કૉંગ્રેસ વિશે અનુસૂચિત જાતિ સમાજનો એક ચોક્કસ વર્ગ સહાનુભૂતિ ધરાવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વારંવાર અનામત બચાવવાની અને બંધારણ બચાવવાની વાત કરે છે. પરંતુ હવે તેણે પણ ભાજપની જ તર્જ પર દલિતોને અંદરોઅંદર લડાવતા પેટા વર્ગીકરણનું સમર્થન કરીને પોતાનો દલિતો વિરોધી ચહેરો સ્પષ્ટ કરી દીધો છે. તેલંગાણાની કોંગ્રેસી રેવંત રેડ્ડીની સરકારે એસસી પેટા વર્ગીકરણને મંજૂરી આપી છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ બે દિવસ પહેલા રાજ્ય વિધાનસભાના ખાસ સત્રમાં જાતિ સર્વેક્ષણ અહેવાલ રજૂ કર્યો હતો અને તેની સાથે તેમણે અનુસૂચિત જાતિ (SC) ના પેટા-વર્ગીકરણનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, અનુસૂચિત જાતિ સમાજને અંદરોઅંદર લડાવતી આ દરખાસ્ત તેણે વિપક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સમર્થનથી પસાર કરી હતી.
સીએમ રેવંત રેડ્ડીએ જાહેરાત કરી કે 59 પેટા-જાતિઓ માટે એસસી ક્વોટામાં અનામત ટકાવારી તેમની વસ્તી અનુસાર નક્કી કરવામાં આવશે. પ્રસ્તાવિત વિભાગ નીચે મુજબ છે:
ગ્રુપ I: SC માટે ૧૫% ક્વોટામાંથી ૧% અનામત
ગ્રુપ II: 9% અનામત
ગ્રુપ III: ૫% અનામત
ઉલ્લેખનીય છે કે, સરકારે ક્રીમી લેયરને SC શ્રેણીમાં સમાવવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકારે આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું છે, જો કે તેનાથી એસસી માલા સમાજ તરફથી તેને વિરોધનો સામનો કરવો પડે તેવી શક્યતા છે, જે લાંબા સમયથી પેટા-વર્ગીકરણનો વિરોધ કરે છે. પરંપરાગત રીતે, માલા સમુદાય શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિની અનામતનો મુખ્ય લાભાર્થી રહ્યો છે, પરંતુ આ નવું માળખું તે પરિસ્થિતિને બદલી શકે છે.
બીજી તરફ, મદિગા સમાજ, જે SC શ્રેણીમાં પેટા અનામતની માંગ કરી રહ્યો હતો, તે આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યો છે. મદિગા નેતા મંડા કૃષ્ણા મદિગાએ અગાઉ કહ્યું હતું કે પેટા-વર્ગીકરણ વિના મદિગા સમાજ હાંસિયામાં ધકેલાઈ જશે.
વિધાનસભા સત્ર દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કડિયમ શ્રીહરિએ જાતિ સર્વેક્ષણ મુજબ તેલંગાણાની કુલ વસ્તીના ૧૭% થી વધુ અનુસૂચિત જાતિઓ હોવાને કારણે અનુસૂચિત જાતિ અનામત ૧૫% થી વધારીને ૧૮% કરવાની માંગ કરી હતી. શ્રીહરિએ કહ્યું, ” કોંગ્રેસ સરકાર પોતાનું વચન પૂર્ણ કરે અને SC અનામત વધારીને 18% કરે.”
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక
Report regarding SC classification introduced by CM Revanth Reddy in the Assembly#RevanthReddy
• @revanth_anumula pic.twitter.com/nTkd1e5MIW— Congress for Telangana (@Congress4TS) February 4, 2025
તેલંગાણા સરકારનો આ નિર્ણય રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ માટે વિકટ પરિસ્થિતિ ઊભી કરી શકે છે, કારણ કે પાર્ટી અત્યાર સુધી SC પેટા-વર્ગીકરણ પર મૌન રહી હતી. દલિતોના હામી હોવાની વાત કરતા રાહુલ ગાંધીએ પણ અત્યાર સુધી એસસી પેટાવર્ગીકરણ પર મૌન રહેવાનું પસંદ કરીને આડકતરી રીતે તેઓ સવર્ણોના સમર્થનમાં હોવાનું સાબિત કરી દીધું છે. એ સ્થિતિમાં તેલંગાણામાં તેમની સરકારે ભાજપના જ રસ્તે ચાલી રહ્યાં હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. આ સ્થિતિમાં સ્પષ્ટ રીતે દલિત રાજનીતિ કરતા પક્ષો બીએસપી અને આઝાદ સમાજ પાર્ટી સિવાય કોઈ આ મુદ્દે ખુલીને દલિત સમાજની તરફેણમાં ઉભો રહ્યો નથી. ભાજપ અને કૉંગ્રેસ બંને સમાન રીતે સવર્ણોની તરફદાર પાર્ટીઓ છે તે તેલંગાણા સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે. વર્ષ 2024 માં, જ્યારે સુપ્રીમ કોર્ટે એસસી એસટી પેટા-વર્ગીકરણને મંજૂરી આપી ત્યારે કોંગ્રેસે તેના શાસન હેઠળના રાજ્યોમાં તેના પર ચર્ચા કરી હતી પરંતુ કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
બહુમતિ દલિત નેતાઓ અને બહુજન રાજનીતિ કરતી પાર્ટીઓએ એસસી-એસટી પેટા-વર્ગીકરણને દલિતો-આદિવાસીઓમાં ભાગલા પાડવાનું કાવતરું માને છે અને તે સાચું છે. ત્યારે કોંગ્રેસે પણ ભાજપની જેમ જ પેટા વર્ગીકરણનો સ્વીકાર કરીને સાબિત કરી દીધું કે જ્યારે દલિતોના અસલી હકોની તરફેણ કરવાની વાત આવે ત્યારે તે સો ટકા સવર્ણોની તરફેણમાં જ ઉભી રહેશે. એ સ્થિતિમાં કૉંગ્રેસને મત આપતા દલિતોએ પોતાના મતને લઈને ફરીથી વિચાર કરવો પડશે.
પેટા-વર્ગીકરણ દરખાસ્ત રજૂ થયા બાદ હૈદરાબાદ અને તેલંગાણાના અનેક ભાગોમાં કોંગ્રેસના બેનર હેઠળ અનેક દલિત સંગઠનોએ ઉજવણી કરી. જે મૂર્ખામી જ ગણાય. બીઆરએસના કાર્યકારી પ્રમુખ કે ટી રામા રાવે 2001 થી એસસી પેટા-વર્ગીકરણની માંગણી કરવાના પક્ષના વલણને પુનરાવર્તિત કર્યું અને મંડા કૃષ્ણા મદિગાના પ્રયાસોની પ્રશંસા કરી. દલિત વોટબેંકને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહેલા ભાજપે પણ આ દરખાસ્તને ટેકો આપ્યો છે. ત્યારે હવે એસસી સમાજ આ બાબતે શું કરે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: Telangana caste survey : 46.25 ટકા OBC છતાં રાજકારણમાં સવર્ણોનું વર્ચસ્વ