બોટાદ જિલ્લાના એક ગામમાં દલિત સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સને બોટાદની કોર્ટે પોક્સો અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ 20 વર્ષથી વધુની આકરી સજા ફટકારી છે. કોર્ટે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને રૂ. 5 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
આ કેસની મળતી માહિતી મુજબ, બોટાદ જિલ્લામાં એક ખેતમજૂર પરિવારની સગીર વયની દીકરીને રાજેશ ઉર્ફે રાજુ અરજણભાઈ ચૌહાણ નામના શખ્સે વાડીની ઓરડીમાં લઈ જઈ ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે સગીરાના માતાએ આરોપી રાજુ ચૌહાણ સામે આઈપીસીની કલમ ૩૭૬, ૫૦૬ (ર), પોક્સો એક્ટની કલમ ૪, ૮, ૧૨ અને એટ્રોસિટી એક્ટની કલમ ૩ (૧) ડબ્લ્યુ, ૩ (ર) (પ) મુજબ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: દુષ્કર્મ પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો?
તપાસના અંતે પોલીસે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા આ કેસની સુનવણી બોટાદના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી હતી. જેમાં સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલો, 20 સાક્ષીઓની તપાસ, 59 દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી જસ્ટિસ જે.કે. પ્રજાપતિએ આરોપી રાજુ ચૌહાણને આઈપીસી ૩૭૬ના ગુનામાં ૧૦ વર્ષ સખત કેદ, પોક્સો એક્ટની કલમ ૪ મુજબના ગુનામાં ૧૦ વર્ષ સખત કેદ અને એટ્રોસિટી એક્ટની કલમ (૩) (૧)W હેઠળ એક વર્ષ સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો હતો.
એટલું જ નહીં, કોર્ટે ગુજરાત પીડિત વળતર યોજના-૨૦૧૯ હેઠળ ભોગ બનનાર સગીરાને રૂ.5 લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે. આ કેસમાં પીડિતાને ન્યાય અપાવવામાં વકીલ તરીકે એસ.ડી. રાઠોડ અને પી.કે. રાઠોડની કામગીરી ખૂબ મહત્વની રહી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં રોડમાં 1 રૂ.માં માત્ર 30 પૈસાનું કામ થાય છેઃ નારણ કાછડિયા











Users Today : 1737