઘાત લાગ્યો અને આટલા લોકોને ગુમાવ્યાં બાદ હું આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તમામ શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના.
વડાપ્રધાન મોદીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ સિવિલમાં પીડિતોના પરિજનો અને ઈજાગ્રસ્તોને મુલાકાત કરીને સાંત્વના આપી હતી. ત્યારબાદ તેમણે ગુજસેલમાં મુખ્યમંત્રી સહિત ગુજરાત સરકારના મોટા અધિકારીઓ સાથે આ દુર્ઘટના અંગે વિગતો મેળવી હતી.
આ પણ વાંચો: BJP ના નેતાઓએ Air India સામે શું ફરિયાદ કરી હતી?
વડાપ્રધાન વિજય રૂપાણીના પત્નીને મળ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં તેમના પત્ની અંજલી રુપાણી પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ ઍરપોર્ટથી સીધા ગાંધીનગરમાં આવેલા તેમના નિવાસસ્થાને રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, સી. આર. પાટીલ અને રામમોહન નાયડુ પણ હાજર હતા. દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધીનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધી રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા બાદ નિર્ણય કરાશે.
DNA ટેસ્ટમાં મૃતકોની ઓળખ, ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ પરિવારને સોંપાયા
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં કસોટી ભવનમાં તમામ મૃતદેહો સાથે DNA ટેસ્ટની કામગીરી શરુ કરાઈ છે. આખી રાત દરમિયાન ચાલેલી આ કામગીરીમાં ધીમે-ધીમે મૃતકોની ઓળખ મુજબ, મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. આ મૃતદેહોમાં બી. જે. મેડિકલ કૉલેજના ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે અને તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી બે ભાવનગરના અને એક ગ્વાલિયરનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.
બી.જે. મેડિકલમાં ભણતાં 4 વિદ્યાર્થીએ ગુમાવ્યા જીવ, હજુ બે ગુમ
માહિતી અનુસાર બીજે મેડિકલ કૉલેજમાં મેડિકલનો અભ્યાસ કરતાં ચાર ભાવિ ડૉક્ટર રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ અને જયપ્રકાશ ચૌધરીએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. આ લોકો વિમાનમાં સવાર નહોતા પરંતુ જે ઇમારતમાં વિમાન તૂટી પડ્યું તે હોસ્ટેલમાં જ રહેતા હતા. જોકે માહિતી અનુસાર ભાવેશ સેહતા તથા આશિષ મીણા નામના બે મેડિકલ સ્ટુડન્ટની હજુ કોઈ ભાળ મળી નથી.
265 લોકોના મોત થયાની જાણકારી મળી
આ વિમાન સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલ સિવિલ હૉસ્પિટલમાં જ બી જે મેડિકલ કૉલેજની હોસ્ટેલની ઇમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર તમામ 242 લોકો અને હોસ્ટેલ તથા કેન્ટીન તથા આજુબાજુના વિસ્તારમાં હાજર લોકો તેની લપેટમાં આવતાં લગભગ 265 લોકોના મૃત્યુ થયા છે. આ તમામ લોકોના મૃતદેહ સિવિલ હૉસ્પિટલમાં લાવી દેવાયાની જાણકારી અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશ્નર દેસાઈએ આપી હતી.
સિવિલ હોસ્પિટલમાં 274 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાયા
અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં 274 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. જ્યારે, રૂપાણી સહિત 40 મૃતકના DNA મેચ કરવાના બાકી છે. ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરવામાં આવી છે. આ વચ્ચે PM સિવિલ પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં જીવત બચેલા એકમાત્ર વિશ્વાસ કુમારની મુલાકાત લીધી હતી. 15 મિનિટ જેટલો સમય તેઓ હોસ્પિટલમાં રોકાયા હતા.
આ પણ વાંચો: મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ
સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં
અમદાવાદ વિમાન દુર્ઘટનાએ સૌરાષ્ટ્ર-કચ્છના સાત પરિવારોના માળા વિખેરી નાંખ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 28 મુસાફરો અમદાવાદથી લંડન જતાં વિમાનમાં હતાં અને તેમનો પતો લાગ્યો ન હોવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની આશંકા છે. સૌથી વધુ 15 મુસાફરો દિવના હતાં તેમાંથી એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. જૂનાગઢના નિવૃત્ત અધિકારી અને પરિવારના ત્રણ લોકો, પોરબંદરમાં પતિની વિધી કરીને પરત ફરતાં મહિલા સહિત બ્રહ્મ પરિવારના ત્રણ, વડિયાના એક, જામનગરમાં પિતાની ખબર પૂછી પરત ફરતાં પતિ-પત્ની, કચ્છમાં ધાર્મિક પ્રસંગ ઉજવી પરત જતાં ત્રણ તેમજ વેરાવળમાં પુત્રીના સીમંત પ્રસંગ પછી પરત જતાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતાં.
ચરોતરના 50થી વધુ મુસાફરોના મોત થયા
વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં ચરોતર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. મોડી સાંજ સુધી મળતી માહિતી મુજબ, ચરોતર પ્રદેશના આણંદ જિલ્લાના 33 અને ખેડા જિલ્લાના અંદાજે 17 જેટલી વ્યક્તિ આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમના કરુણ મૃત્યુ થયા હોવાના અહેવાલો છે. તમામ મૃતકોના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સરકાર દ્વારા DNA ટેસ્ટ સહિતની કાર્યવાહી શરૂ કરીને પોતાના સ્વજનોને શોધવાનો અને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું મોત
આણંદ જિલ્લા ભાજપે 33 લોકોની યાદી જાહેર કરી છે જે આ પ્લેનમાં સવાર હતા. જોકે, ખેડા જિલ્લા પ્રશાસન મોડી સાંજ સુધી ઘટનામાં જિલ્લાના કેટલા લોકો શામેલ હતા તે અંગે પુષ્ટિ કરી શક્યું નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રશાંત પટેલ પણ આ પ્લેનમાં હોવાની માહિતી મળી છે. આ તરફ નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ સહિતના તાલુકાના વ્યક્તિઓ લંડન જવા નીકળ્યા હતા. આણંદ જિલ્લાના બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ શહેર સહિતના વિસ્તારોના કુલ 33 યાત્રિકો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એક ડોક્ટર અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: તથાગત બુદ્ધના અવશેષો વિયેતનામથી ભારત પરત લવાયા
બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશને દુર્ઘટના વર્ણવી
ક્યારેય ભૂલી શકાય નહીં તેવી દુઃસ્વપ્ન સમાન આ દુર્ઘટનામાં એક મુસાફરનો બચાવ થયાનું સામે આવ્યું છે. સીટ નંબર-11એની ફ્લાઇટમાં બેઠેલા 40 વર્ષીય વિશ્વાસકુમાર રમેશનો આ પ્લેન ક્રેશમાં બચાવ થયો છે અને તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્લેનક્રેશ થયું ત્યારે વિશ્વાસકુમાર રમેશે કૂદકો લગાવી દીધો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો.
હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિશ્વાસે જણાવ્યું કે, ‘ટેક્ ઓફ્ની 30 સેકન્ડ બાદ ખૂબ જ મોટો અવાજ થયો અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું હતું. બધું જાણે આંખના પલકારામાં થઇ ગયું. વિમાન ક્રેશ બાદ હું ઊભો થયો ત્યારે મારી આસપાસ મૃતદેહના ઢગલા હતા. હું ખૂબ જ ડરી ગયો હતો અને ઊભો થઇને તુરંત જ તે સ્થળથી દોડવાનું શરૂ કરી દીધું. મારી આસપાસ વિમાનના પાર્ટ્સ વિખરાયેલા પડયા હતા. અચાનક જ કોઇએ મને પકડયો અને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડયો હતો.’ વિશ્વાસ રમેશ છેલ્લા 20 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલા છે. દીવમાં તે પરિવારના સદસ્યોને મળવા માટે આવેલા હતા. તેમની સાથે વર્ષીય ભાઇ અજય કુમાર રમેશ પણ મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ તેમનો મોડી સાંજ સુધી કોઇ પત્તો મળ્યો નહોતો. વિશ્વાસ રમેશે જણાવ્યું કે, ‘અમે પારિવારિક કારણોસર દીવ આવ્યા હતા. મારી સાથે મારા ભાઇ પણ પ્રવાસ કરી રહ્યા હતા. પરંતુ હવે તે મળી રહ્યા નથી. પ્લીઝ, મારા ભાઇને શોધવામાં મદદ કરો.’
આ પણ વાંચો: બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન કેટલું સલામત?