‘અર્જુન રેડ્ડી’, ‘ગીતા ગોવિંદમ’ અને ‘લાયગર’ જેવી ફિલ્મોના અભિનેતા વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી એક્ટ(SC/ST એક્ટ) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. અભિનેતા સામે આ બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિજય દેવરકોંડાએ પોતાની ફિલ્મના પ્રિ-રિલીઝ કાર્યક્રમ દરમિયાન એક નિવેદનમાં આદિવાસી સમાજને લઈને વાંધાજનક નિવેદન કર્યું હતું. જેને લઈને આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને આદિવાસી કમિટીએ વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
PTI (ન્યૂઝ એજન્સી)ના રિપોર્ટ મુજબ, ‘પહેલગામ આતંકવાદી હુમલા બાદ આદિવાસી સમાજ વિરુદ્ધ નિવેદન કરવા બદલ વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ આ ફરિયાદ નોઁધવામાં આવી છે. વિજયે જાતિવાદી નિવેદન આપ્યું હતું, જેને લઈને પહેલા જ તેના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અરજી આપવામાં આવી હતી. બાદમાં તેના આધારે 17 જૂને તેની વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.’
મામલો શું હતો?
આદિવાસી કમિટીના રાજ્ય પ્રમુખ નેનાવતા અશોક કુમાર નાયકે તેલંગાણાના સાયરાબાદના રાયદુગ્રામ પોલીસ સ્ટેશનમાં વિજય દેવરકોંડા વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. અગાઉ મે મહિનાની શરૂઆતમાં એડવોકેટ લાલ ચૌહાણે પણ વિજય વિરુદ્ધ એસઆર નગર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેમણે રેટ્રોની પ્રિ-રિલીઝ ઇવેન્ટના વીડિયોના સ્ક્રીનશોટ પણ મૂક્યા હતા. એટલું જ નહીં, પુરાવા તરીકે અભિનેતાના નિવેદન પર મીડિયા દ્વારા પ્રકાશિત થયેલા સમાચારની નકલો પણ શામેલ કરી હતી.
આ પણ વાંચો: મીતલીમાં વણકરોના કૂવામાં ગંદકી ફેંકવા મુદ્દે કેબિનેટ મંત્રીને રજૂઆત
ફરિયાદમાં જણાવ્યા મુજબ વિજય દેવરાકોંડાએ પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતી વખતે, કથિત રીતે આ ઘટનાની તુલના આદિવાસી સમાજ સાથે સંકળાયેલા ઐતિહાસિક સંઘર્ષો સાથે કરી હતી. વકીલ લાલ ચૌહાણે દાવો કર્યો હતો કે, ‘એક્ટરનું નિવેદન અત્યંત અપમાનજનક હતું અને તેનાથી આદિવાસી સમાજને નીચાજાણું થયું છે.’
વિજય દેવરકોંડાએ માફી માંગી
ફિલ્મની રિલીઝ દરમિયાન વિજયે આપેલા આ નિવેદન બદલ તેની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. વિવાદ વધતાં તેણે જાહેરમાં માફી માંગવી પડી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલી માફીમાં અભિનેતાએ લખ્યું હતું કે, ‘મારા ધ્યાનમાં આવ્યું છે કે, રેટ્રોની ઓડિયો લોન્ચ ઇવેન્ટ દરમિયાન મેં કરેલા નિવેદન પર કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. હું પ્રામાણિકપણે કહેવા માંગુ છું કે કોઈ પણ સમાજ, ખાસ કરીને અનુસૂચિત જનજાતિ સમાજને નુકસાન પહોંચાડવાનો કે નિશાન બનાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હું તેમનો ખૂબ આદર કરું છું અને તેમને આપણા દેશનું અભિન્ન ભાગ માનું છું. હું એકતા વિશે વાત કરી રહ્યો હતો કે ભારત કેવી રીતે એક છે. આપણા લોકો એક છે અને આપણે સાથે મળીને કેવી રીતે આગળ વધવું જોઈએ.’
અભિનેતાએ બીજું શું કહ્યું?
વિજય દેવરકોંડાએ આગળ લખ્યું હતું કે, ‘હું બધાં ભારતીયોને એક દેશ તરીકે સાથે રહેવા માટે આગ્રહ કરું છું ત્યારે હું આવું કઈ રીતે કહી શકું? હું શા માટે ભારતીયોના કોઈ જૂથ સાથે જાણી જોઈને ભેદભાવ કરું, જેમને હું મારો પરિવાર, મારા ભાઈઓ માનું છું? મેં ‘જનજાતિ’ શબ્દનો ઉપયોગ ઐતિહાસિક અને ડિક્શનરીના અર્થમાં કર્યો હતો, જે સદીઓ પહેલાના સમયનું વર્ણન કરે છે, જ્યારે વૈશ્વિક સ્તરે માનવ સમાજ જનજાતિઓ અને કુળોમાં સંગઠિત હતો, જે ઘણીવાર સંઘર્ષમાં રહેતા હતા.’
હું તો ડિક્શનરીના સંદર્ભમાં કહેતો હતો?
વિજયે પોતાની સ્પષ્ટતામાં અંગ્રેજી ડિક્શનરી મુજબ જનજાતિનો અર્થ પણ આપ્યો છે. તેણે કહ્યું, ‘અંગ્રેજી શબ્દકોશ મુજબ, ‘જનજાતિ’નો અર્થ થાય છે – ‘પરંપરાગત સમાજમાં એક સામાજિક વિભાજન, જેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક અથવા લોહીના સંબંધોથી સંબંધિત પરિવારો અથવા સમુદાયોનો સમાવેશ થાય છે, જેમની સંસ્કૃતિ અને બોલી સમાન હોય છે. જો મારા મેસેજના કોઈપણ ભાગની ગેરસમજ થઈ હોય, તો હું દિલથી માફી માંગુ છું.’
સાઉથના અભિનેતા વિજય દેવરકોંડા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. અભિનેતાએ તેની ફિલ્મની રિલીઝના એક કાર્યક્રમમાં આદિવાસી સમાજ વિરુદ્ધ વાંધાજનક નિવેદન કર્યું હતું. જેને લઈને બે ફરિયાદ નોંધાઈ છે. #VijayDeverakonda #ScStAct pic.twitter.com/8I5YFLANzc
— khabar Antar (@Khabarantar01) June 23, 2025
ફિલ્મના પ્રમોશનમાં જાતિવાદી નિવેદનો ક્યારે અટકશે?
જો કે, વિજયની આ સ્પષ્ટતા હાલ તો આદિવાસી સમાજના રોષને શાંત પાડી શકી નથી. આમ પણ અભિનેતાઓ પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન જાતભાતના ગતકડાંઓ કરતા રહેતા હોય છે અને એ દરમિયાન તેઓ શું બોલવું, શું ન બોલવું તેનું ભાન ભૂલી જતા હોય છે. અંતે વિવાદ પેદા થાય કે ફરિયાદ નોંધાય એ પછી તેઓ સોશિયલ મીડિયામાં માફી માંગી લેતા હોય છે. જો કે ઘણીવાર તેમની આવી માફીઓ અને ફરિયાદો પણ તેમની આગામી ફિલ્મના પ્રમોશનનો ભાગ હોય છે. ત્યારે આશા રાખીએ આ મામલામાં આવું કશું ન નીકળે અને જાતિવાદી તત્વોને આકરી સજા મળે.
આ પણ વાંચો: RSS-BJP સાથે જોડાયેલા દુકાનદારે દલિત યુવકની ગોળી મારી હત્યા કરી