Bihar Elections 2025: મંગળવારના બિહાર ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર રવિવારે થંભી ગયો છે. બધાની નજર આ તબક્કામાં દલિત અને મુસ્લિમ મતદારો પર છે. જનાદેશની ચાવી 18 ટકા દલિત મતદારોના હાથમાં છે, જેમની પાસે 100 બેઠકો પર પરિણામ બદલવાની તાકાત છે. વધુમાં, આ તબક્કામાં મુસ્લિમ સમાજના ભાવિ રાજકીય સંકેતો પણ છે, જે સીમાંચલ સહિત ત્રણ ડઝન બેઠકો પર નોંધપાત્ર હાજરી ધરાવે છે.
આ વખતે કેવી પરિસ્થિતિ છે?
આ વખતે પરિસ્થિતિ પાછલી ચૂંટણીઓ કરતા થોડી અલગ છે. ગઈ વખતે NDA ને ટેકો આપનાર VIP હવે મહાગઠબંધન સાથે છે, જ્યારે પોતાના દમ પર ચૂંટણી લડનાર ચિરાગ પાસવાન આ વખતે NDA ને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે. વિપક્ષી મહાગઠબંધન ઉપરાંત AIMIM અને હવે જનસુરાજ પાર્ટી પણ મુસ્લિમોના નેતા તરીકે પોતાને સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે. એ વખતે કાંટે કી ટક્કરની ચૂંટણીમાં NDA મહાગઠબંધન કરતાં 17 વધુ બેઠકો જીતીને જેમ તેમ કરીને બહુમતી સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું.

આ પણ વાંચો: ‘ભાજપને મત કેમ આપ્યો?’ કહી 3 દલિતોને બૂથ બહાર ફટકાર્યા
મહાગઠબંધન પર એનડીએ ભારે પડ્યું
છેલ્લી ચૂંટણીમાં, NDA ને મહાગઠબંધન કરતાં 1.6% વધુ મત મળ્યા હતા. પરંતુ આ ફાયદાએ તેને મહાગઠબંધનની 49 બેઠકોની તુલનામાં 66 બેઠકો જીતવામાં મદદ કરી હતી. NDA એ અંગ પ્રદેશ, તિરહુત અને મિથિલાંચલમાં નોંધપાત્ર લાભ મેળવ્યો, જ્યારે RJD એ મગધ ક્ષેત્રમાં નોંધપાત્ર ફાયદો થયો હતો. સીમાંચલમાં નજીકની સ્પર્ધા અને AIMIM ની હાજરીએ NDA ને થોડો ફાયદો કરાવી આપ્યો હતો.

અંતિમ તબક્કામાં દલિત મતો ખૂબ મહત્વપૂર્ણ
આ તબક્કામાં દલિત સમાજ ખૂબ મહત્વપૂર્ણ છે. આ વિસ્તારમાં દલિત સમાજ, જે કુલ મત હિસ્સાનો 18% હિસ્સો ધરાવે છે, તેમાંથી 13% મહાદલિત છે (જેમાંથી 2.5% મુસહર છે) અને 5% પાસવાન (દુસાધ) છે. આશરે 100 બેઠકો એવી છે જ્યાં આ સમાજના મતદારોની વસ્તી પ્રતિ બેઠક 30,000 થી 40,૦૦૦ ની વચ્ચે છે. ગત ચૂંટણીમાં ચિરાગ પાસવાને પોતાના દમ પર ચૂંટણી લડતા JDU એ સીધી 22 બેઠકો ગુમાવી હતી. ભાજપ માને છે કે ચિરાગ અને જીતન રામ માંઝીનો સાથ પાસવાન અને મુસહરના 7.5% મતોને NDA ની તરફેણમાં ખેંચી જશે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણીમાં 40 અનામત બેઠકોની લડાઈ, દલિતો કોની તરફ?
મુસ્લિમો નવા નેતૃત્વ માટે ઝંખી રહ્યા છે
દાયકાઓથી, RJD ના કદ્દાવર નેતાઓ સીમાંચલમાં મુસ્લિમ રાજકારણનો ચહેરો હતા. હવે, મુસ્લિમોમાં નવા નેતૃત્વ માટે સ્પષ્ટ ઝંખના દેખાઈ રહી છે. છેલ્લી ચૂંટણીમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા સીમાંચલ ક્ષેત્રમાં પાંચ બેઠકો જીતનાર AIMIM એ મહાગઠબંધનના નાયબ મુખ્યમંત્રી નહીં બનાવવાને મુદ્દાને આ સમાજના અપમાન સાથે જોડ્યો છે. નવી રચાયેલી જન સુરાજ પાર્ટી પણ પોતાને મુસ્લિમોના નેતા તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
AIMIM એ તમામ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા છે. જન સુરાજ પાર્ટીએ પણ મુસ્લિમ બહુમતી ધરાવતા મતવિસ્તારોમાં આ જ સમાજના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે દલિત અને મુસ્લિમ સમાજના મતો કોની તરફ જાય છે અને સરકાર રચવામાં કેટલો નિર્ણાયક ભાગ ભજવે છે.
આ પણ વાંચો: ‘NDA હોય કે મહાગઠબંધન, તમારો મત લઈ લેશે, પણ વિકાસ નહીં કરે…’










