સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર મનાઈ ફરમાવી હોવા છતાં ગુજરાત સહિતના ભાજપસાશિત રાજ્યોમાં તેનો ખૂલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આવું જ કંઈક ગાંધીનગરના બહિયલ ગામમાં આજ સવારથી જોવા મળી રહ્યું છે. ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામે નવરાત્રીના ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાન બાદ હવે વહીવટી અને પોલીસ તંત્રે મુસ્લિમો પર તવાઈ બોલાવી છે અને ગામના મુખ્ય માર્ગો પરના મુસ્લિમોના ગેરકાયદેસર કાચા-પાકા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બહિયલમાં થયેલા તોફાન બાદ સ્થાનિક સ્તરે હિંદુઓ દ્વારા બરેલી-યુપીની જેમ મુસ્લિમોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શનની માંગણી ઉઠી હતી. જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: પૂના કરારની ‘પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ’ કાયમી કેમ ન બની શકી?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગીય દહેગામ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના પેટા વિભાગ (સ્ટેટ) સમક્ષ બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. પુરાવાના અભાવે, આજે ગુરુવાર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બહિયલમાં તોડફોડ કાંડ બાદ તંત્રની કાર્યવાહી, 190 ગેરકાયદે દબાણો હટાવવાનુ કામ શરૂ, આજ સવારથી બુલડોઝર એક્શનમાં #dehgam #gandhinagar #bahiyal #demolition #demolitiondriveinbahiyal #socialmediaviolence pic.twitter.com/Jg5EmUsI2x
— Dinesh Chaudhary (@DineshNews_) October 9, 2025
કુલ 190 દબાણોમાંથી રાયપુર ઘમીજ કરોલી રોડ પર 135 દબાણો અને હાથીજણથી બહિયલ રોડ પર 51 દબાણોને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. નોટિસ મળતાની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેઓએ પોતાનો માલસામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો: જામનગરના પીપળીમાં ભરવાડોએ દલિત પિતા-પુત્ર પર હુમલો કર્યો
હિંસક તોફાનની ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર સક્રિય બની ગયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં 66થી વધુ શંકાસ્પદ તોફાનકારોની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા તોફાની તત્વો પર કાયદાનો ગાળિયો કસવામાં આવી રહ્યો છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે બહિયલના મહિલા સરપંચ અફસાનાબાનુ સજ્જાદહુસેન ચૌહાણે ‘અગમ્ય કારણોસર’ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યું હતું. સરપંચના આ અચાનક નિર્ણયથી ગામ આગેવાન વિનાની નોધારી સ્થિતિમાં મુકાઈ ગયું છે અને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: ‘તમે પહેલગામના હિંદુઓને માર્યા છે, હું તમારી ડિલિવરી નહીં કરાવું…’











Users Today : 1724