200 પોલીસની સુરક્ષા વચ્ચે બે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો

ગામના જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને આવશે તેના પર હુમલો કરીશું તેવી ધમકી આપી હતી.
dalit groom

ઈલોન મસ્કની સ્ટારલિંક કંપની છેવાડાના ગામડાઓ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડી ઈન્ટરનેટ ક્રાંતિ સર્જવા માટે અમેરિકાથી ભારતના આંગણા સુધી આવી પહોંચી છે. દુનિયા આખી સાયન્સ અને ટેકનોલોજીના સહારે દરરોજ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. બીજી તરફ આપણો કથિત વિશ્વગુરૂ ભારત દેશ છે, જે સતત ઉંધી દિશામાં ગતિ કરી રહ્યો છે. મનુવાદી તત્વો દરરોજ દેશને અઢારમી સદી તરફ ખેંચી રહ્યાં છે. દલિતોને માણસ ન ગણતા આ તત્વો સતત કોઈને કોઈ બહાને દલિતોને હેરાન કરવાની પેરવી કરતા રહે છે.

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે તેની સમાંતરે જાતિવાદી તત્વો દ્વારા ઘોડી પર બેસીને વરઘોડો કાઢવા બદલ દલિત વરરાજાની જાન પર હુમલો કરવાના બનાવો પણ વધી રહ્યાં છે. આવી જ એક ઘટનામાં એક ગામમાં 200થી વધુ પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે બે દલિત વરરાજાનો વરઘોડો કાઢવો પડ્યો હતો.

રાજસ્થાનના બારા જિલ્લાના લેવા ગામની ઘટના

મામલો મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનનો છે. અહીંના બારા જિલ્લાના લેવા ગામમાં બે દલિત વરરાજાને 200થી વધુ પોલીસ જવાનોની સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. એ પછી તેમનો વરઘોડો નીકળી શક્યો હતો. ગામના માથાભારે જાતિવાદી તત્વોએ બંને કન્યાઓના પરિવારને ધમકી આપી હતી કે, ઘોડી પર બેસવાનો અધિકાર માત્ર તેમની જાતિના લોકોને જ છે. એટલે જો દલિત વરરાજા ઘોડી પર બેસીને વરઘોડો કાઢીને લગ્ન કરવા માટે આવ્યા તો અમે હુમલો કરીશું. જાતિવાદી તત્વોની આ ધમકીથી ડરી જઈને કન્યાના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. એ પછી 200થી વધુ પોલીસ જવાનો ગામમાં ખડકી દેવામાં આવ્યા હતા. ત્યારે દલિત વરરાજાનો વરઘોડો નીકળી શક્યો હતો.

બે પુત્રીઓના પિતાએ હુમલો થવાની ફરિયાદ કરી હતી

ફરિયાદી ચૌથમલ બૈરવાએ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની બે પુત્રીઓના લગ્ન 8 જૂને છે. એક દીકરીની જાન ઉમરહેડી (કોટા) અને બીજી અંતાના હાપાહેડી ગામેથી તેમના ગામમાં પરણવા માટે આવવાની હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ગામના કેટલાક માથાભારે, જાતિવાદી લુખ્ખાઓ દ્વારા દલિત વરરાજાના ઘોડી પર બેસીને આવવા મુદ્દે હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. લુખ્ખા તત્વોનું કહેવું છે કે, ઘોડી પર બેસીને જાન લઈને આવવાનો અધિકાર માત્ર તેમની જાતિના લોકોને જ છે અને દલિતોએ ઘોડી પર બેસવું ન જોઈએ. જો દલિત વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને ગામમાં આવશે તો અમે હુમલો કરીશું.

આ પણ વાંચો: સવર્ણોની દલિત મહિલાને ધમકી- ‘ગામમાં દેખાઈ તો રેપ કરીશું’

જાતિવાદીઓ તત્વોની દાદાગીરી નીકળી ગઈ

જાતિવાદી તત્વોની આ ધમકીને કારણે કન્યાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે શનિવારે પોલીસ અને વહીવટી અધિકારીઓ ગામમાં પહોંચ્યા હતા અને જાતિવાદી લુખ્ખાઓને આ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ઘરે આવતા જ લુખ્ખા તત્વોની બધી દાદાગીરી સોંસરી નીકળી ગઈ હતી અને તેઓ ઢીલા પડી ગયા હતા. પોલીસનો જાતિવાદી તત્વોને એટલો બધો ડર પેસી ગયો હતો કે જ્યાં સુધી વરઘોડો નીકળ્યો ત્યાં સુધી તેઓ ઘરમાંથી પણ બહાર નીકળ્યા નહોતો. એ પછી રવિવારે પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં બંને દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો.

બારાના અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને ગામમાં ધામા નાખ્યા હતા. તેમણે માથાભારે તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી.

ગામમાં પોલીસ પહેરો ગોઠવી દેવાયો

રવિવારે પોલીસ અધિકારીઓ લેવા ગામમાં પહોંચ્યા હતા અને બંને દલિત વરરાજાઓને ઘોડી પર બેસાડીને વટથી કામ વચ્ચેથી વરઘોડો કઢાવ્યો હતો. એ દરમિયાન બારાના એસડીએમ બનવારીલાલ બૈરવા, મામલતદાર દશરથ સિંહ, નાયબ પોલીસ અધિક્ષક અંતા શ્યોજી લાલ મીણા, શાહાબાદ નાયબ પોલીસ અધિક્ષક રિચપાલ મીણા અને પોલીસ દળ હાજર રહ્યું હતું.

એએસપી ચૌધરીએ જણાવ્યું હતું કે વરઘોડો નીકળે ત્યાં સુધી સાવચેતીના ભાગરૂપે ગામમાં પોલીસ ફોર્સ તૈનાત રાખવામાં આવી હતી. અગાઉ પણ આ ગામમાં વરઘોડાને લઈને વિવાદો થઈ ચૂક્યા છે. હવે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે સાવધાની રાખી અને કાર્યવાહી પણ કરી.

આ પણ વાંચો: દલિત વરરાજાને ઘોડી પર બેઠેલો જોઈ સવર્ણ મહિલાએ પથ્થરમારો કર્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x