બિહારમાં કૉંગ્રેસે દલિત ધારાસભ્યને પ્રદેશ પ્રમુખ બનાવ્યા

બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કૉંગ્રેસે દલિત સમાજમાંથી આવતા ધારાસભ્યને પક્ષ પ્રમુખ બનાવી માસ્ટરસ્ટ્રોક ફટકારી દીધો છે.
dalit mla rajesh kumar

હરિયાણા અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર ભોગવી ચૂકેલી કોંગ્રેસને કદાચ એ સત્ય સમજાઈ ગયું છે કે, દલિતોને મુખ્યધારાના રાજકારણમાં મહત્વનું પદ અને પ્રતિષ્ઠિત હોદ્દા ફાળવવામાં નહીં આવે તે હવે ચાલશે નહીં. એ જમાનો ક્યારનો જતો રહ્યો જ્યારે દલિતો માત્ર કોંગ્રેસને નહેરુ-ઇંદિરાના નામે સાવ મફતમાં પોતાના મત આપી દેતા હતા. હવે દલિતોને ઠાલા વચનો આપીને રિઝવી શકાય તેમ નથી તે સમજી ચૂકેલી કોંગ્રેસે હવે ધીરે ધીરે પક્ષના દલિત નેતાઓને મહત્વના હોદ્દા આપવાનું શરૂ કર્યું છે અને મલ્લિકાર્જુન ખડગે બાદ હવે બિહાર જેવા મહત્વના રાજ્યમાં પક્ષ પ્રમખ તરીકે એક દલિત નેતાની વરણી કરી છે.

કોંગ્રેસે મંગળવારે ઔરંગાબાદ જિલ્લાના કુટુમ્બાના ધારાસભ્ય રાજેશ કુમારને બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (પીસીસી) ના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. ૫૬ વર્ષીય રાજેશ કુમાર એક અગ્રણી દલિત નેતા છે અને તેઓ વર્તમાન પક્ષ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહનું સ્થાન લેશે. અખિલેશ પ્રસાદ 2022 થી આ પદ પર હતા. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિમણૂકને આ વર્ષના અંતમાં બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા દલિત સમાજમાં પોતાની હાજરી મજબૂત કરવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

રાજેશ કુમાર 2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કુટુમ્બા બેઠક પરથી જીત્યા હતા. તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોરચા (HAM) ના શરણ ભુઇયાને 16,653 મતોના માર્જિનથી હરાવ્યા હતા. અગાઉ, 2015 માં પણ તેઓ આ જ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની સતત બીજી જીત તેમને બિહાર કોંગ્રેસ માટે એક મજબૂત ચહેરો બનાવે છે.

કૉંગ્રેસનો દલિત પ્રતિનિધિત્વ પર ફોકસ

બિહારના કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ નિમણૂક રાજ્યની 20 ટકા દલિત વસ્તીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “રાહુલ ગાંધી હંમેશા દલિતો અને ઓબીસીને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની વાત કરતા આવ્યા છે અને હવે તેમણે એ દિશામાં અમલ શરૂ કર્યો છે. રાજેશ કુમારની નિમણૂક સ્પષ્ટપણે દર્શાવે છે કે પાર્ટી તેના વચનોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છે.”

બીજા એક નેતાએ કહ્યું, “આ એક મોટો નિર્ણય છે. રાજેશ કુમાર માત્ર એક પ્રભાવશાળી વક્તા જ નથી, પરંતુ યુવા અને ઉર્જાવાન પણ છે. બિહારમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેઓ પાર્ટીને આગળ લઈ જઈ શકે છે.” આમ પણ કોંગ્રેસ પાસે બિહારમાં ગુમાવવા માટે કંઈ નથી. આવી સ્થિતિમાં દલિત નેતૃત્વને આગળ કરવામાં કોઈ નુકસાન નથી.

બિહારમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહ્યું છે

2020 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બિહારમાં 70 બેઠકો પર ચૂંટણી લડી અને 9.48 ટકા મતો મેળવીને 19 બેઠકો જીતી હતી. તે ચૂંટણીમાં NDA એ 243 સભ્યોની વિધાનસભામાં 125 બેઠકો જીતી હતી. આ વખતે કોંગ્રેસ પોતાનું પ્રદર્શન સુધારવા અને દલિત વોટ બેંકને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, જે રાજ્યના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દિલ્હીમાં પાર્ટીના મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં બિહાર સહિત ઘણા રાજ્યોમાં સંગઠનને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ હતી.

જિલ્લા સ્તર પર ફોકસ કરવા આદેશ

કોંગ્રેસ હવે તેના જિલ્લા એકમોને મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે. પાર્ટીના મીડિયા પ્રભારી મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે દેશભરના જિલ્લા કોંગ્રેસ સમિતિ (ડીસીસી) ના પ્રમુખોની બેઠકો ત્રણ તબક્કામાં 27, 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી ભવનમાં યોજાશે. આ બેઠક ૮ અને ૯ એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનાર ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના સત્રની તૈયારીઓનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય જિલ્લા એકમોને સંગઠનનું કેન્દ્રબિંદુ બનાવવાનો અને તેમની ભૂમિકાને મજબૂત બનાવવાનો છે.

બિહારમાં કોંગ્રેસની રણનીતિ શું હશે

રાજેશ કુમારની નિમણૂકને કોંગ્રેસની રણનીતિના ભાગ રૂપે જોવામાં આવી રહી છે જેમાં તે બિહારમાં NDA અને RJD-JDU ગઠબંધનને કડક ટક્કર આપવા માંગે છે. દલિત સમાજ તેમજ ઓબીસી અને અન્ય પછાત વર્ગોને જોડવાના પ્રયાસો પણ તેજ કરવામાં આવી રહ્યા છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આગામી દિવસોમાં બિહારમાં કોંગ્રેસની સક્રિયતા વધુ વધશે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં જાહેર સભાઓ અને પ્રચાર પર ભાર મૂકવામાં આવશે.

નિષ્ણાતો શું કહે છે?

રાજકીય વિશ્લેષકો માને છે કે આ નિમણૂક કોંગ્રેસ માટે એક સકારાત્મક પગલું હોઈ શકે છે, પરંતુ તેની અસર પાર્ટી જમીન પર કેટલી અસરકારક રીતે કામ કરી શકે છે તેના પર નિર્ભર રહેશે. બિહારમાં દલિત મતદારોનો મોટો વર્ગ પરંપરાગત રીતે આરજેડી અને જેડીયુ સાથે રહ્યો છે, તેથી કોંગ્રેસ માટે આ વોટ બેંકમાં સ્થાન મેળવવું પડકારજનક રહેશે. એકંદરે, રાજેશ કુમારની નિમણૂક અને સંગઠનાત્મક ફેરફારો સાથે, કોંગ્રેસ બિહારમાં નવી ઉર્જા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ઓબીસી અને દલિતોને એક કરીને બિહારના રાજકારણની દિશા બદલવાનો પ્રયાસ કેટલો અસરકારક સાબિત થશે તે વિધાનસભા ચૂંટણીમાં ખબર પડશે.

આ પણ વાંચો: વસ્ત્રાપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા કર્મચારીનું ગેસ ગળતરથી મોત

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x