જાતિવાદી તત્વોનો વાસ્તવમાં દલિતોની સમૃદ્ધિ જોઈને જીવ બળતો હોય છે, એટલે જ્યારે તેઓ કોઈ મોંઘી ચીજ, જે તેમના ગજા બહારની હોય છે, તે કોઈ દલિત પાસે જુએ ત્યારે સીધી રીતે તેમને કશું કહી શકે તેમ ન હોવાથી જાતિનો સહારો લઈને દાદાગીરી પર ઉતરી આવતા હોય છે.
આવી જ એક ઘટના બે દિવસ પહેલા પેરિયારની ભૂમિ એવા તમિલનાડુમાંથી સામે આવી છે. અહીં શિવગંગા જિલ્લાના મેલાપીડાવુર ગામમાં બુલેટ મોટરસાઇકલ ચલાવવા બદલ 21 વર્ષીય દલિત વિદ્યાર્થી પર જાતિવાદીઓએ હુમલો કર્યો. દલિત વિદ્યાર્થી આર. અય્યાસામીને બંને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલમાં તે મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ રિપોર્ટ મુજબ, અય્યાસામી પોતાની મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેના જ ગામના ત્રણ યુવાનો – આર. વિનોદકુમાર (21), એ. અતીશ્વરણ (22) અને એમ. વલ્લારાસુ (21) – એ તેને રોક્યો અને તીક્ષ્ણ હથિયારોથી તેના પર હુમલો કર્યો.
ઘાયલ વિદ્યાર્થીના સંબંધી મુનિયાસામીએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ અય્યાસામીના હાથ પર માર માર્યો હતો અને કહ્યું હતું કે, “ફક્ત ઉચ્ચ જાતિના યુવાનો જ મોંઘી બાઇક ચલાવી શકે છે; તું દલિત થઈને આટલી મોંઘી બાઈક કેમ ચલાવે છે? દલિતોને આવી બાઈક ચલાવવાની મંજૂરી નથી. તેમણે અય્યાસામીને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાન કર્યું હતું. મુનિયાસામીએ કહ્યું કે અય્યાસામીએ જેમતેમ કરીને ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.
#Casteism Manuwadi people chopped off the hand of a Dalit youth for riding a Bullet bike, he was also humiliated on caste basis, when he was admitted in the hospital, his house was also looted, this incident is very painful. The incident took place in Tamilnadu’s Sivagangai. pic.twitter.com/ejw30zl3kT
— The Dalit Voice (@ambedkariteIND) February 13, 2025
હુમલા બાદ, એક ટોળાએ અય્યાસામીના પરિવારના ઘર પર હુમલો કર્યો. મુનિયાસામીએ જણાવ્યું હતું કે ગામમાં લાંબા સમયથી જાતિ ભેદભાવ ચાલી રહ્યો છે અને તેમણે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. અય્યાસામીના પિતા ભૂમિનાથને જણાવ્યું હતું કે હુમલાખોરો તેમના પુત્રના બુલેટ મોટરસાઇકલ ચલાવવાથી નાખુશ હતા. તેમણે એમ પણ કહ્યું કે આ પહેલા પણ હુમલાખોરોએ બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું.
જોકે, પોલીસે દાવો કર્યો હતો કે હુમલો ફક્ત બાઇકના કારણે થયો ન હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અય્યાસામી અને અતીશ્વરન વચ્ચે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો. SIPCOT પોલીસે વિનોદકુમાર, અતીશ્વરણ અને વલ્લારાસુ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 296(1), 126(2), 118(1) અને 351(3) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act) ની કલમ 3(1)(r)(s) હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીઓની ધરપકડ કરીને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
શિવગંગાની એક કોલેજમાં ગણિતના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અય્યાસામી હજુ પણ સારવાર હેઠળ છે અને કેસની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ઓઢવમાં પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો