ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા લગાવાયો છે. આ વખતે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આવેલી ચારુતર વિદ્યામંડળ સંચાલિત કોલેજમાં ભરતીમાં ગેરરીતિ થયાનો આરોપ લાગ્યો છે.
ગુજરાતમાં વિવિધ ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતિઓને ખુલ્લી પાડનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ લગાવ્યો છે.
યુવરાજસિંહે જણાવ્યું હતું કે, “ચારુતર વિદ્યામંડળ દ્વારા ભરતી પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ આ ભરતી પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પણ માનીતા ઉમેદવારો તેમાં સ્થાન ન મળતા મંડળ દ્વારા છેલ્લા એક વર્ષથી પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. ચારુતર વિદ્યામંડળ દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાંય છેલ્લા એક વર્ષથી પસાન્દ્ગિ પામેલા યુવકોને નિમણૂક પત્ર આપવામાં આવતા નથી, જેના કારણે ચારુતર વિદ્યામંડળની ભરતી પ્રક્રિયાયા અંગે શંકાની સોય તકાઈ છે.”
આ પણ વાંચો: હવે ‘રેવન્યૂ તલાટી’ બનવા ‘કલેક્ટર’ જેવી પરીક્ષા આપવી પડશે!
યુવરાજસિંહે આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અંગે જણાવ્યું હતું કે, “ચારુતર વિદ્યામંડળ દ્વારા લેબ આસિસ્ટન્ટ માટે તા.૦૮/૦૨/૨૦૨૪ના રોજ જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેના અંતર્ગત વાંચ્છુક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે અંગેની પ્રિલિમ પરીક્ષા તા.૨૯-૦૯-૨૦૨૪ના રોજ લેવામાં આવી હતી. ત્યાર બાદ તા. ૦૩-૧૦-૨૦૨૪ ના રોજ સીપીટી લેવામાં આવી હતી. આ પછી એસ.એમ.પટેલ કોલેજ મારફતે એક દિવસ પછી ફાઈનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ ફાઇનલ મેરિટમાં આવેલ ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણી (ડૉક્યુમેન્ટ વેરિફિકેશન) કરવામાં આવ્યા હતા.
પ્રમાણપત્રોની ચકાસણી કરાયાને આજે સાત મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણુંક પત્ર આપવાના બદલે હંમેશા હૈયા ધારણા અને વાયદા જ મળ્યા હતા. પરંતુ થોડા દિવસ પહેલા ચારુતર વિદ્યામંડળ દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને એવું કહેવામાં આવ્યું છે કે, મંડળને આ ભરતી કરવા માટેની પૂર્વ મંજૂરી મળેલી નથી એટલે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવે છે.”
આ અંગે યુવરાજસિંહે દ્વારા આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતીમાં ગેરરીતિનો આરોપ લગાવાયો છે. આ લેબ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા પ્રક્રિયામાં ઉત્તીર્ણ થઈને પસંદગી પામેલા ઉમેદવારોને વહેલી તકે ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઠાકુરોએ 14મી એપ્રિલની રેલી રોકી, દલિતોએ ઠાકુરોની કળશ યાત્રા રોકી