મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવનસંઘર્ષને ઉજાગર કરતી ફિલ્મ ‘Phule’ સેન્સર બોર્ડમાં બેઠેલા મનુવાદીઓના ચક્રવ્યૂહમાંથી નીકળીને 25 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. પણ હવે તેને સવર્ણ થિયેટર માલિકોની મનુવાદી માનસિકતાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોના થિયેટરોમાં ‘Phule’ ફિલ્મના શોની ડિમાન્ડ હોવા છતાં પણ ફિલ્મ દર્શવાઈ રહી નથી તેવી બૂમ ઉઠી છે. અનેક સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થઈ હોવા છતાં તેના પોસ્ટર લગાવવામાં આવ્યા નથી. જેના કારણે ફિલ્મ જોવા માંગતા દર્શકોને પણ જે તે સિનેમાઘરમાં ફિલ્મ લાગેલી છે કે નહીં તેનો ખ્યાલ નથી આવતો. ‘Phule’ ફિલ્મ વિશે આવો જ અન્યાય રાજકોટમાં પણ થઈ રહ્યાંનું સામે આવ્યું છે. જ્યાં એકપણ સિનેમાઘરમાં ફૂલે ફિલ્મ દર્શાવાઈ રહી નથી. જેના કારણે ફિલ્મ જોવા માંગતા દર્શકો રોષે ભરાયા છે અને હવે તેમણે બલ્કમાં ટિકિટો બૂક કરાવીને ‘Phule’ ફિલ્મના સ્પેશ્યિલ શોનું આજે આયોજન કર્યું છે.
બહુજન સમાજ દ્વારા ખાસ શો યોજાશે
મહાન સમાજસુધા૨ક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલેના જીવનસંઘર્ષને ઉજાગર કરતી ફિલ્મ ‘Phule’ સેન્સર બોર્ડની મનુવાદી માનસિકતાનો કોઠો વીંધીને ૨૫મી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે, જોકે રાજકોટમાં એકપણ મલ્ટીપ્લેક્સ- સિનેમાઘરમાં આ ફિલ્મ બતાવવાની હિંમત કરવામાં ન આવતાં જ્યોતિબાના ચાહકો દ્વારા આજે ફિલ્મનો સ્પેશિયલ શો રાખવામાં આવ્યો છે.
સ્પેશ્યિલ શોને જોરદાર પ્રતિસાદ મળ્યો
ભારતના સૌથી મહાન સપૂતોમાંના એક, બહુજન ઉદ્ધારક ફુલે દંપતીના જીવનસંઘર્ષને સિનેમાના પડદે નિહાળવા માટે તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. જોકે, આ ફિલ્મ શહેરના એકેય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી નથી. જેના કારણે જ્યોતિબા ફુલેના ચાહકો ભારે નિરાશ થયા હતા. જો કે, આ ફિલ્મમાં રહેલા મજબૂત સામાજિક મેસેજને કારણે વધુને વધુ લોકો સુધી આ ફિલ્મ પહોંચે તે જરૂરી હોવાથી બહુજન સમાજના જાગૃત લોકોએ ફિલ્મનો ખાસ શો યોજવાનું નક્કી કર્યું હતું. હવે આજે રાત્રે એક 9 વાગ્યે એક મલ્ટીપ્લેક્સમાં ‘Phule’ ફિલ્મનો શો યોજાશે. આ શોને બહુજન સમાજ તરફથી જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે અને તમામ ટિકિટો બૂક થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
વધુ બે સ્પેશ્યિલ શો યોજાશે
આ શોના આયોજક શિક્ષક વિનયસાગર અનિત્યએ જણાવ્યું કે, ડો.આંબેડકરના પણ ગુરૂ એવા જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેના જીવનસંઘર્ષને દર્શાવતી ફિલ્મ રાજકોટના એકેય સિનેમાઘર કે મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં ન આવતાં મને ભારે નવાઈ લાગી છે. જોકે, અમે કેટલાક ચાહકોએ મળીને ખાસ શો રાખવાનું નક્કી કર્યું હતું અને આજે આઈનોક્સ આર વર્લ્ડમાં આ ફિલ્મનો ખાસ શો રાખ્યો છે. જેના માટે અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોએ બલ્ક-બુકિંગ કરાવ્યું છે.
આ પણ વાંચો: ધોળકાના સાથળમાં દલિતો અંતિમક્રિયા માટે 12 કિ.મી. દૂર જાય છે
આ શો માટે વધુને વધુ લોકોની ઈન્કવાયરી આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને અમે બીજા બે શો કરવાનું નક્કી કર્યું છે.’ મલ્ટીપ્લેક્સમાં મોટા ભાગે ઓફ બીટ ફિલ્મો ચાલતી હોય છે અને કમાણી પણ કરતી હોય છે. વળી, ‘Phule’ મૂવીનો વિવાદ એટલો ગંભીર પણ બન્યો નથી, આમ છતાં રાજકોટ શહેરમાં એક પણ સિનેગૃહમાં આ ફિલ્મ દર્શાવવામાં ન આવતાં આશ્ચર્ય સર્જાયું છે.
થિયેટર સાથે સંકળાયેલા લોકો શું કહે છે?
જો કે થિયેટરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના મતે શહેરના ૭ મલ્ટીપ્લેક્સ અને એક સિંગલ સ્ક્રીન સિનેમાઘરમાં અત્યારે હિન્દીમાં ગ્રાઉન્ડ ઝીરો, અન્ટીલ ડાઉન, કેસરી ચેપ્ટર-૨, જાટ, અંદાઝ અપના અપના અને ગુજરાતીમાં આન્ટીપ્રિન્યોર, ઓલ ધ બેસ્ટ પંડ્યા, મીઠડા મહેમાન જેવી ૮ ફિલ્મો ચાલી રહી છે. કઈ ફિલ્મ અહીં ચલાવવી એ નિર્ણય ડિસ્ટ્રીબ્યુટરો લેતા હોય છે.
બહુજન સમાજના લોકોનું શું કહેવું છે?
આ તરફ જ્યોતિબાના ચાહકોનો તર્ક જુદો છે. તેમના મતે આ 8 પૈકી મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ ચૂકી છે, છતાં તેના શો જો ચાલી રહ્યાં હોય તો તેમાં ચોક્કસ કોઈક ગોઠવણ હોવી જોઈએ. ગુજરાતી ફિલ્મો દર્શકો ભાગ્યે જ થિયેટરોમાં જોવા જાય છે છતાં ત્રણ ત્રણ ગુજરાતી ફિલ્મોને થિયેટરો શો ફાળવી શકતા હોય તો ‘Phule’ તો તેના કરતા ક્યાંય સારી અને સફળ ફિલ્મ છે, છતાં કેમ તેને શો ફાળવવામાં નથી આવતા? શું ડિસ્ટ્રીબ્યૂટરોને નહીં ખબર હોય કે કઈ ફિલ્મ લોકો જોવા જઈ રહ્યાં છે અને કઈ નહીં?
જાગૃત બહુજન સમાજ શું માને છે?
એક દર્શકે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, “‘Phule’ ફિલ્મને થિયેટરમાં શો નહીં ફાળવવાનું કારણ ફિલ્મમાં દર્શાવાયેલા ફૂલે દંપતીના ક્રાંતિકારી વિચારો છે. જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેએ આખી જિંદગી દેશના વંચિતો, પછાતોના ઉદ્ધાર માટે કામ કર્યું હતું. તેમણે બ્રાહ્મણો સામે લડીને સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર અપાવ્યો હતો. સ્વાભાવિક છે કે, હિંદુત્વની રાજનીતિ કરતા વર્તમાન સત્તાધીશો અને તેના સમર્થક મનુવાદીઓને ફૂલે દંપતીના આ ક્રાંતિકારી વિચારો ખટકે જ. એટલે જ તેમણે પહેલા સેન્સર બોર્ડના માધ્યમથી ફિલ્મના આત્માને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો અને હવે થિયેટરોમાં ફિલ્મના શો ન થવા દઈને નિર્માતાઓને આર્થિક ફટકો મારવા માંગે છે.
જેથી કરીને ભવિષ્યમાં કોઈ નિર્માતા-નિર્દેશક ફૂલે જેવી ફિલ્મ બનાવવાની હિંમત ન કરે. પણ દર્શકો રાજા છે, તે ગમે તેમ કરીને સારી ફિલ્મ જોઈ જ લેતા હોય છે અને અમે એજ કરી રહ્યાં છીએ. આજે ફૂલે ફિલ્મનો સ્પેશ્યિલ શો યોજાઈ રહ્યો છે અને ફિલ્મ જોઈશું.”
આ પણ વાંચો: અમદાવાદમાં ‘Phule’ ફિલ્મનો શો બમ્પર હાઉસફૂલ થયો